ગાંધીજયંતિ પછીનું એક સપનું

0
27

વાતચીત માટે પ્રયત્ન તો બીજી ઓક્ટોબરે જ કરેલો, પણ એ દિવસે ગાંધીજીને આખો દિવસ એટલી હેડકી આવતી હોય કે વાત કરવાનું તો બાજુ પર રહ્યું, તે શ્વાસ પણ માંડ લઈ શકે બિચારાં, બા ને મહાદેવભાઈ દેસાઈ કહી કહીને થાક્યાં કે હવે તમે ભારત જોડે આટલું સીધું જોડાણ ન રાખો કે ત્યાં તમને ગમે તેવા લોકો યાદ કરે, તો પણ તમને હેડકી શરૂ થઈ જાય. સરદાર પટેલ તેમના અંદાજમાં સમજાવે કે હવે તો પેલા અમેરિકન અલેલટપ્પુએ તેના ભારતના સમોવડિયાને (પછી અટકીને ઉમેરે પણ ખરા, હોદ્દાની રીતે) ‘ફાધર ઓફ ધ નેશન’ જાહેર કરી દીધા છે. હવે તમે આરામ કરો.

પણ ગાંધીજી માને? તેમને એમ કે હરિલાલ તેમનું સૌથી દુઃખદ પ્રકરણ હશે ને પોતાના જીવનની સાથે તેનો અંત આવશે. પણ પછી તેમને સમજાવા લાગ્યું કે ગોડસેએ મારેલી ત્રણ ગોળી તો તેમની હત્યાની લાંબી સિરીયલનો પહેલો હપ્તો હતી. કાકાસાહેબ કાલેલકર વ્યથિત થઈને બોલ્યા, ‘આના કરતાં તો પેલો ગોળીવાળો હત્યારો સારો…’ એટલે સરદારે તેમને અધવચ્ચેથી રોક્યા અને કહ્યું, ‘તમારા કહેવાનો અર્થ હું સમજું છું, બાપુ સમજે છે, પણ ગોડસેવાળા તમારી વાતનો પ્રમાણપત્ર તરીકે પ્રચાર કરવા માંડશે અને કહેશે, જોયું? ફક્ત અમે જ નહીં, ગાંધીજીના અનુયાયીઓ પણ કબૂલે છે કે ગોડસે સારો હતો.’

પંડિત નહેરુ ચૂપચાપ બેઠા હતા. થોડી વારે મૌન તોડીને કહે, ‘સરદાર, આ લોકો બાપુનું શું કરશે? મને બહુ ચિંતા થાય છે.’ સરદાર કહે, ‘આમ તો ઈંદુએ અને કોંગ્રેસે ઝાઝું કંઈ બાકી રહેવા દીધું નથી. છતાં ખરું કહું તો ચિંતા મને પણ થાય છે. એમાંય જ્યારથી મારા નામે પેલું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી બનાવી દીધું, ત્યારથી તો ખાસ.’

ખોંખારો ખાઈને ગોળવેલકરે કહ્યું, ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી નહીં, યુનિટી. તમારા માટે. ખાસ.’

સરદાર કહે, ‘આવડું મોટું તોસ્તાન ઊભું કરી દીધું ને નામ પાડવામાં પરદેશની નકલ? આ કઈ જાતનો રાષ્ટ્રવાદ?’

સાવરકરે ગહન સ્મિત કરીને કહ્યું, ‘આ જ તો અમારી વિશેષ વ્યૂહરચના છે. તમે જોજો, ધીમે ધીમે લોકોના મનમાંથી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી નીકળવા માંડશે ને તેને બદલે સ્ટેચ્યુ ઓફ યુનિટી દૃઢ થતું જશે. એમ કરતાં કરતાં એક દિવસ એવો આવશે જ્યારે લોકો સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની વાત કરવી હશે ત્યારે ભૂલથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બોલી જશે. એ દિવસ ભારતીય સંસ્કૃતિ માટે ધન્ય દિવસ હશે.’

સરદાર કહે, ‘આમાં સંસ્કૃતિ ક્યાં આવી? અને પ્રવાસીઓની સંખ્યાથી જ વટ પાડવો હોય તો ડિઝનીલેન્ડ ખોલવું હતું ને? આના કરતાં પણ વધારે પ્રવાસીઓ આવત… નકામો મને આવા બધી પૂતળાબાજીમાં શું કામ ઘસડ્યો?’

નહેરુ એકરારના સ્વરમાં બોલ્યા, ‘ભૂલ તો આપણાથી પણ થઈ. આપણે બાપુને ચલણી નોટ પર મૂકવાની જરૂર ન હતી. ભ્રષ્ટ લોકોએ બાપુની બે આંખની શરમ ભર્યા વિના ભ્રષ્ટાચાર આચર્યો ને હજુ આચરી રહ્યા છે. કોણ જાણે, બાપુની આ કઠણાઈનો ક્યારે અંત આવશે?’