
ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. ખેડૂતોના પ્રશ્નો અને મોંઘવારીના મુદ્દે સરકારને ઘેરવા માટે કોંગ્રેસે આજથી ઉત્તર ગુજરાતમાં ‘જન આક્રોશ યાત્રા’નું રણશિંગું ફૂંક્યું છે. બનાસકાંઠાના વાવ-થરાદ પંથકના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ખાતે ભગવાન ધરણીધરના દર્શન કરી કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ આ યાત્રાની શરૂઆત કરી હતી. આ જન આક્રોશ યાત્રા તારીખ 21 નવેમ્બરથી શરૂ થઈને 3 ડિસેમ્બર સુધી ચાલશે. યાત્રાના પ્રથમ દિવસે ઢીમાથી પ્રસ્થાન કર્યા બાદ કાફલો થરાદ, લાખણી, ગેલા, લાલપુર, દેતાલ (દુવા), ઉટવેલિયા અને સિધોતરા થઈને ‘રાહ’ મુકામે પહોંચશે. આ યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતાઓ ઠેર-ઠેર સભાઓ યોજીને જનસંપર્ક કરશે.મંદી, મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવા સળગતા મુદ્દાઓથી ત્રસ્ત ગુજરાતની જનતાના હક અને અધિકારની લડતને બુલંદ કરવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓએ રેલીમાં સરકાર સામે હુંકાર ભર્યો હતો. હાલમાં ખેડૂતોના મુદ્દે રાજકારણ ગરમાયું છે ત્યારે કોંગ્રેસ આ યાત્રાના માધ્યમથી ખેડૂતો અને યુવાનોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે.


