
ગુજરાતના પ્રવાસે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સાસણ ગીરમાં જંગલ સફારી બાદ સિંહ સદનમાં સ્થાનિક જનજાતિઓના લોકો સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. આ સંવાદ દરમિયાન આદિવાસી સમુદાયના લોકોએ રાષ્ટ્રપતિ સમક્ષ તેમની ફરિયાદો અને સમસ્યાઓ ખુલ્લેઆમ રજૂ કરી હતી, જેમાં મુખ્યત્વે અનાજ અને પૂરતી સુવિધાઓ ન મળવાની રજૂઆત કરવામાં આવી હતી.
સ્ટેજ પરથી નીચે આવીને રાષ્ટ્રપતિએ ફરિયાદ સાંભળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સમક્ષ સ્થાનિક લોકોએ ગુજરાતમાં પૂરતું અનાજ ન મળતું હોવાની ફરિયાદ કરી હતી. ફરિયાદો સાંભળીને એક આદિવાસી મહિલાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સમક્ષ રજૂઆત કરી કે, ‘તેમને પૂરતી સુવિધા મળતી નથી અને રાશન પણ ઓછું મળે છે.’ મહિલાના કહેવા મુજબ, તેમને માત્ર 2 કિલો રાશન જ આપવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે તેમના સમુદાયના બહુ ઓછા લોકો પાસે નોકરી છે, જેના કારણે તેમને ગુજરાન ચલાવવું મુશ્કેલ છે. મહિલાએ એમ પણ જણાવ્યું કે જ્યારે તેઓ આ મુદ્દે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેમને દબાવી દેવામાં આવે છે.રાષ્ટ્રપતિ સ્ટેજ પરથી નીચે આવ્યા હતા અને લોકોની વાત ધ્યાનથી સાંભળી હતી.


