પૂરી થઈ શાહરુખન શોધ

0
27

શાહરુખ ખાન છેલ્લે આનંદ એલ. રાયની ‘ઝીરો’ ફિલ્મમાં દેખાયો હતો. તેમાં તેની સાથે અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ હતા. જોકે ‘ઝીરો’ ફિલ્મે બૉક્સ ઑફિસ પર ખાસ કંઈ ઉકાળ્યું નહોતું. આથી ખાને થોડો સમય બ્રેક લઈને આરામથી વિચાર્યું કે હવે કેવી ફિલ્મો કરવી. ઉપરાંત તેના કુટુંબ સાથે સમય ગાળીને મનને શાંતિ પણ આપી. સુપરસ્ટાર છેલ્લા બે દાયકાથી બોલીવૂડમાં ટોચનું સ્ટારપદ ભોગવે છે, છેલ્લા થોડા મહિનાઓમાં વિચારીને તેણે નક્કી કરી લીધું છે કે કઈ ફિલ્મો કરવી અને હવે તે તેના બીજી નવેમ્બરે આવનારા જન્મદિવસે તેની નવી ફિલ્મોની જાહેરાત કરશે.

કહેવાય છે કે તે તેના નવા બે પ્રોજેક્ટસની જાહેરાત કરશે અને આ બંને ફિલ્મો મોટા પાયે બનશે. તેમાં એક હશે રાજકુમાર હિરાણી સાથેની ફિલ્મ. બંને વચ્ચે કેટલાક સમયથી વાટાઘાટો થઈ રહી હતી અને હિરાણીની ફિલ્મ ખાન કરશે એટલે તેનો સિતારો ફરી બુલંદ બની જશે, કારણ કે હિરાણી સ્ટાર ડાયરેક્ટર છે અને તેમની ફિલ્મો નિષ્ફળ નથી જતી. બલ્કે તેમની ફિલ્મો જે કરે તે બોલીવૂડના સમુદ્રમાં તરીને સફળતાના શિખરે પહોંચી જાય છે. આથી ડૂબી ગયેલો ખાન પણ આસમાનમાં ચમકવા માંડશે. જ્યારે તેની બીજી ફિલ્મ હશે તમિળ ફિલ્મસર્જક અટલી સાથેની, જેમણે ‘મેર્સલ’ અને ‘થેરી’ જેવી ધરખમ નાણાં રળનારી બ્લોકબસ્ટર્સ આપી છે. આ ફિલ્મ ડિસેમ્બરમાં શરૂ થવાની શક્યતા છે. આમ પણ તમિળ ફિલ્મોનો ક્રેઝ બોલીવૂડમાં બહુ છે અને તે હિન્દીમાં બને તો પણ કરોડોની કમાણી કરે છે. આથી શાહરુખ પણ હવે તમિળ સર્જક સાથે કામ કરશે તો તેની ગાડી સફળતાના પાટા પર પૂરપાટ ચાલવા માંડશે અને તેને સારા દર્શકો પણ મળી જશે. આમ ખાને સારો વિચારીને નિર્ણય લીધો છે, જેથી તેને ફરી સફળતાનો સ્વાદ ચાખવા મળે. ઓલ ધી બેસ્ટ શાહરુખ ખાન! આપણે રાહ જોઈએ તેના જન્મદિવસની.