પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાતે છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનાં સંસદીય ક્ષેત્રમાં 2413 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ-શિલાન્યાસ કર્યો. આ દરમ્યાન પ્રધાનમંત્રી મોદીએ અહીં એક જનસભાને સંબોધિત કરતા કહ્યું કે,”આ વખતે મારૂ સૌભાગ્ય છે કે મને દીવાળીનાં દિવસે બાબા કેદારનાથનાં દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો.
હવે બાબા વિશ્વનાથની નગરીમાં, આપ લોકોનાં આશીર્વાદ લેવાનો મોકો મળ્યો. ઉત્તરાખંડમાં, હું માતા ભગીરથીની પૂજા કરીને ધન્ય થયો તો આજે અહીં થોડીક ક્ષણો પહેલાં જ મને માં ગંગાનાં દર્શન કરવાનો પણ અનેરો લાભ મળ્યો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, વારાણસી અને દેશ, આ વાતનાં સાક્ષી છે કે સંકલ્પ લઇને જ્યારે કાર્યને સમય પર સિદ્ધ કરવામાં આવે છે તો તેની તસ્વીર કેટલી ભવ્ય અને કેટલી ગૌરવમયી હોય છે. વારાણસી અને દેશ, આ વાતનાં સાક્ષી બન્યા છે કે આગામી પેઢીનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અવધારણા, કેવી રીતે ટ્રાન્સપોર્ટની રીતે કાયાકલ્પ કરવા જઇ રહેલ છે.
પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે, કાશીને માટે પૂર્વાંચલને માટે પૂર્વી ભારતને માટે અને પૂરા ભારતવર્ષ માટે આજનો આ દિવસ ખૂબ ઐતિહાસિક છે. જ્યારે અમે હલ્દી ઘાટ પર જળ માર્ગ દ્વારા વેપાર કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો ત્યારે મારી મજાક ઉડાવવામાં આવી હતી.
પરંતુ આજે જ્યારે કન્ટેનર કોલકાતાથી અહીંયા આવ્યાં છે તો દરેકનાં મોં બંધ થઇ ગયા છે. 800 કરોડ રૂપિયાનાં ખર્ચે બાબતપુર એરપોર્ટને શહેર સાથે જોડવાવાળો માર્ગ ના તો માત્ર પહોળો છે પરંતુ દેશ-વિદેશનાં પર્યટકોને પણ પોતાની તરફ આકર્ષિત કરવા લાગે છે.
આ પહેલા પણ પ્રધાનમંત્રીએ રામનગરમાં બનેલ દેશનાં સૌથી પહેલા મલ્ટી મૉડલ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું. ત્યાર બાદ ગંગા પર બનેલ મલ્ટી-મૉડલ ટર્મિનલનું નિરીક્ષણ કર્યું. આ દરમ્યાન તેઓની સાથે ઉત્તર પ્રદેશનાં સીએમ યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ હાજર હતાં. દિવાળી જેવો માહોલ સર્જવા માટે શહેરમાં ઝગમગ ઝગમગ મોટી મોટી એલઇડી લાઇટ તેમજ ફોક્સ, હેલોઝન લાઇટો પણ લગાવવામાં આવી.