
માનસ અપરાધની નવમાં દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ ગઈકાલના અનુસંધાને, હું એ ભાઈ બહેનોને મળવા જઈશ તો પુછ્યુ છે કે શુ આ પ્રયાસ સરાહનીય છે? શું એ લોકો સુધરશે? મારું ક્ષેત્ર સુધારવાનું છે નહીં! ગૂંચવાયેલી સમસ્યાને સુલઝાવવા ગયા એ ખુદ ગૂંચવાઈ ગયાં છે. મારા રામે સૌને સ્વીકાર્યા છે, અહલ્યાને સ્વીકારી, કેવટોને સ્વીકાર્યા, શબરીને સ્વીકારી, રીંછ વાનર ભાલૂઓને સ્વીકાર્યા, પતિતો,પીડિતોને સ્વીકાર્યા, વૃક્ષ, જળાશય, સાગર,પત્થરને સ્વીકાર્યા, આ શાસ્ત્ર સ્વીકારનું છે.
થોડા પ્રશ્નોની વાત કરી આગળ વધું, રામનામને મંત્ર અને નામ બંનેની ઉપાધિ આપવામાં આવી છે, અને મંત્ર ગુરુ વિના ફલિત નથી થતો! તો શું રામનામ કે મંત્ર માટે દિક્ષા અનિવાર્ય છે? અને દીક્ષા લીધા વિના શું રામ નામ જપવાથી પ્રભાવ પડે છે? મંત્ર કોઈ ગુરુ પાસેથી લેવામાં આવે એવી એક પરંપરા છે, પરંતુ આજે સવાલ છે ગુરુ મળે કે ના મળે! અથવા મળે તો પણ આપણે એને ઓળખી શકીએ, કે કેમ યોગ્ય પાત્ર છે કે નહીં? એ બધું વધારે મુશ્કેલ છે. રામ નામ પણ છે અને મંત્ર પણ છે, એને માટે કોઈ પાસે દીક્ષિત હોવું પડે, એ અનુસાર રામચરિત માનસ સ્વયંમ સદગુરુ છે, અને એ સદગ્રંથ પાસેથી દીક્ષા લઈને આપણે રામનામ જપવાની શરૂઆત કરીએ, તો એ જરૂર ફળદાયી સાબિત થાય છે.
મુખ્ય વિષય પર આગળ વધતા કહ્યું ભરતની ચિત્રકૂટની યાત્રા વખતે ભરતનો પ્રેમ જોઈને દેવરાજ ઇન્દ્ર ચિંતિત થઈ જાય છે, અને એ દેવગુરુ બ્રહસ્પતિને ભરત મેળાપ થાય નહીં, એ માટે કંઈક યોજના બનાવવાનું કહે છે. ત્યારે બૃહસ્પતિ કહે છે કે રામનો સ્વભાવ છે કે, પોતાનો કોઈ અપરાધ કરે તો દુઃખી થતાં નથી, પરંતુ એમનાં ભક્તનો કોઈ અપરાધ કરે તો, એ રોષાગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય છે.
જાઈ જોગ જગ છેમ વિનુ તુલસી કે હિત રાખિ,
બિનુ અપરાધ ભૃગુપતિ નહુષ બેનુ બૃકાસૂર સાખિ.
