
રાજકોટમાં આગામી 11 અને 12 જાન્યુઆરીએ યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત રિઝનલ કોન્ફરન્સનું વડાપ્રધાન મોદી ઉદ્ધાટન કરાવશે. વડાપ્રધાન મોદી પોતાની બે દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન બીજા દિવસે એટલે કે, 12 જાન્યુઆરીએ અમદાવાદમાં પતંગ મહોત્સવની શરૂઆત કરાવશે તેમજ સાબરમતી આશ્રમની પણ મુલાકાત લેશે.મંત્રીમંડળની બુધવારે મળેલી સાપ્તાહિક બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે વિસ્તૃત માહિતી આપતા પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, મોદી ઉપરાંત જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ પણ રાજકોટમાં યોજાનારી કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ખાસ ઉપસ્થિત રહેશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં યોજાનારી રીજીયોનલ વાઈબ્રન્ટ કોન્ફરન્સમાં હાજરી આપશે ત્યારે રાજકોટમાં તેમનો રોડ શો પણ યોજાશે અને લોકો પીએમ મોદીનું ઉમળકાભેર સ્વાગત કરશે. પીએમ મોદીનો જોકે, સત્તાવાર કાર્યક્રમ જાહેર થયો નથી, પરંતુ તેઓ 11 અને 12મી જાન્યુઆરી દરમિયાન ગુજરાત મુલાકાતે આવશે તે નિશ્ચિત મનાઈ રહ્યું છે તેમ સુત્રોએ જણાવ્યું છે.આ દરમિયાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટની કામગીરીની પણ સમીક્ષા કરશે, તેમજ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટના વિસ્તરણ માટે તૈયાર થયેલા ડીટેઈલ્ડ પ્રોજેક્ટ રીપોર્ટને લઈને પણ તેઓ રાજ્યના અધિકારીઓ સાથે ચર્ચા કરી શકે તેવી શક્યતા હોવાનું સરકારના સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.


