
ગુજરાતના વહીવટી તંત્રમાં ખળભળાટ મચાવતા સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અંદાજે 1500 કરોડ રૂપિયાના જમીન કૌભાંડ મામલે EDની ત્રણ ટીમોએ ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને લાંબી પૂછપરછ કર્યા બાદ આ કડક કાર્યવાહી કરી છે. તેમની આશરે ત્રણ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. હવે તેમને વિશેષ અદાલતમાં રજૂ કરીને રિમાંડની માગ કરવામાં આવશે. સુરેન્દ્રનગરમાં ખેતીની જમીનને NA (બિનખેતી) કરાવવાના મોટા પાયે ચાલેલા ખેલમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. આ કૌભાંડની ગંભીરતાને જોતા EDએ 23 ડિસેમ્બર, 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા.આ તપાસમાં સામે આવ્યું હતું કે, સત્તાનો દુરુપયોગ કરીને કરોડોની જમીન બિનખેતી કરવાના બદલામાં મોટી રકમની લેતીદેતી થઈ હતી. આ મામલે અગાઉ સુરેન્દ્રનગર એસીબી (ACB)માં પણ ભ્રષ્ટાચાર નિરોધક ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.આજે વહેલી સવારથી જ EDની ત્રણ અલગ-અલગ ટીમો રાજેન્દ્ર પટેલના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, કલાકો સુધી ચાલેલી સઘન પૂછપરછમાં અધિકારી સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા, જેના પરિણામે તેમની ધરપકડ કરવામાં આવી છે.