દોહાવલી રામાયણમાં તુલસી કહે છે, એ મુલાકાત શું કામની? જે આપનું વર્ણન ન કરે, આપણું પોષણ ન કરે, સંસ્કૃતમાં જેને આપણે યોગક્ષમ કહીએ છીએ. યોગ એટલે મળવું, ક્ષેમ એટલે વૃદ્ધિ થાય, પોષણ થાય, સુરક્ષા થાય, તુલસી દોહાવલી રામાયણમાં કહે છે એ મુલાકાતનો કોઈ અર્થ નથી, જેમાં પ્રેમ ગતિ ન કરે જે આગળ ન વધે જેની સુરક્ષા ન થાય જે ફલિત ન થાય એ યોગનો શું અર્થ? ચાર લોકો સાક્ષી છે જે બીન અપરાધીને મુશ્કેલીમાં મૂકવા ગયા તો ભગવાન જૂને પ્રેમ કરતા હતાં, જેના યોગક્ષેમની રક્ષા કરતા હતાં, એ ચારેયની બદનામી થઈ. ગોસ્વામીજી કહે છે કે ભૃગુપત્તિ નહુષ વેણુરાજ અને બકાસુર એના દ્રષ્ટાંત છે. સૌથી મોટો અપરાધ આજે હું કહીને જાઉં. બીન અપરાધી પર અપરાધનો આરોપ લગાવવો, બસ એટલી ગાંઠ બાંધીને જાવ,કે આવું ક્યારેય ન થાય. જતા જતા હું ડરાવવા નથી માંગતો, મારી પૂરી કોશિશ રહી છે કે, તમે સ્વસ્થ રહો, પરંતુ બિન અપરાધી પર અપરાધનો આરોપ લગાવવા જેઓ બીજો કોઈ મોટો અપરાધ નથી! એમની રક્ષા તો રઘુપતિ જેમનું હિત ઇચ્છતા હોય એ જ કરી શકે છે. પરમાત્મા પ્યાર કરે છે, પરમાત્મા જેને સુરક્ષા આપે છે, એવા બીન અપરાધી પર અપરાધનો આરોપ લગાવવો, એ સૌથી મોટો અપરાધ છે, અને દોહાવલી રામાયણમાં તુલસી આ ચાર લોકોનું દ્રષ્ટાંત આપે છે.
ભૃગુપતિ એ ઘણા બીન અપરાધી રાજાઓની હિંસા કરી, કેમ કે 21 વાર પૃથ્વી નક્ષત્રિય કરી એમાં દોષી નિર્દોષી બધા જ આવી ગયા હશે, સામૂહિક સંહાર! સાધુ રાજાઓ પણ ઘણા માર્યા ગયા હશે! તે કહે છે હું આવો યજ્ઞ કરું છું, એમાં મેં ઘણી આહુતિઓ આપી છે, બધાને ખતમ કરી દીધા! જ્યારે રામે દિન અપરાધીઓને બચાવી લીધાં, એટલા માટે ભગવાન રામની ક્ષમા માંગીને એમને તપ કરવાં માટે નીકળવું પડ્યું.
નહુષને ઇન્દ્રપદ મળ્યું, યજ્ઞ કરે છે તો ઈન્દ્રની ગાદી મળ્યા પછી, એ બ્રાહ્મણોને અને ઋષિમુનિઓને કહે છે મારી પાલકીનું વહન કરો. ઋષિમુનિઓ પાસે પાલખી ઉપાડવી અને એનું સ્વર્ગથી પતન થયું, વેણુ રાજાએ પણ એવું કામ કર્યું, તો મારા ભાઈ બહેનો આપણે એટલું જ સમજીએ બિન અપરાધી પર અપરાધનો આરોપના લગાવીએ. રાવણના અપરાધની વાત કરી.
કહ દસકંધર કવન કે બંદર,
મૈં રઘુવીર દૂત દસકંધર.
અંગત જ્યારે રાજદૂત બની લંકાની સભામાં જાય છે ત્યારે અંગદનો વિનાય અકબંધ છે, પરંતુ રાવણ વિવેક ચૂકી ગયો. રાવણે એનો પ્રભાવ જોયો, કે આટલા રાક્ષસોની વચ્ચે નિર્ભિકતાથી આવ્યો છે. અંગદને જોઈને આખી સભા ઉભી થઇ, એક રાવણ ઉભો ન થયો, અને કહ્યું, તું ક્યાંનો વાનર છે? દૂતને વાનર કહેવું એ વિવેકની વાત નથી. અંગદ એ અડધી પંક્તિમાં જવાબ આપી દીધો,કે મૈં રઘુવીર દૂત દસકંધર.
હું વાનર છું તો શું થયું! વાનરને તો એક મુખ હોય, તારે તો દસ છે, તું તો જરાય સુંદર નથી! આગળ અંગદ કહે છે તારું ઉત્તમ કુળ છે, તારો પુલીસ્ત સાથે નાતો છે, સાંભળ્યું છે તે શંકરને ખૂબ ભજ્યા છે, તે બ્રહ્મા શિવ પાસેથી મોટા મોટા વરદાનો પ્રાપ્ત કર્યા છે, તે ઘણું સારું પણ કર્યું છે, પણ તે શું નથી કર્યું એ હવે સાંભળ!
