
આ સમારંભમાં મુખ્યમંત્રીશ્રી ઉપરાંત કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી શ્રી કૌશિક વેકરિયા તથા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલને કરાયા સન્માનિત

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત મહાસંમેલન અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તથા રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીશ્રીઓનો અભિવાદન સમારંભ યોજાયો હતો.
આ સમારંભમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પટેલ સમાજ સેવા, સમર્પણ અને સહયોગ જેવા સિદ્ધાંતો પર ચાલે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સૌનો સાથ સૌનો વિકાસ’ના મંત્રને પટેલ સમાજે પચાવ્યો છે. સૌ સમાજો સાથે મળીને આગળ વધે તો કેટલી ઝડપે અને વ્યાપક સ્તરે વિકાસ થઈ શકે, એનું આગવું ઉદાહરણ આજની વિશાળ જનમેદની પૂરું પાડી રહી છે, એવું તેમણે ઉમેર્યું હતું.
પટેલ સમાજની સિદ્ધિઓ વિશે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પટેલ સમાજ માત્ર એક જ્ઞાતિ નહિ, મહેનત, સ્વાભિમાન અને રાષ્ટ્રનિર્માણનું પ્રતીક બનીને ઉભરેલો સમાજ છે. દેશમાં કે વિદેશમાં રહીને વિશ્વ સાથે સ્પર્ધા કેવી રીતે કરી શકાય, એ પટેલ પરિવારોએ શીખવ્યું છે.
સરદાર વલ્લભભાઈ પટેલને ભાવાંજલિ આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આપણે સૌ લોહપુરુષ સરદાર સાહેબના વારસદારો છીએ. સરદાર પટેલ આપણા માટે માત્ર ઇતિહાસ-પુરુષ નહિ, પરંતુ સમાજસેવાથી રાષ્ટ્રસેવાની દિશા આપનારા પ્રેરણા-પુરુષ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ
સરદારસાહેબની વિચારધારાને આગળ વધારી છે અને જનજન સુધી વિસ્તારી છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ પર્યાવરણ-મિત્ર ગ્રીન ગ્રોથ સાથેના વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે ત્યારે આપણે સૌએ એક પેડ માં કે નામ, કેચ ધ રેન, સોલાર રુફ ટોપ જેવા અભિયાનો સાથે જોડાવું જોઈએ. વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે અહીં ઉપસ્થિત સૌ સમાજો, આગેવાનો અને નાગરિકોને સ્વદેશી અપનાવીને વોકલ ફોર લોકલ તેમજ લોકલ ફોર ગ્લોબલનો મંત્ર અપનાવવા મારો અનુરોધ છે, એવું ઉમેર્યું હતું.
ભાજપના નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ તથા રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીશ્રીઓનું અભિવાદન કરવા બદલ મુખ્યમંત્રીશ્રીએ સમાજના આગેવાનોનો આભાર માન્યો હતો.


