
દિલ્હીમાં મંગળવારે ભારતીય અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લા અને ઇસરોના પ્રમુખ વી. નારાયણને મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન, શુભાંશુએ ગગનયાન મિશન વિશે વાત કરતા કહ્યું કે, ટૂંક સમયમાં ભારત પોતાના રોકેટ અને કેપ્સ્યુલથી અંતરિક્ષયાત્રીઓને અંતરિક્ષમાં મોકલશે. તેમજ ઇસરો ડિસેમ્બર સુધીમાં પ્રથમ ગગનયાન પરીક્ષણ મિશન લોન્ચ કરશે.શુભાંશુ શુક્લાએ ભારતના મહત્ત્વાકાંક્ષી ગગનયાન મિશન વિશે વિગતવાર માહિતી આપી. તેમણે જણાવ્યું કે, આ ઇસરોનું પ્રથમ માનવ અંતરિક્ષ મિશન છે, જે અંતર્ગત 2027માં ભારતીય વાયુસેનાના ત્રણ પાયલટને અંતરિક્ષમાં મોકલવામાં આવશે. આ પાયલટ 400 કિલોમીટરની ઊંચાઈએ પૃથ્વીની કક્ષામાં ત્રણ દિવસ રહેશે અને ત્યારબાદ હિન્દ મહાસાગરમાં સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાવવામાં આવશે. મિશનનો કુલ ખર્ચ આશરે 20,193 કરોડ રૂપિયા છે. ગગનયાનની તૈયારી માટે પહેલા બે ખાલી ટેસ્ટ ફ્લાઇટ મોકલવામાં આવશે, ત્યારબાદ એક ફ્લાઇટમાં રોબોટ મોકલવામાં આવશે. જ્યારે આ બધું સફળ થશે, ત્યારબાદ મનુષ્યોને અંતરિક્ષમાં મોકલવામાં આવશે.’ પોતાની વાતના અંતે તેમણે એમ પણ કહ્યું કે અંતરિક્ષમાંથી ભારત આજે પણ ‘સારે જહાં સે અચ્છા’ લાગે છે.કાર્યક્રમમાં ઇસરોના પ્રમુખ વી. નારાયણન પણ ઉપસ્થિત હતા. તેમણે કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં ભારતની અંતરિક્ષ યાત્રાને નવી ગતિ મળી છે. ભારતે દક્ષિણ એશિયાઈ સેટેલાઇટ બનાવીને સભ્ય દેશોને સમર્પિત કર્યો. આ ઉપરાંત, ભારતે G20 દેશો માટે પણ એક સેટેલાઇટ તૈયાર કર્યો.’