નૃપ અભિમાન મોહ બસ કિંબા,
હરિ આનિહ સીતા જગદંબા.
તુલસી કહે છે મોહને કારણે અપરાધ થાય છે, અને બીજું અભિમાનને કારણે પણ અપરાધ થાય છે. તારો જાનકી પ્રત્યે મોહ હતો, અને એ કોણ છે? એ જાણ્યું નહીં, અને તેમાં સીતાનું અપહરણ કર્યું! તું પૂજક છે, સાધક છે, પરંતુ તે મોહ અને અભિમાનને વશ થવાને કારણે સીતા કે જે જગદંબા છે એનું અપહરણ કર્યું.
અબ સુભ કહા સુનહુ તુમ્હ મોરા,
સબ અપરાધ છમિહિ પ્રભુ તોરા.
હે રાવણ હવે મારી શુભકથા અને કલ્યાણકારી કથા સાંભળ, ભગવાન તારા બધા અપરાધો માફ કરી દેશે! જાણે કે તુલસી આપણને કહે છે તારાથી ભલે ગમે એટલા પણ અપરાધ થઈ ગયા હોય, મારા શ્રોતા પરંતુ રામની કથા સાંભળ તારા બધા અપરાધોરામ માફ કરી દેશે! પણ અંગદને લાગ્યું કે આ માણસ સાંભળે એવો નથી. અવિવેકી છે, મને વાનર કહીને બોલાવે છે, તો અંગદને થયું, રાજનીતિમાં તો જેવી બોલી હોય એવી બોલી બોલવામાં આવે એ રાજદૂત છે.
દસન ગહુહ તૃન કંઠ કુઠારી.
ભગવાન તારા બધા અપરાધ માફ કરી દેશે, પણ તારે તારા દાંતમાં તણખલું લઈ, અને કંઠ પર કુહાડી રાખ, રાવણને આવું કહેવું એટલે! રાવણના દસ મુખ છે, રાવણે રામનાં દસ અપરાધ કર્યા છે. વીસ હાથમાંથી એક હાથમાં કુહાડી લઈને તારી ગરદન પર રાખ! પરંતુ શા માટે! અંગદના કહેવાનો મતલબ છે, કે તારો નાશ તું સ્વયં કરવા જઈ રહ્યો છે, પણ તારા કુટુંબ કબીલા બધાને સાથે લઈને રામના શરણે આવ અને શ્રદ્ધાથી આદર સાથે મારી મા જાનકીને આગળ કર, એ રીતે તું ભગવાનને શરણે જા તારી આંતરવાણી સાંભળીને મારા રાઘવ તને માફ કરી દેશે, તને ક્ષમા આપી દેશે. આ અપરાધનો આખરી ચરણ હતું, ત્યારબાદ આપણે જાણીએ છીએ કે મંત્રણા નિષ્ફળ ગઈ, યુદ્ધ અનિવાર્ય થયું. લંકા ના મેદાનમાં ભયંકર યુદ્ધ થયું, ભગવાને કુંભકરણ, ઇન્દ્રજીત સહિત બધા રાક્ષસને નિર્વાણ પદ આપ્યું.ત્રીસમા બાણે દસ મસ્તક અને વીસ ભૂજા, એકત્રીસમા બાણે નાભિમાં! રામ ક્યાં છે એવું રાવણ જીવનમાં પહેલીવાર બોલ્યો, રાવણના ચહેરાનું તેજ ભગવાનના શરીરમાં સમાઈ ગયું, અને રાવણનું નિર્માણ થયું! અને ત્યારબાદ કથાના ક્રમમાં કથાને ચારે ઘાટ પરથી વક્તાઓએ સમાપ્ત કરી, ત્યાં સુધીની કથા કહી કથાને વિરામ આપ્યો.
સંકલન- ફાલ્ગુની વસાવડા (ભાવનગર)


