
અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સની ત્રીજી ફ્લાઇટ રવિવારે જ અમૃતસર આવી પહોંચી હતી. જેમાં 112 ભારતીયોને અમેરિકાથી ડિપોર્ટ કરાયા હતા. અમેરિકન ઍરફોર્સનું વિમાન RCH869 મોડી રાત્રે અમૃતસર ,ઍરપોર્ટ પર લેન્ડ થયું. ત્રીજી ફ્લાઇટમાં હરિયાણાના સૌથી વધુ 44, ત્યારબાદ ગુજરાતના 33 અને પંજાબના 31 લોકો સામેલ હતા. જ્યારે અન્ય ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના હતા. તેમાંથી 33 ગુજરાતીઓ આજે બે ફ્લાઇટમાં અમદાવાદ આવવાના હતા. તેમાંથી 4 તો અમદાવાદ ઍરપોર્ટ પર આવી પહોંચ્યા છે અને બાકીના 29 બપોરની ફ્લાઇટમાં આવી ગયા. અમદાવાદ ઍરપોર્ટ પર પહોંચેલા 4 ગુજરાતીઓના વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી અને પછી બાકીના 29ની વેરિફિકેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
બે ફ્લાઇટમાં 33 ગુજરાતીઓને અમદાવાદ લવાયા :
માહિતી અનુસાર અમૃતસરથી બે ફ્લાઇટમાં અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓને અમદાવાદ લાવવામાં આવ્યા હતા. તેમાં પહેલી ફ્લાઇટમાં 4 અને બીજી ફ્લાઇટમાં 29 લોકોને અમદાવાદ લાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાથી ત્રણ વિમાનોમાં કુલ 78 ગુજરાતીઓને અત્યાર સુધી ડિપોર્ટ કરવામાં આવ્યા છે. જેમાં પહેલી ફ્લાઇટમાં 37, બીજીમાં 8 અને ત્રીજી ફ્લાઇટમાં ફરી 33 લોકોને અમૃતસર ડિપોર્ટ કરાયા હતા.