વડોદરામાં પાંચ લાખ લોકોને આગામી પાંચ દિવસ પાણીથી વંચિત રહેવું પડશે

0
25

વડોદરા મહાનગરપાલિકાના અંધેર વહીવટી તંત્રના કારણે પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારના પાંચ લાખ લોકોને આગામી પાંચ દિવસ પાણીથી વંચિત રહેવું પડશે. છોટાઉદેપુરના નસવાડી નજીક સરદાર સરોવર નર્મદા નિગમની મુખ્ય કનૅલમાં ભંગાણ પડતાં આ સ્થિતિ સર્જાઈ છે. નોંધનીય બાબત એ છે કે વડોદરા મહાનગરપાલિકા પાસે પાંચ દિવસ પાણીથી વંચિત રહેનાર પાંચ લાખ લોકોને પાણી પૂરું પાડવાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી.

આ કનૅલનું સમારકામ કરવાનું હોવાથી નિગમ દ્વારા પાણી બંધ કરવામાં આવ્યું છે, જેના કારણે વડોદરા મહાનગરપાલિકા હસ્તકના શેરખી ઇન્ટેક વેલ અને ખાનપુર વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે નર્મદા કનૅલમાંથી પૂરતા પ્રમાણમાં પાણી મળી શકે એમ નથી, જેથી શેરખી ઇન્ટેક વેલ અને ખાનપુર વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફત પાણીનો જથ્થો મેળવતી પશ્ચિમ ઝોનની ગાયત્રીનગર, હરિનગર, વાસણા, તાંદલજા ટાંકી તેમ જ દક્ષિણ ઝોનની માંજલપુર ટાંકી હળવા દબાણથી ઓછો સમય માટે ૮-૧૦-૨૦૧૯થી ચાર દિવસ માટે સવારે અને સાંજે પાણી વિતરણ કરી શકાશે નહીં અને પશ્ચિમ ઝોનની ગોરવા, સુભાનપુરા, વડીવાડી, અકોટા તથા કલાલી પાણીની ટાંકીઓ ખાતેથી આજથી ૮-૧૦-૧૯ સુધી ચાર દિવસ માટે સવારે અને સાંજે પાણી વિતરણ કરવામાં આવશે.