
માનસ સુંદરકાંડની સાતમા દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું કે રામચરિત માનસ એ સંવાદની કથા છે. ઉમા શંભુનો સંવાદ, યાજ્ઞવલ્ક અને ભારદ્વાજનો સંવાદ, કાગભુષંડી અને ગરુડનો સંવાદ, તુલસી પોતાનાં મન સાથે સંવાદ કરી રહ્યા છે. કથાના મૂળ વિષયમાં પ્રવેશ કરતા કહ્યું કે હનુમાનજીએ અશોકવાટિકામાં મધુર ફળ ખાધાં! કેમકે એમને ભૂખ લાગી હતી હનુમાનજીની પહેલી દીક્ષા ભૂખ છે, અને મનુષ્યની જન્મ પછીની પહેલી દીક્ષા આંસુ છે. આધ્યાત્મિક ભૂખથી એક છોકરો અને છોકરી જન્મે છે, ભૂખનાં ગર્ભમાંથી એક કન્યા એટલે કે ભીખનો જન્મ થાય છે, જ્યારે ક્યારેક ક્યારેક ભૂખને કારણે ભેખનો પણ જન્મ થાય છે. હનુમાનજીના જન્મની પહેલી જ દીક્ષા ભૂખ છે, હનુમાનજી સૂર્યગ્રહણના દિવસે જન્મ્યા અને
બાલ સમય રવિ ભક્ષિ લિયો તબ,
તીનહું લોક ભયો અંધિયારો.
જુગ સહસ્ત્ર જોજન પર ભાનૂ,
લીલ્યો તાહિ મધૂર ફલ જાનૂ.
આટલો બધો દૂર સૂર્ય છે, છતાં પણ સૂર્યને ફળ સમજીને ગળી ગયાં! પરંતુ હનુમાનજી જેવાં વિવેકી આપણને ચિંતન કરવાં માટે પ્રેરે છે કે, હનુમાનજીને કયા પ્રકારની ભૂખ છે આ! શાસ્ત્રોમાં જ્ઞાનને પ્રકાશ કહ્યો છે, હનુમાનજી સુરજને પકડે છે. વિજ્ઞાનની રીતે ન વિચારો, પણ આ વાનર માણસ છે કે રોકેટ! સંપાતી અને જટાયુ પણ સુરજને લેવાં નીકળ્યાં હતાં. તત્વબોધ કહે છે જ્ઞાન બહુ દૂર છે! હનુમાનજી જ્યારે સૂર્યને ગળવાં ગયા ત્યારે રાહુ એની સાથે સમાનતરે દોડતો હતો, એને અમાસનું ગ્રહણ કરવાનું હતું, પરંતુ એ પહેલા હનુમાનજીએ અંધારું કરી દીધું, અને રાહુએ ઇન્દ્ર પાસે ફરિયાદ કરી. ઈન્દ્રએ ક્રોધિત થઈને હનુમાનજી પર બ્રહ્માસ્ત્ર ફેંક્યું, અને આગળની કથાથી આપ વાકેફ છો કે પવનદેવ ગુસ્સે થયાં, વાયુને પાછો ખેંચી લીધો, અને પૃથ્વીના લોકો મરી જશે તો! ઈન્દ્રએ પવનદેવની માફી માગી!; સેવા કરો તો પવનની જેમ સેવા કરો, કોઈને દેખાય નહીં. દેવ અને દાનવ બંને સ્વાર્થી છે, બંનેનો હેતુ પણ એક જ છે, ભોગ પ્રાપ્ત કરવાનો. દેવ તપ અને યજ્ઞ દ્વારા પુણ્ય પ્રાપ્ત કરી સ્વર્ગમાં આવે છે, જ્યારે દાનવો પોતાની શક્તિથી સ્વર્ગ પર ચડાઈ કરી જીતી લે છે.
હનુમાનજી અશોકવાટિકામાં મધુર ફળ ખાઈને ઊભાં હતાં અને ઈન્દ્રજીત આવ્યો, જેણે અક્ષયને માર્યો છે વાનર મારે જોવો છે! હનુમાનજીને બાળપણમાં જ બ્રહ્માસ્ત્ર કંઈ નહીં કરી શકે, એવું વરદાન મળ્યું હતું, છતાં બ્રહ્માસ્ત્રનું માન રાખવા હનુમાનજી મૂર્છિત થઈ ગયાં, બાકી કોઈ સંતને મૂર્છિત કરી શકાતાં નથી.
