
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારથી ઇઝરાયેલના બે દિવસના પ્રવાસે રવાના થયા છે. PM તરીકે ઇઝરાયેલનો આ તેમનો બીજો પ્રવાસ હશે જેમાં બન્ને દેશો વચ્ચે સ્ટ્રેટેજિક, સંરક્ષણ અને આર્થિક સંબંધોને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહૂ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. બન્ને નેતાઓ ભારત-ઇઝરાયેલ વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ થયેલી પ્રોગ્રેસની સમીક્ષા કરશે અને સહયોગ માટે નવી તકો શોધશે.
વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, વાતચીતના મુખ્ય ક્ષેત્રોમાં સાયન્સ અને ટેકનોલોજી, ઇનોવેશન, સંરક્ષણ અને સુરક્ષા, કૃષિ, વોટર મેનેજમેન્ટ, ટ્રેડ અને આર્થિક સંબંધો તેમજ લોકો સાથે વાતચીતનો સમાવેશ થશે. બન્ને નેતાઓ પરસ્પર મહત્ત્વપૂર્ણ પ્રાદેશિક, વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાનપ્રદાન કરે તેવી શક્યતા છે.આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગને પણ મળશે.
આ પ્રવાસ ભારત અને ઇઝરાયેલ વચ્ચેની ઊંડી અને લાંબા સમયથી ચાલતી સ્ટ્રેટેજિક પાર્ટનરિશપને વધુ પાક્કી કરવાની આશા છે. PMOએ કહ્યું કે, બન્ને દેશોએ સહિયારા પડકારોનો સામનો કરવા અને બન્ને લોકશાહી વચ્ચે સહયોગને વધુ મજબૂત કરવાની તક પણ મળશે.
આ ઐતિહાસિક પ્રવાસ પહેલા ઇઝરાયેલમાં વિરોધ પક્ષના નેતા યેર લેપિડે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા તેમણે ‘ઇઝરાયેલના સાચા મિત્ર’ ગણાવ્યા હતા. X પર હિન્દીમાં એક પોસ્ટમાં લેપિડે કહ્યું, “આખું ઇઝરાયેલ વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છે…તેઓ ઇઝરાયેલના સાચા મિત્ર છે. ઇઝરાયેલ અને ભારત વચ્ચેનો સંબંધ માત્ર વ્યૂહાત્મક નથી પણ દેશો વચ્ચે ગાઢ મિત્રતાનું બંધન છે.”


