
બાડા ગામમાં બે બારસ ! એ મુજબ બે શરદપૂર્ણિમા છે, અને આપણે ત્યાં આ પર્વ બે ઋષિઓની કે આદિકવિની યાદ અપાવે છે. એક તો આદિકવિ વાલ્મિકી, અને બીજા નરસિંહ મહેતા. તા 4/10 થી ગોપનાથમાં બાપુએ કથામાં નરસિંહની સ્મૃતિને વળી એકદમ તીવ્ર બનાવી દીધી. જોકે આજ સુધી નરસિંહને કોઈએ આદિકવિ કહ્યાં, કોઈએ ભગત કહ્યાં, તો કોઈએ વેદાંતી પણ કહ્યાં, પરંતુ ઋષિ કદાચ કોઈએ નહીં કહ્યા હોય! ઋષિ એટલે મંત્ર દ્રષ્ટા એવું કહ્યું છે! અને મંત્રનો એક અર્થ વિચાર થાય! પરબ્રહ્મ કહો, બ્રહ્મ કહો, ઈશ્વર કહો, એને વિશે સીધાસાદા શબ્દોમાં અને સાવ અભણને પણ સમજાવી શકે, એવી વેદવેદાંત કે ઈશ્વરની વ્યાખ્યા નરસિંહે પોતાના પદમાં કરીને ઈશ્વરને ઘર ઘરમાં રમતો કર્યો એ નાગર નરસિંહને ઋષિ કહેવામાં મને કોઈ આપત્તિ નથી.
**વાલ્મિકી ઋષિ કે જેને મહર્ષિની ઉપાધિ પ્રાપ્ત થઈ છે, અને એનાં જન્મ વિશે આજે પણ મતમતાંતર ચાલે છે. પરંતુ આદિકવિ વાલ્મિકી રામાયણના પ્રથમ રચયિતા છે, અને કહેવાય છે કે રામાવતારના 60 વર્ષ પૂર્વે તેમણે આ રામાયણની રચના કરી હતી. મહાન ભારતીય મહાકાવ્ય રામાયણના લેખક, વાલ્મિકી ઋષિ પ્રથમ સહસ્ત્રાબ્દીની શરૂઆતની આસપાસ જીવતા હતા. તેમને ‘હિંદુ’ શ્લોકના મૂળ નિર્માતા ‘આદિકવિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. એમણે જ અનુષ્ટુપ છંદની રચના કરી હતી, અને એમને કારણે જ શ્લોક સ્વરૂપ રામાયણ, મહાભારત, પુરાણો અને અન્ય કૃતિઓ જેવા મહાન મહાકાવ્યો બનેલા છે.
પ્રચેતા નામના બ્રાહ્મણને ત્યાં આસો સુદ પૂનમના દિવસે તેમનો જન્મ થયો હતો, અને તેનું નામ રત્નાકર રાખવામાં આવે છે, આ ઉપરાંત તે પોતાના પિતાના નામ પ્રમાણે પ્રાચેતસ નામથી પણ ઓળખાય છે.તેના માતા-પિતા તપ કરવા જંગલમાં જાય ત્યારે પોતાના બાળકને જંગલમાં જ છોડી દે છે. એક ભીલ દંપતી તેને ધનુર્વિદ્યામાં પારંગત બનાવીને આગળ ઉપર પોતાની કમાણી માટેનું સાધન બનાવે છે. આમ એક બ્રાહ્મણનું સંતાન અયોગ્ય ઉછેરને કારણે વાલીયા નામનો લુટારો બને છે, જે અરણ્યમાં આવતા લોકોને બાણ મારીને લૂંટીને તેનું ઘર પરિવાર ચલાવે છે. એકવાર અરણ્યમાં નરેડા નામના મહર્ષિ આવે છે , અને વાલિયા લૂંટારાને પાપ કર્મથી બચાવે છે. વાલિયો મહર્ષિને કહે છે તમે મોહ માયાથી અંધ બનેલી આંખો ખોલી નાખી, હવે હું આવુ પાપ કર્મ નહિ કરું, અને ભગવાનનુ તપ કરીશ. મહર્ષિ જતા જ વાલીઓ લૂંટારો એ સ્થાન પર બેસી જાય છે. અન્ન જળ ત્યાગીને ભગવાનનું તપ કરવા લાગે છે, અને તેની પર રાફડો જામતો જાય છે.રાફડાને સંસ્કૃતમાં વાલ્મિક કહેવામાં આવે છે, માટે ત્યારથી તેનું નામ વાલ્મીકિ પડે છે.
તેમણે ત્યાર બાદ તમસા નદીને કિનારે પોતાનો આશ્રમ બનાવ્યો,અને ભારદ્વાજ ઋષિ તેમના મુખ્ય શિષ્ય હતા. એકવાર નદીમાં સ્નાન કરવા જતાં સમયે સામેના ઝાડ પર કૌચ નામના પક્ષી યુગલનો નર કામાસક્ત બન્યો, ત્યાં જ એક પારધિએ તેને બાણ માર્યું,અને તે મૃત્યુ પામે છે, આથી તેનું સાથી દુખી થઇને વિલાપ કરે છે,જે જોઈને વાલ્મીકિ ઋષિના મોઢામાંથી કરુણતાને કારણે એક શ્લોક સરી પડ્યો.
