
અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી એર કવોલીટી ઈન્ડેકસ 200 નોંધાઈ રહયો છે. હવાના પ્રદૂષણમાં ઘટાડો કરવા પાંચ વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રૂ. 548 કરોડનું આંધણ કરાયુ છે. આમ છતાં શહેરમા હવાના પ્રદૂષણની માત્રામાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરને ચોખ્ખુ રાખવાથી લઈ અન્ય નિયમો લોકોના માથે થોપનારા એવા શહેરના મેયર, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય કે વિપક્ષ નેતા એકપણ હોદ્દેદાર પ્રદૂષણ ઘટાડવા ઈલેક્ટ્રીક કાર ઉપયોગમાં લેતા જ નથી. અધિકારીઓ અને પદાધિકારીઓ મળીને કુલ 146 કાર ઈલેક્ટ્રીક નહીં હોવાથી શહેરના પ્રદૂષણમાં વધારો થતો હોવાનો આક્ષેપ મ્યુનિ.બોર્ડ બેઠકમાં વિપક્ષે કર્યો હતો.અમદાવાદની સતત ઝેરી બની રહેલી હવાને લઈ શુક્રવારે મળેલી બોર્ડ બેઠકમાં વિપક્ષનેતાએ રજૂઆત કરી હતી. આ રજૂઆતને કાઉન્ટર કરવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનથી લઈ કેટલાક કોર્પોરેટરોએ પ્રયાસ કર્યા હતા. પરંતુ તેઓને બેસાડી દેવાની મેયર પ્રતિભા જૈનને ફરજ પડી હતી. દર વર્ષે શહેરમાં રોડ રીસરફેસ કરવા, નવા બનાવવા સહિતની કામગીરી કરવા પાછળ રૂપિયા બે હજાર કરોડનો ખર્ચ કરાય છે. આમ છતાં એર કવોલીટી કંટ્રોલ પ્રોગ્રામ માટે મળતી ગ્રાન્ટ પૈકી 50% રકમ રોડની કામગીરી માટે ખર્ચ કરવામાં આવે છે. કોર્પોરેશનના પોતાના વાહનોમાં ઈલેક્ટ્રીક વાહનો નથી, કોર્પોરેશનના જ મોટાભાગના બિલ્ડિંગોમાં સોલાર પેનલ નથી. આમ છતાં શહેરીજનોને ઈલેક્ટ્રીક વાહનનો ઉપયોગ કરવા તથા સોલાર પેનલ લગાવવા સલાહ અપાય છે તેવો બેઠકમાં આક્ષેપ કરાતા ભાજપના કોર્પોરેટરો અકળાઈ ગયા હતા. અમદાવાદમાં હવાની ગુણવાા સુધારી શકાતી નથી. છતાં શહેર આસપાસ આવેલા ગાંધીનગર, બાવળા સહિતની પાલિકાને હવાની ગુણવાા સુધારવા ગ્રાન્ટની ફાળવણી કરાય છે. તેવા આક્ષેપના જવાબમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહ્યું કે, રાજય સરકાર તરફથી કોર્પોરેશનને આપવામાં આવતી ગ્રાન્ટ પૈકી રકમની ફાળવણી કરવામાં આવી છે.
એએમટીએસ અને બીઆરટીએસ મળી માત્ર 242 બસ ઈલેક્ટ્રીક :
કોર્પોરેશને ઈલેક્ટ્રીક વાહનના વપરાશમાં વધારો થાય એ માટે પોલીસી તો બનાવી છે. પરંતુ એ.એમ.ટી.એસ.ની 1020 પૈકી માત્ર પાંચ ઈલેક્ટ્રીક તથા બી.આર.ટી.એસ.ની માત્ર 235 બસ જ ઈલેક્ટ્રીક છે. ડોર ટુ ડોર કચરો એકઠો કરતા 1900 વાહનમાં એકપણ વાહન ઈલેક્ટ્રીક નથી.


