
હાલમાં ઉનાળાની ઋતુમાં હીટવેવનાં કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જે મનુષ્યના આરોગ્યને હાનિકર્તા છે જેથી શરીરમાં સનસ્ટ્રોક (લુ) લાગવાની શક્યતા ઘણી વધારે છે. જાહેર જનતાનાં હિતાર્થ સન સ્ટ્રોક (લુ) થી બચવા અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગની અખબારી યાદી મારફત કેટલાક સુચનો અનુસરવા અનુરોધ કરાયો છે. અસહ્ય ગરમીમાં ભારે પરીશ્રમ કરવાથી શરીરનું તાપમાન વધી જાય છે. શરીરમાંથી પાણી તથા ક્ષારનું પ્રમાણ ઘટી જાય છે, જેનાં કારણે સન સ્ટ્રોક (લુ)ની અસર જણાય છે.“સન સ્ટ્રોક (લુ) લાગવાના લક્ષણો” (1) માથાનો દુખાવો, બેચેની, ઊલટી-ઉબકા, તાવ. (2) શરીર અને હાથ પગમાં અસહ્ય દુ:ખાવો થાય. (3) ખુબ તરસ લાગે, વધુ પરસેવો થવો. ગભરામણ થાય. (4)ચક્કર આવે. શ્વાસ ચડવો. હૃદયના ધબકારા વધી જાય. (5) બેભાન થવું, શરીરમાં નબળાઇ આવવી. (6) ગરમ, લાલ અને સુકી ચામડી થવી.સન સ્ટ્રોકથી બચવા આટલુ કરો. (1) વધુ ગરમીમાં બિનજરૂરી બહાર જવું નહી. (2) વધુ પ્રમાણમાં પ્રવાહીનો ઉપયોગ કરવો જેવા કે લીબુ શેરડીનો રસ, તાજા ફળોનો રસ પાણી, ઓ.આર.એસ શરબત, વગેરે. (3) લાંબો સમય સુધી તડકામાં ઊભા રહેવું નહી. (4) આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા.(5) આંખો પર ગોગલ્સ પહેરવા, માથા પર ટોપી પહેરવી (6) ભીના કપડાંથી માથું ઢાંકી રાખવું. (7) નાનાં બાળકો, સગર્ભા સ્ત્રી, વૃદ્ધોએ ગરમીમાં બહાર નીકળવું નહી. લાંબો સમય ભૂખ્યા રહેવું નહીં. (8) ખુલ્લા પગે તડકામાં ચાલવું નહી. (9) માથાનો દુખાવો, બેચેની, ઊલટી-ઉબકા, તાવ વગેરે જેવાં લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરાવી સલાહ અને સારવાર લેવી.