સુપ્રીમ કોર્ટની ઝાટકણી પછી સમિતિએ બીજા જ દિવસે મહત્વનો નિર્ણય લીધો, બે વર્ષ સુધી કાર્યરત રહેશે
નવી દિલ્હી:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી સમિતિએ આઇપીએસ અધિકારી ઋષિ કુમાર શુક્લાને CBIના નવા ડાયરેક્ટર તરીકે નિમણૂક કર્યા છે. 10 જાન્યુઆરીના રોજ આલોક વર્માને ડાયરેક્ટરના પદેથી હટાવવામાં આવ્યા હતા અને એમ નાગેશ્વર રાવને કામચલાઉ ડાયરેક્ટર નિયુક્ત કરવામાં આવ્યા હતા. છેલ્લા 3-4 મહિનાથી ચાલી રહેલા નાટકીય ઘટનાક્રમો બાદ આખરે સીબીઆઈને નવા ડાયરેક્ટર મળી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય કમિટીએ આઈપીએસ અધિકારી ઋષિકુમાર શુક્લાને સીબીઆઈના ડાયરેક્ટર તરીકે પસંદગી કરી છે. ઋષિકુમાર શુક્લા 1983ની બેચના આઈપીએસ અધિકારી છે. તેઓ મધ્ય પ્રદેશ કેડરના આઈપીએસ અધિકારી છે. શુક્લા મધ્ય પ્રદેશના DGP પણ રહી ચુક્યા છે. હાલ તેઓ મધ્ય પ્રદેશ પોલીસ હાઉસિંક કોર્પોરેશનના ચેરમેન પદે હતાં.
10 જાન્યુઆરીએ આલોક વર્માને ડાયરેક્ટર પદેથી હટાવ્યા બાદ કેન્દ્ર સરકારે એમ, નાગેશ્વર રાવને કાર્યકારી ડાયરેક્ટર તરીકે નિમવામાં આવ્યાં હતાં. ત્યારથી સીબીઆઈનું ડાયરેક્ટર પદ ખાલી હતું. હજી એક દિવસ પહેલા જ સુપ્રીમ કોર્ટે પણ સીબીઆઈનું ડાયરેક્ટર પદ ખાલી હોવાને લઈને ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
નોંધનીય છે કે એક દિવસ પહેલા જ સુપ્રીમ કોર્ટે CBI ડાયરેક્ટરની નિમણૂક પ્રક્રિયામાં લાગતા વધારે પડતા સમયના મામલે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઠી હતી. તે પછી બીજા જ દિવસે હાઇ પાવર્ડ કમિટીએ નવા ડાયરેક્ટરના નામને મંજૂરી આપી દીધી હતી. CBI ડાયરેક્ટરની નિમણૂક કરતી આ હાઇ પાવર્ડ કમિટીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગે અને ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ સામેલ હતા.
CBIના નવા ડાયરેક્ટર તરીકે નિમૂણક પામેલ ઋષિ કુમાર શુક્લા વર્ષ 1983ની બેન્ચના IPS અધિકારી હતા અને મધ્યપ્રદેશના ડીજીપી તરીકે ફરજ બજાવી ચૂકેલ છે. શુક્લાને આગામી બે વર્ષ માટે CBIના વડા નિમવામાં આવ્યા છે. સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે, વિધાનસભા ચૂંટણી દરમિયાન શુક્લા દોઢ મહિનાની રજા પર ઉતરી ગયા હતા. જે પછી ચૂંટણી પંચે તેમના સ્થાને 1984 બેચના આઇપીએસ અધિકારી વીકે સિંહને કામચલાઉ ડીજીપી બનાવ્યા હતા. ચૂંટણી પછી રાજ્યમાં કોંગ્રેસ સરકાર રચાતા કમલનાથના નેતૃત્વમાં શુક્લાને ડીજીપી પદેથી હટાવવાની અટકણો જન્મી હતી. પાંચ દિવસ પહેલા એટલે કે 29 જાન્યુઆરીએ કમલનાથે શુક્લાને ડીજીપી પદેથી હટાવી હાઉસિંગ બોર્ડના પ્રમુખ બનાવ્યા હતા. ડીજીપી પદેથી હટાવી હાઉસિંગ બોર્ડના પ્રમુખ બનાવવાનો મતલબ સરકાર તરફથી તેમને સાઇડલાઇન કરવામાં આવ્યા હતા. સીબીઆઈના ડાયરેક્ટર તરીકેની નિમણૂંક કરનારી ઉચ્ચ સ્તરીય કમિટીમાં વડાપ્રધાન, લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશનો સમાવેશ થાય છે. ઋષિકુમાર શુક્લાનો કાર્યકાળ બે વર્ષનો રહેશે.
અગાઉ સીબીઆઈના તત્કાલીન ડાયરેક્ટર આલોક વર્મા અને તત્કાલીન સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાએ એકબીજા પર લાંચના ગંભીર પ્રકારના આરોપો લગાવ્યા હતાં. અસ્થાના વિરૂદ્ધ તો સીબીએઆઈએ કેસ પણ નોંધ્યો હતો. આ મામલે કેન્દ્ર સરકારે દખલ દેવી પડી હતી. કેન્દ્ર સરકારે વર્મા અને અસ્થાનાને તત્કાળ પ્રભાવથી રજા પર ઉતારી દીધા હતા. અને એમ નાવેશ્વર રાવને વચગાળાના ડાયરેક્ટર તરીકે નિમ્યા હતાં. સમગ્ર વિવાદ બાદ સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માની બદલી કરી દીધી હતી. ત્યાર બાદ આ નવું પદ સ્વિકારવાનો સ્પષ્ટ ઈનકાર કરતા વર્માએ નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું.
સમગ્ર વિવાદને લઈને સીબીઆઈની છબી ખરડાઈ હતી. તેવી જ રીતે દેશની ટોચની તપાસ એજંસી પર પણ પ્રશ્નાર્થ સર્જાયા હતાં. હવે જ્યારે ઋષિકુમાર શુક્લાને સીબીઆઈના નવા ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે ત્યારે તેમના માથે તપાસ એજંસીની છબી સુધારવાની અને તેની વિશ્વસનીયતા પરત લાવવાની મોટી જવાબદારી હશે. સાથે જ ઓગસ્ટા વેસ્ટલેંક કૌભાંડ, કોલસા કૌભાંડ, 2જી કૌભાંડ, ઉત્તર પ્રદેશમાં ગેરકાયદે ખોદકામ કેસ, શારદા અને રોઝવેલી ચિટફંડ કેસ અને પી ચિદંમ્બરમ અને ભૂપેંદ્ર સિંહ હુડ્ડા જેવા વરિષ્ઠ કોંગી નેતાઓ વિરૂદ્ધ ચાલી રહેલા હાઈપ્રોફાઈલ કેસનો સામનો કરવાની મોટી જવાબદારી રહેશે.
ઉલ્લેખનીય છે કે ઋષિ કુમાર શુક્લા પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણના વિશ્વાસપાત્ર અધિકારીઓમાંથી એક હતા.