
આજે માહિતીના આદાન પ્રદાન માટે મોટાભાગે મોબાઈલ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ પરંપરાગત માહિતી આદાન પ્રદાનના માધ્યમો આજે પણ અસરકારક રીતે કામ આવી શકે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે પપેટ શો. અમદાવાદ જિલ્લાના તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ પૂર્વે પોપેટ શો દ્વારા ડેન્ગ્યુ સહિત વાહકજન્ય રોગચાળા અંગે જનજાગૃતિ કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમાર અને જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 16 મેના રોજ સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ડેન્ગ્યુ ‘એડીસ ઇજિપ્તી’ નામના મચ્છર કરડવાથી થાય છે. વરસાદના કારણે ખાડા, ખાબોચિયાં, ખાલી ડબલાં, નકામાં ટાયરો, ઘરગથ્થુ વપરાસમાં લેવામાં આવતા ખુલ્લા વાસણો, કુલર વગેરે જગ્યામાં ભરાયેલા પાણીમાં આ મચ્છર જન્મે છે. આ મચ્છરની ખાસિયત એ છે કે, તે ચોખ્ખા પાણીમાં પેદા થાય છે અને તે કરડવાથી જેની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેને તુર્ત જ લાગુ પડી જાય છે. આ મચ્છર (એડીસ ઇજિપ્તી) કાળા રંગના હોય છે, જેની ઉપર સફેદ પટ્ટી હોય છે, તે લગભગ 5 એમ. એમ સાઈઝના હોય છે. આ મચ્છર રાત્રે નહિ પરંતુ દિવસે કરડે છે. ડેન્ગ્યુનો તાવ લગભગ ચારથી છ દિવસ રહે છે. સખત તાવ આવવાની સાથે આંખના ડોળાની પાછળ દુખાવો થાય કે હાથ અને ચહેરા પર ચકામા પડે, નાક, મોં તેમજ પેઢામાંથી લોહી પડે તો ડેન્ગ્યુ હોઇ શકે છે. ડેન્ગ્યુ જેવા કોઇ પણ લક્ષણ જોવા મળે તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો જોઇએ.