સીએસઆઈઆર-સીએસએમસીઆરઆઈના અહેવાલમાં મીઠાપુરના દરિયાઈ પર્યાવરણમાં પ્રદૂષણને કારણે થયેલા પર્યાવરણીય નુકસાનના કોઈ પુરાવા મળ્યા નથી
મીઠાપુર, 1 સપ્ટેમ્બર, 2026: ભાવનગર સ્થિત સીએસઆઈઆર-સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સીએસઆઈઆર-સીએસએમસીઆરઆઈ) દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં મીઠાપુર ખાતે ટાટા કેમિકલ્સ લિમિટેડ (ટીસીએલ)ના ટ્રીટેડ વેસ્ટવોટર એટલે કે પ્રોસેસ કરાયેલા ગંદા પાણીના નિકાલના સ્થળની આસપાસનું દરિયાઈ પર્યાવરણ સ્વચ્છ, સ્થિર અને જીવસૃષ્ટિ માટે અનુકૂળ હોવાનું જાણવા મળ્યું છે.
અભ્યાસના તારણો દર્શાવે છે કે આ દરિયાકાંઠાનું પર્યાવરણ યોગ્ય સ્થિતિમાં છે અને પાણી તથા દરિયાઈ કાંપની ગુણવત્તાના વિવિધ માપદંડો કુદરતી મર્યાદામાં જ છે. આ વિસ્તારમાં આજે પણ વિવિધ પ્રકારના સ્થળાંતર કરતા અને સ્થાનિક પક્ષીઓ વસવાટ કરે છે. સાથે જ અહીં ઘટાદાર મેન્ગ્રોવના વિસ્તારો સારી સ્થિતિમાં છે તથા વિવિધ પ્રકારના પ્લેન્કટોન પણ જોવા મળે છે.
સીએસએમસીઆરઆઈના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દાયકાઓથી ચાલી રહેલી ઔદ્યોગિક કામગીરી અને ટ્રીટેડ વેસ્ટવોટર મેનેજમેન્ટ સાથે સંવેદનશીલ દરિયાકાંઠાનું પર્યાવરણ પણ જળવાઈ રહ્યું છે. સ્થાનિક પર્યાવરણીય પરિસ્થિતિઓ પર મુખ્યત્વે કુદરતી દરિયાઈ અને ભરતી-ઓટની પ્રક્રિયાઓનો પ્રભાવ પડે છે. અહેવાલમાં દર્શાવવામાં આવેલા વિવિધતા સૂચકાંકો તંદુરસ્ત જીવસૃષ્ટિનો ચિતાર આપે છે અને પર્યાવરણમાં કોઈ નુકસાન થયાના પુરાવા મળ્યા નથી.
અભ્યાસ મુજબ, 40 પ્રજાતિના કુલ 637 પક્ષીઓ નોંધાયા હતા. તેમાં મધ્ય એશિયન ફ્લાયવે મારફતે સ્થળાંતર કરતા પક્ષીઓનો પણ સમાવેશ થાય છે. આ બાબત દર્શાવે છે કે સ્થળાંતર કરતા પક્ષીઓ માટે મીઠાપુર એક મહત્વપૂર્ણ રોકાણ સ્થળ છે. કચરાના નિકાલના સ્થળની સૌથી નજીકના સેમ્પલિંગ સ્ટેશન પર અભ્યાસ દરમિયાન સૌથી વધુ સંખ્યામાં પક્ષીઓ નોંધાયા હતા, જેમાં આશરે 250 ગ્રેટર ફ્લેમિંગોનો સમાવેશ થાય છે. અભ્યાસના તારણો દર્શાવે છે કે સ્થાનિક કાદવવાળા દરિયાકાંઠાના વિસ્તારો આજે પણ વિવિધ પ્રજાતિના પક્ષીઓને ખોરાક મેળવવા માટે અનુકૂળ પરિસ્થિતિ પૂરી પાડે છે.
Avicennia marina પ્રજાતિના મેન્ગ્રોવ વૃક્ષોનું પ્રભુત્વ ધરાવતા મેન્ગ્રોવના વિસ્તારો તંદુરસ્ત હોવાનું જણાયું છે. આ મેન્ગ્રોવ દરિયાકાંઠાને સ્થિર રાખવા તેમજ વિવિધ જીવસૃષ્ટિને રહેઠાણ પૂરું પાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. અહેવાલ મુજબ, પ્લેન્કટોન સમુદાયમાં ફાઇટોપ્લેન્કટોનની 22 અને ઝૂપ્લેન્કટોનની 23 પ્રજાતિઓ નોંધાઇ હતી. આ સ્થિતિ સંતુલિત અને સક્રિય મરિન ફૂડ વેબ તરફ નિર્દેશ કરે છે.
દરિયાઈ પાણીની ગુણવત્તાના વિવિધ માપદંડોની તપાસ દરમિયાન પાણીનું pH, ક્ષારતા, પાણીમાં ઓગળેલો ઓક્સિજન અને જૈવિક ઓક્સિજનની જરૂરિયાત (બીઓડી) જેવા માપદંડો તંદુરસ્ત દરિયાકાંઠાના દરિયાઈ પર્યાવરણમાં જોવા મળતા સામાન્ય સ્તરની મર્યાદામાં હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
ટ્રીટેડ વેસ્ટવોટરના નિકાલ માટેની પાઇપલાઇન પ્રોજેક્ટને મળેલી મંજૂરી હેઠળ દર બે વર્ષે કરવામાં આવતી પર્યાવરણીય દેખરેખની પ્રક્રિયાના ભાગરૂપે આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. ડિસેમ્બર 2025 અને મે 2026માં નિષ્ણાંતો દ્વારા કરવામાં આવેલા ફિલ્ડ સ્ટડી બાદ ચાલુ મોનિટરિંગ પ્રક્રિયા હેઠળ રજૂ કરવામાં આવેલો આ પ્રથમ અહેવાલ છે. ઓગસ્ટ 2026માં જાહેર કરવામાં આવેલા આ અભ્યાસમાં કચ્છના અખાતમાં નિકાલના સ્થળથી 10 કિલોમીટરની અંદર પાણીની ગુણવત્તા, દરિયાઈ કાંપની ગુણવત્તા, દરિયાઈ જીવવિજ્ઞાન, વનસ્પતિની વિવિધતા અને પક્ષીઓની વિવિધતાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.
સીએસઆઈઆર-સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સીએસઆઈઆર-સીએસએમસીઆરઆઈ), કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (સીએસઆઈઆર), ભારત સરકારની અગ્રણી રાષ્ટ્રીય સંશોધન પ્રયોગશાળાઓમાં સ્થાન ધરાવે છે. ગુજરાતના ભાવનગર ખાતે આવેલી સીએસઆઈઆર-સીએસએમસીઆરઆઈ નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ (એનએબીએલ) હેઠળ માન્યતા પ્રાપ્ત પરીક્ષણ પ્રયોગશાળા છે. દરિયાઈ પર્યાવરણ, સૉલ્ટ ટેક્નોલોજી તથા પર્યાવરણીય મોનિટરિંગના ક્ષેત્રમાં તે ભારતની અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થાઓમાંની એક છે.
સીએસઆઈઆર-સીએસએમસીઆરઆઈનો મૂલ્યાંકન અહેવાલ ટાટા કેમિકલ્સની વેબસાઇટ પર ઉપલબ્ધ છે અને તેને અહીંથી જોઈ શકાય છે.