હનુમાનજી ઇન્દ્રજીતની સેના પર પડ્યાં, અને અનેક રાક્ષસો માર્યા ગયાં, સાધુ આ રીતે દુર્ગુણ ને ખતમ કરે છે. પરંતુ પડવું હોય તો પ્રભુનાં ચરણમાં પડવું. હનુમાનજી સીતાજીની ખબર લાવ્યાં રામજી હનુમાનજીને ગળે લગાવે છે, અને કહે છે કે, અમે તારા ઋણમાંથી ક્યારેય મુક્ત નહીં થઈ શકીએ, ભગવાન રામ એની પ્રશંસા કરવા લાગ્યાં, એ વખતે તેઓ પડી ગયાં, પ્રસંસા થી અહંકાર ન આવે માટે, તેઓ પ્રભુના ચરણમાં પડ્યાં. ચિત્રકૂટમાં ભરતજી રામનાં ચરણોમાં ઢળી પડ્યાં, પડવું ત્યાં જ્યાંથી કોઈ ઉઠાવે. ઇન્દ્રજીતની સેના પર હનુમાનજી પડ્યા તો ઇન્દ્રજીતે નાગપાશ ફેંકીને હનુમાનજીને બાંધી લીધાં. શંકરે ભવાની ને કહ્યું એ તો પ્રભુ કાર્ય માટે બંધાયા છે, ચારે બાજુ નાગ આવી ગયાં એમને સારું લાગ્યું. હનુમાન શંકર અવતાર છે, નાગ પણ પોતાનાં માલિકને મળીને ખુશ છે. સદગુરુ ક્યારેક વેશથી, વાણીથી, વર્તનથી, કે વિચારથી, પ્રક્ષેપણ કરી આશ્રિતને સંકેત કરે છે. હનુમાનજી ને રાવણનાં દરબારમાં લઈ આવ્યાં. હનુમાનજીને થયું, ચેલો સમૃદ્ધ બહુ છે, પરંતુ એમને જોવું હતું, કે ચેલો જાગૃત છે કે સૂતો છે? રાવણે પૂછ્યું કોણ છે તું? કોના બળથી તુ આ બધું કરી રહ્યો છે? મારા રાજમાં સૂરજ પણ હું કહું એટલો જ એ તપે છે, અને તું આટલો નિર્ભીક! તું છે કોણ? અને હનુમાનજી વૈશ્વિક જવાબ આપતા કહે છે.
સુનુ રાવન બ્રહ્માંડ નિકાયા,
પાઈ જાસુ બલ બિરચિત માયા.
માયા જેમનું બળ પ્રાપ્ત કરીને સર્જન કરે છે, એમના બળથી આ સૃષ્ટિનું નિર્માણ, પાલન, પોષણ, અને વિસર્જન થાય છે, એમનું બળ છે આ. તારા રાક્ષસો મને મારવાં આવ્યાં મને ભૂખ લાગી હતી, તો ધરતીની પુત્રી જાનકીની આજ્ઞાથી ફળ ખાધાં. રાવણ મૃત્યુદંડનું એલાન કરે છે, પરંતુ એ જ સમયે વિભીષણ સભામાં પ્રવેશ કર્યો, અને કહ્યું
નીતિ વિરોધ ન મારિય દૂતા,
આન દંડ કછુ કરિઅ ગોસાઈ.
ભક્તિ કરનારને સંકટ આવે, પરંતુ આખરે કોઈને કોઈ સહાય પણ આવે, એ રીતે વિભીષણ આવ્યાં. અંતે વાનરને પૂંછ બહુ પ્રિય હોય છે, એટલે એને બાળી નાખવાનો આદેશ થયો. આખી લંકાના કપડા ઘી તેલ હનુમાનજીની પૂછ પર લપેટે છે, પરંતુ હનુમાન પૂંછ લાંબી કરતાં ગયાં! ભગવાન ભક્તની પ્રતિષ્ઠા પર આચ આવવા દેતાં નથી, અને વધારી દે છે, એ આ કથાનો સાર છે.
