
રાજ્યના શિક્ષણ જગતને હચમચાવી દેતી એક અત્યંત દુઃખદ ઘટના ગીર સોમનાથના કોડીનારમાં સામે આવી છે. ચૂંટણીલક્ષી કામગીરીના અસહ્ય ભારણ અને માનસિક તણાવને કારણે એક શિક્ષકે આજે (21 નવેમ્બર) ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું છે. ત્રણ દિવસમાં બે શિક્ષકના મોતથી રાજ્યના શિક્ષક સંઘો અને રાજકીય પક્ષો તરફથી તંત્ર પર દબાણ વધ્યું છે, જ્યારે શિક્ષકોમાં BLO (બુથ લેવલ ઓફિસર)ની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અરવિંદભાઈ વાઢેરે જીવન ટૂંકાવ્યું છે. મૃતક પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં તેમણે SIR (મતદાર યાદી સુધારણા કાર્યક્રમ) ની કામગીરીના તણાવનો ઉલ્લેખ કર્યો છે.કોડીનારના દેવળી ગામના વતની અને છારા કન્યા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અરવિંદભાઈ વાઢેરની આત્મહત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતક પાસેથી મળી આવેલી સુસાઇડ નોટમાં તેમણે સ્પષ્ટપણે SIR (મતદાર યાદી સુધારણા કાર્યક્રમ)ની કામગીરીના તણાવને જ આ અંતિમ પગલાનું કારણ ગણાવ્યું છે.અરવિંદભાઈ વાઢેર વર્ષ 2010થી શિક્ષક તરીકે સેવામાં હતા અને હાલમાં તેઓને BLO (બુથ લેવલ ઓફિસર) તરીકેની કામગીરી સોંપવામાં આવી હતી. સુસાઇડ નોટમાં તેમણે લખ્યું છે કે, તેઓ SIRની કામગીરીથી કંટાળી ગયા હતા અને તેના કારણે ઊભા થયેલા અસહ્ય માનસિક તણાવને લીધે આ પગલું ભર્યું છે.


