
ગાંધીનગર: રાજ્યમાં ઘરેલુ તેમજ વ્યવસાયિક (કોમર્શિયલ) હેતુ માટે LPG ગેસ સિલિન્ડર અને PNG ના પુરતા જથ્થાની ઉપલબ્ધતા અંગે રાજ્ય સરકારે એક પ્રેસ નોટ બહાર પાડીને માહિતી આપી છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં ઘરેલુ LPG સિલિન્ડરનો બફર સ્ટોક પુરતા પ્રમાણમાં છે અને રિફિલ આપવામાં કોઈ પ્રકારની સમસ્યા નથી. પ્રેસ નોટ મુજબ, રાજ્યમાં તા. 1 માર્ચ 2026થી અત્યાર સુધીમાં કુલ 3504 નવા PNG (પાઈપ્ડ નેચરલ ગેસ) કનેક્શન આપવામાં આવ્યા છે. ઘરેલુ તેમજ કોમર્શિયલ હેતુ માટે PNG નો જથ્થો પર્યાપ્ત છે. LPG ના બફર સ્ટોકમાં સતત વધારો થઈ રહ્યો હોવાનું પણ જણાવાયું છે.જે વિસ્તારોમાં PNG નેટવર્ક નથી, ત્યાં કોમર્શિયલ LPG ના વિતરણ માટે ક્ષેત્રવાર મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ મર્યાદા કુલ જરૂરિયાતના 20 ટકા રહેશે. જેમાં હોસ્પિટલો (સરકારી-ખાનગી) અને શૈક્ષણિક સંસ્થાઓ માટે 100 ટકા ફાળવણી કરવાની સૂચના આપવામાં આવી છે. ફાર્માસ્યુટિકલ, ડેરી, સીડ પ્રોસેસિંગ ઉદ્યોગો અને એરલાઈન-રેલવે કેન્ટીનને 70 ટકા ફાળવણી કરવાની છે. રેસ્ટોરાં, હોટેલો, કોર્પોરેટ કેન્ટીન, ઔદ્યોગિક કેન્ટીન, કોર્પોરેટ ગેસ્ટ હાઉસ અને ફૂડ પ્રોસેસિંગ જેવા અર્ધ-આવશ્યક ક્ષેત્રો માટે માત્ર 10 ટકા જથ્થો ફાળવવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત, રજિસ્ટર્ડ વૃદ્ધાશ્રમો, અનાથાશ્રમો અને અંધજન મંડળોને પણ અગાઉથી LPG ફાળવવા જણાવાયું હતું. હવે, છેલ્લા 1 વર્ષથી નિયમિત ભોજન વ્યવસ્થા કરતી ધાર્મિક સંસ્થાઓને પણ છેલ્લા 6 માસના વપરાશને ધ્યાને લઈ 10 ટકા જથ્થા સુધી એલપીજી ફાળવી શકાશે. આ અંગેનો અંતિમ નિર્ણય જિલ્લા પુરવઠા સમિતિ લેશે.સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે તમામ વપરાશકારો પાસે PNG કનેક્શન છે, તેમણે પોતાનું LPG કનેક્શન આગામી બુધવાર સુધીમાં સરેન્ડર (પરત) કરવું ફરજિયાત રહેશે. PNG કનેક્શન ધરાવનાર ગ્રાહકો LPG કનેક્શન રાખી શકશે નહીં.
કેરોસીન ફાળવણી અંગેની માહિતી આપતાં જણાવાયું કે કેન્દ્ર સરકારે ગુજરાતને 1452 કિલોલિટર કેરોસીન ફાળવ્યું છે, જે પૈકી દરેક જિલ્લાને 36 કિલોલિટર (36,000 લીટર)ની ફાળવણી કરવામાં આવી છે. આ જથ્થામાંથી પરિવાર દીઠ 5 લીટર અને સંસ્થા દીઠ 25 લીટરના દરે કેરોસીન આપી શકાશે.
વિતરણ વ્યવસ્થા સુચારુ રહે તે માટે રાજ્યની તમામ ગેસ એજન્સીઓ પર 1 રેવન્યુ અને 1 પોલીસ કર્મચારીની ટીમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તારીખ 5 માર્ચથી અત્યાર સુધીમાં જિલ્લા કક્ષાએ 912 અને રાજ્ય કક્ષાની ટીમ દ્વારા 17 તપાસો કરવામાં આવી છે. LPG સંબંધિત કોઈપણ ફરિયાદ માટે રાજ્ય હેલ્પલાઈન નંબર 1800-233-0222 પર સંપર્ક કરી શકાય છે.