આખી લંકામાં હનુમાનજીને ફેરવવામાં આવ્યા લોકો મજાક કરી રહ્યા છે પછી હનુમાનજીની પૂંછ ને આગ લગાવવામાં આવી.
પાવક જરત દેખી હનુમંતા,
ભયઉ પરમ લઘુ રુપ તુરંતા.
હનુમાનજી નાનું રૂપ ધારણ કરી, અટારી પરથી બીજી અટારી પર, આમ આખી લંકામા આગ ફેલાઈ ગઈ, એક વિભીષણનું ઘર બાળ્યું નહીં.
હનુમાનજી અશોકવાટિકામાં પાછાં આવ્યાં. જાનકીજીએ પૂછ્યું લંકામાં આટલી બધી આગ કેમ લાગી? હનુમાનજીએ વાતને ટાળી દેતાં કહ્યું કે, મોટા નગરમાં આવું તો થતું રહે! આગ મેં નથી લગાવી, આપના સંતાપનો પ્રતાપ છે, આપનો વિરહાગ્નિ છે, પરમાત્માનાં પ્રભાવથી આગ લાગી છે, સાચું કહું રાવણના પાપે આગ લગાવી છે. હવે મા મને કોઈ નિશાની આપો, પ્રભુ પાસે આપનો કોઈ સંદેશ લઈને જાઉં. જાનકીજીએ તરત જ ચૂડામણી ઉતારીને આપી, હનુમાનજીને કહ્યું ભગવાનને કહેજો, આપ દિનદયાળુ છો, હવે વિલંબ ન કરો! હનુમાનજીએ કહ્યું મા, હું તો અત્યારે જ તમને લઈ જાઉં, પરંતુ મને આજ્ઞા નથી. થોડા સમય માટે ધૈર્ય ધારણ કરો. અનુજ સાથે પ્રભુ આવશે, ચૂડામણી લઈને હનુમાનજી પાછા ફર્યા. મુદ્રિકા લઈને જ્યારે સમુદ્ર ઓળંગ્યો ત્યારે કેટલા બધા વિધ્નો આવ્યાં હતાં, પરંતુ પાછાં ફરે છે, ત્યારે કોઈ વિધ્ન આવ્યું નહીં, કારણ કે માના આશીર્વાદથી, માના વરદાનથી, માર્ગની બધી જ બાધાઓ દૂર થઈ ગઈ.
હનુમાનજીએ જાનકીજીનો સંદેશ આપ્યો, ચૂડામણી આપ્યો, રામજીની આંખમાંથી અશ્રુ સરવા લાગ્યાં. હનુમાનજીની પ્રશંસા કરી, એટલે તેઓ રામજીના ચરણમાં ઢળી પડ્યા, અને ચરણ પકડી લીધાં, બોલ્યા પ્રભુ પ્રસંશાથી મને અહંકાર આવી જશે, આપ મને બચાવો! મને આપનાં ચરણોમાં જ રહેવા દો, પ્રભુએ પ્રસન્નતાથી હનુમાનજીના મસ્તક પર હાથ રાખી દીધો. શંકર આ કથા વખતે સમાધિસ્થ થઈ ગયાં, અનુભવ થયો કે મારા મસ્તક પર હાથ આવ્યો. હનુમાનજી જ શંકર છે, સુંદરકાંડની આ સુંદર કથા પાર્વતીને આગળ સંભળાવવા લાગ્યાં પ્રભુએ કહ્યું, હવે વિલંબ નથી કરવો, અને આખીય સેના લઈ પ્રભુ સમુદ્રના તટ પર આવ્યાં.
લંકામાં વિભીષણ સાથે વાર્તાલાપ થયો, અને રાવણે વિભિષણને દેશ નિકાલ કરી દીધો. વિભીષણ પ્રભુના શરણે આવ્યો, પ્રભુએ એને શરણાગત રાખ્યો, અને સમુદ્ર પાર કેવી રીતે કરવો એની ચર્ચા કરી. ત્રણ દિવસ તપ કરવાં છતાં, સમુદ્ર માનતો નથી, ત્યારે લક્ષ્મણ પાસે બાણ માગ્યું, અને સેતુબંધ સુધી કથાને લઈ જઈ સાતમા દિવસની કથાને વિરામ આપ્યો.
સંકલન. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)


