
અમદાવાદ મંડળ તેના રેલ નેટવર્કને વધુ સક્ષમ, સુરક્ષિત અને ભવિષ્યની આવશ્યકતાઓને અનુરૂપ વિકસાવવા માટે સતત પ્રયત્નશીલ છે. આ ક્રમમાં ગુજરાતના ગાંધીધામ–આદિપુર રેલખંડ વચ્ચે ચૌહરીકરણ તથા આદિપુર સ્ટેશન પર ‘વાય’ કનેક્ટિવિટીનું મહત્વપૂર્ણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ખંડનું 9 ફેબ્રુઆરી 2026ના રોજ શ્રી ઈ. શ્રીનિવાસ, રેલ સુરક્ષા આયુક્ત (CRS), પશ્ચિમ સર્કલ દ્વારા ટ્રોલી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
નિરીક્ષણ ટીમમાં અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ, મુખ્ય વહીવટી અધિકારી (નિર્માણ) શ્રી પ્રદીપ ગુપ્તા, મુખ્ય ટ્રેક ઈજનેર, મુખ્ય સંચાલન પ્રબંધક (જી) તેમજ નિર્માણ અને ઓપન લાઇન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સામેલ હતા.
આ પ્રોજેક્ટ અંતર્ગત 17 કિમી ટ્રેક લિંકિંગ, 8 નાના પુલોના નિર્માણ તેમજ 2.60 લાખ ઘન મીટર અર્થવર્ક કરવામાં આવ્યું છે. આદિપુર સ્ટેશન પર સિગ્નલ તથા ટેલિકોમ્યુનિકેશન (S&T) અને ઓપરેટિંગ કન્ટ્રોલ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ચોથી લાઇન સહિત સમગ્ર સેકશનનું વિદ્યુતીકરણ પૂર્ણ થયું છે. ગોપાલપુર સ્ટેશનને આધુનિક સ્ટેશન તરીકે વિકસાવવામાં આવ્યું છે. ગાંધીધામ બી કેબિનમાં 16 નવા પોઇન્ટ્સ અને ક્રોસિંગ તેમજ આદિપુર સ્ટેશન પર 21 નવા પોઇન્ટ્સ અને ક્રોસિંગ સાથે 1 લૂપ લાઇન સહિત મહત્વપૂર્ણ યાર્ડ રીમોડેલિંગના કાર્ય કરવામાં આવ્યા છે.
ગાંધીધામ–આદિપુર બ્રોડગેજ રેલખંડ કંડલા અને મુન્દ્રા બંદરો સહિત ભુજ, વાયોર તથા અન્ય વિસ્તારોને દેશના વિવિધ ભાગો સાથે જોડતો એક અત્યંત મહત્વપૂર્ણ માલ પરિવહન માર્ગ છે. હાલમાં આ ખંડ અત્યંત વ્યસ્ત હોવાથી સંચાલન પર દબાણ રહે છે, જેને ઘટાડવા માટે બે વધારાની લાઇનોની જરૂરિયાત અનુભવાઈ રહી હતી. આ માર્ગ પરથી મીઠું તથા સામાન્ય માલની પણ મોટા પાયે હેરફેર થાય છે અને મુન્દ્રા બંદરની વધતી ક્ષમતાને ધ્યાનમાં લેતા ભવિષ્યમાં યાતાયાત વધુ વધવાની સંભાવના છે.
આ ખંડ અમદાવાદ મંડળનો સર્વાધિક GMT (ગ્રોસ મિલિયન ટન) લોડિંગ ધરાવતો સેકશન છે, જ્યાંથી દર વર્ષે 70થી વધુ GMT લોડિંગ થાય છે. ચૌહરીકરણથી લાઇન ક્ષમતામાં વધારો થશે, જેના કારણે ટ્રેનોનું સંચાલન વધુ સુરક્ષિત, સમયબદ્ધ અને સુચારુ બનશે. પરિણામે મુસાફર ટ્રેનોની સમયપાલનમાં સુધારો થશે, પીક સમયમાં સંચાલન સરળ બનશે તેમજ નવી ટ્રેનો અથવા વધારાના ફેરાઓની શક્યતાઓ વધશે.
ગોપાલપુર નવા સ્ટેશનના નિર્માણથી અમદાવાદ તરફથી આવતી ગાડીઓને ભુજ જવા માટે ગાંધીધામમાં એન્જિન રિવર્સલ કરવાની જરૂર રહેશે નહીં, જેના કારણે આશરે 20–25 મિનિટનો સમય બચશે. આદિપુર સ્ટેશન પર ‘વાય’ કનેક્ટિવિટી ઉપલબ્ધ હોવાથી ટ્રેનોને દિશા પરિવર્તન કરવું પડશે નહીં, પરિણામે સમય અને ઇંધણ બંનેની બચત થશે અને સંચાલન વધુ સરળ બનશે.
આ પ્રોજેક્ટથી કંડલા તથા મુન્દ્રા બંદરો સાથે જોડાયેલા કન્ટેનર, પેટ્રોલિયમ, ખાતર, અનાજ તેમજ અન્ય માલના પરિવહનમાં ઝડપ આવશે. માલગાડીઓનો ટર્નઅરાઉન્ડ સમય ઓછો થશે, વેગનોનો વધુ સારો ઉપયોગ શક્ય બનશે તથા લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો થશે, જેના કારણે ઉદ્યોગો અને વેપારને સીધો લાભ મળશે. સાથે સાથે આ પ્રોજેક્ટ કચ્છ વિસ્તારના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા, વેપાર, પર્યટન અને રોજગારના અવસર વધારવા તેમજ રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવામાં સહાયક સાબિત થશે.
ગાંધીધામ–આદિપુર ચૌહરીકરણ તથા ‘વાય’ કનેક્ટિવિટી પ્રોજેક્ટ ક્ષેત્રીય વિકાસ અને મજબૂત રેલ અવસંરચનાની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે, જે કચ્છ ક્ષેત્રના સામાજિક–આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપશે.


