
ગોહિલવાડના તીર્થસ્થાન ગોપનાથમાં રામકથા ગાન કરતાં શ્રી મોરારિબાપુએ કહ્યું કે, ગુણાતીત શ્રોતાને જ કથાનું પરમસુખ પ્રાપ્ત થાય છે. ગોપનાથમાં ધાર્મિક, સામાજિક તથા રાજકીય અગ્રણીઓ અને ભાવિક શ્રોતાઓ લાભ લઈ રહ્યાં છે. સમુદ્રકિનારે જ્યાં નરસૈયાને હરિ અને હર મળ્યાં તે ગોહિલવાડના તીર્થસ્થાન ગોપનાથમાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથા માનસ ગોપનાથ પ્રસંગે દિવ્ય વાતાવરણ રહ્યું છે. અહીંયા ધાર્મિક, સામાજિક તથા રાજકીય અગ્રણીઓ અને ભાવિક શ્રોતાઓ લાભ લઈ રહ્યાં છે. રામકથાના ચોથા દિવસે શ્રી મોરારિબાપુએ સનાતન શાસ્ત્ર આધારિત શ્રોતા અને વક્તાના લક્ષણો કે તેની આચારસંહિતા વર્ણવી. વ્યાસપીઠ પરથી શ્રી મોરારિબાપુએ ગુણાતીત શ્રોતાને જ કથાનું પરમસુખ પ્રાપ્ત થાય છે, તેમ જણાવી ઠાકોરજીની લીલાનું શ્રવણ, લીલાનું દર્શન, લીલામાં પ્રવેશ અને છેવટે લીલામાં લય થાય તે ગુણાતીત શ્રોતા હોવાનું સમજાવ્યું. શ્રી મોરારિબાપુએ વક્તા માટે પણ આ વાત કરી. ક્થા પ્રસંગો ઋષિ ભરદ્વાજજી તથા યાજ્ઞવલ્કજી સંવાદ અને શિવજી તથા પાર્વતીજી સંવાદ વર્ણન કરી વનવાસ દરમિયાન સતી દ્વારા રામજીની પરીક્ષાનો પ્રસંગ વર્ણવતા શ્રી મોરારિબાપુએ આ પ્રસંગમાં મોટા હોય તેને સંદેહ એટલે શંકા હોય અને નાના હોય ભરોસો હોય તેમ ટકોર કરી.


