ભાજપ શાસનનું કેગ ઓડિટ થાય તો કરોડો રૂપિયાના કૌભાંડો અને ભાજપનો ભ્રષ્ટાચારી ચહેરો પ્રજામાં ખુલ્લો પડી જશે : ડૉ. મનિષ દોશી

0
19
Gujarat congress Manish Doshi writes letter
Gujarat congress Manish Doshi writes letter

અમદાવાદ, તા.૯
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસટીપી ખાતા દ્વારા શહેરમાં ગટર સફાઇના કામકાજ માટે બે રિસાઇકલર મશીનો ભાડે લેવા અંગેના રૂ.૩૫.૬૫ કરોડના બહાર પાડવામાં આવેલા ટેન્ડરને પગલે અમ્યુકોની આગામી ચૂંટણી માટે ધનસંગ્રહ યોજનાના ભાગ રૂપે આ ટેન્ડરની ગોઠવણથી અમ્યુકોની ચૂંટણી પહેલા આ સમગ્ર કૌભાંડને લઇ ભાજપના ભ્રષ્ટાચારી ચહેરો વધુ એક વખત પ્રજામાં ખુલ્લો પડ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડૉ. મનીષ દોશીએ ભાજપના આ એક વધુ કૌભાંડને લઇ આકરા પ્રહારો કરતાં જણાવ્યુ કે, અમદાવાદ સહિતના મહાનગરોમાં ભાજપે સત્તાના જોરે તેના મળતીયાઓ માટે જાણે ભ્રષ્ટાચારના કેન્દ્રો બનાવી દીધા છે. પ્રજાના મહેનત-પરસેવાના અને ટેકસના નાણાં આડેધડ રીતે વસૂલી ઉઘરાવેલા આવા કરોડો રૂપિયા ભાજપ તેની વાહવાહી લૂંટવામાં અને તેના મળતીયાઓને કરોડો રૂપિયાની લ્હાણી કરવામાં વેડફયા છે. જો નૈતિકતાના ધોરણે ભાજપ અમદાવાદ સહિતના મહાનગરોમાં છેલ્લા પંદર વર્ષના શાસનનું કેગ ઓડિટ કરાવે તો ભાજપનો ભ્રષ્ટાચારી ચહેરો પ્રજામાં ખુલ્લો પડી જાય. કોંગ્રેસ અમ્યુકોની સત્તામાં આવતાની સાથેજ પ્રજાને ન્યાય અપાવવા અને તેમના મહેનત પરસેવાના પૈસાનો હિસાબ મળે તે માટે કેગ મારફતે ઓડિટ કરાવી ભાજપના આવા સંખ્યાબંધ કૌભાંડને ઉજાગર કરી તેમાં સંડોવાયેલા હશે તે ભાજપના શાસકો અને કસૂરવાર કે જવાબદાર અધિકારીઓ વિરૂધ્ધ આકરી કાયદેસર કાર્યવાહી કરાશે.

અમ્યુકો અને સરકારમાં ચર્ચાના ચગડોળે ચઢેલા આ વિવાદમાં માહિતી મુજબ, વૈશ્વિક મહામારી કોરોનાના કપરા કાળ દરમ્યાન કરકસરની સૂચના સરકારમાંથી માત્ર કાગળ હોય તેમ જણાય છે. પ્રજાના પરસેવાના ટેક્સના નાણાં કોઇને મોટો આર્થિક લાભ કરવાના ભાગરૂપે ટેન્ડર બહાર પાડીને વેડફાઇ રહ્યા છે. ગુજરાતભરમાં કયાંય ના હોય તેવી વિવાદીત શરતને લઇ મામલો વકર્યો છે. કારણ કે, જો કોન્ટ્રાકટર કામ કરવામાં નિષ્ફળ જાય તો તેના દ્વારા ઉપયોગમાં લેવાયેલા સેકન્ડ હેન્ડ રિસાઇકલર મશીનો ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ ખરીદી લેશે આવી વિચિત્ર શરતને લઇ આ ક્ષેત્રના નિષ્ણાતો પણ માથુ ખંજવાળતા થઇ ગયા છે. એટલે કે, આખીય વાતમાં નફો કોન્ટ્રાકટરનો અને નુકસાન કે જોખમ માત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું. બીજી રીતે સમજીએ તો એવું કહેવાય કે, કોઇ ટેક્સી ભાડે લઇને મુંબઇ જવા નીકળે અને અડધા રસ્તે જો કાર ખરાબ થઇ જાય તો, ભાડે કરનાર વ્યકિતેએ જ કાર ખરીદી લેવાની. સમગ્ર મામલામાં શંકા એટલા માટે પણ જન્મે છે કારણ કે, આ ટેન્ડરમાં અસાધારણ અને અસામાન્ય ગુપ્તતા તેમજ ઉતાવળ દાખવવામાં આવી રહી છે. સામાન્ય રીતે ટેન્ડરની કામગીરી છ મહિને પૂર્ણ થતી હોય પરંતુ કરોડોની મલાઇના આ કિસ્સામાં માત્ર છ અઠવાડિયામાં જ ટેન્ડર પ્રક્રિયા આટોપી લેવાઇ છે. બીજી એક નોંધનીય વાત એ છે કે, સામાન્ય રીતે જો અમ્યુકો કોઇ ખરીદી કરે તો રાજય સરકારમાંથી પૂરી કે અમુક ગ્રાંટ મળતી હોય છે પરંતુ આ કિસ્સામાં તો, સમગ્ર રકમ અમ્યુકોની તિજોરીમાંથી જ જવાની છે એટલે, પ્રજાના પરસેવાના પૈસા અમ્યુકોના શાસકોના ઉતાવળીયા, પક્ષપાતી અને વગરવિચાર્યા નિર્ણયને લીધે વેડફાય તેવો ઘાટ સર્જાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ પીરાણા માટે ઉંચા ભાડે લેવાયેલા ટ્રોમીલ મશીનોના કૌભાંડના પુરાવા સ્પષ્ટ હોવા છતાં કોઈ નક્કર પગલા ભરાયા નથી અને હવે ફરી રિસાઇકલર મશીનો કરોડો રૂપિયાના ખર્ચે ભાડે રાખી કોન્ટ્રાકટરોને લ્હાણી કરી આપવાના કારસાને લઇ ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિરીતીની ભૂમિકા સામે આવી છે.