મા નિષાદ પ્રતિષ્ઠાં ત્વમગમઃ શાશ્વતીઃ સમાઃ,
યત્ક્રૌચંમિથુનાદેકમ્ અવધીઃ કામમોહિમ્
આમ અનુષ્ટુપ છંદની રચના થઈ, ઋષિને પોતે ઋષિ હોવા છતાં આમ પારધિને શ્રાપ આપી દીધાની વેદના પણ થઈ. તેમણે નારદમુનીને પોતાની આ વેદના કહી, અને નારદજી એ આ શ્લોકને જન જન સુધી પહોંચાડવા માટેનો અનુરોધ કર્યો, અને એ રીતે રામાયણના મહાકાવ્યની રચના વાલ્મીકિ ઋષિના હાથે થઈ.
**નરસિંહ એક આદિકવિ, નરસિંહ ગોપનાથ મહાદેવમાં ભગવાન આશુતોષ ધ્યાન ધર્યું, અને ખૂબ આકરી ત્રણ દિવસની તપશ્ચર્યા કરી ત્યારે ભગવાન પ્રસન્ન થયા, અને તેમણે નરસૈંયાને શ્રીકૃષ્ણ રચિત મહારાસનાં દર્શન કરાવ્યાં, એ દિવસ શરદ પૂર્ણિમાનો દિવસ હતો અને ત્યારથી આપણે ત્યાં શરદ પૂનમે રાસનું મહત્વ છે. નરસિંહે પણ પોતાની આ અનૂભૂતિ ને શબ્દમા વણી છે, મહારાસની આપણે ત્યાં એક પરિકલ્પના છે, કે વૃંદાવનમાં ગોપીઓને કાન રાધા સાથે જ રાસ રમે છે, એવી એક સૌથી મોટી ફરિયાદ હતી, અને ભગવાન કૃષ્ણ એક એક કાન્હને એક એક ગોપી એવો મહારાસ રમ્યા હતાં,આ દર્શન જોવા માટે દેવતાઓ પણ વિહ્વળ બનતાં. ભગવાન શંકર પણ ગોપી વેશ ધારણ કરી અને આ મહારાસ જોવા ગયા હતાં, કારણકે સ્ત્રી સિવાય કોઈ પણના પ્રવેશ પર પ્રતિબંધ હતો. નરસિંહ આ મહારાસ જોવામાં એવાં તલ્લીન થઇ ગયા કે તેના હાથમાં પકડેલી મસાલાથી તેમનો હાથ પણ સળગી ગયો, છતાં એ તલ્લીનતાનો ભંગ થયો નહીં. એ દિવસથી નરસિંહના જીવનમાં રાધાકૃષ્ણનાએ અમર પ્રેમની પરમ ભક્તિનું બીજ અંકુરિત થયું. નરસિંહની ચેતના વૃંદાવનમાં જ વસી ગઈ, અને શ્યામ સંગ વ્રજવનિતા બની ખૂબ પ્રણય રાગ આલાપ્યો. ભક્ત અને ભગવાન વચ્ચેના અમર તથા પરમ પ્રેમનો સંબંધ અહીં જોવા મળે છે, કે જ્યાં નર નારી નો લીંગ ભેદ પણ ગૌણ છે. આજે આપણે કવિતા અને છંદના બંધારણ જાણતા થયાં, પરંતુ નરસિંહની એકોએક રચના મોટેભાગે છંદમાં જોવા મળે છે, અને તેને પ્રેમ લક્ષણા ભક્તિ કહેવામાં આવે છે. બાપુ કહે છે તેમ પ્રેમ હોય ત્યાં અછાંદસ એટલે લય વગરનું કંઈ હોય જ નહિ, બધું છંદ એટલે કે સુમેળ લય ભર્યું હોય. નરસિંહની કેટલીયે રચના કે જે આપણને અંતરતમ જગાડવા માટે પર્યાપ્ત છે. આ ઉપરાંત નરસિંહ મહેતાએ શૃંગારના પદ લખી અને લોકને ચકિત કરી દીધું છે, એટલે કે ભક્તિની પરાકાષ્ઠાએ જીવ ઈશ્વરની પ્રિયતમા પણ બની શકે, અને તેની પર અધિકાર પણ જમાવી શકે, તેને પ્રશ્નાર્થ પણ કરી શકે, તેને ફરિયાદ કરી શકે, અને હક જતાવી શકે. મેં પણ માનસ નાગર કથા વખતે નરસિંહને વાંચ્યા, જાણ્યાં ને માણ્યાં ત્યારથી નરસૈયાની નજરથી જ કૃષ્ણને જોયો છે, આલેખ્યો છે, અને થોડોઘણો આત્મસાત પણ કર્યો છે,એ બધી નરસિહની કૃપાનું પરિણામ છે.
મહારાસના દર્શન કર્યા પછી નરસૈયાએ નાગર નંદજીના લાલ નાગર નંદજીના લાલ, રાસ રમંતા મારી નથડી ખોવાણી, આ રાસની રચના કરી, અને પોતાના મનોભાવનુ આબેહૂબ વર્ણન કર્યું. નથડી એટલે કે તેનું ચિત્ત મહારાસના દર્શન પછી ખોવાઈ ગયું, એવી ભૂમિકા પર આ રાસની રચના થઈ છે. પૂનમનો ચાંદ માનવીય મનને પ્રભાવિત કરનાર છે, કારણકે મન ચંદ્રની કળાઓ સાથે જોડાયેલું હોય છે, અને તેથી જ તેમાં ખુશી અને ઉદાસી એટલે કે ચડતી કળા અને ઉતરતી કળા જેવા ભાવ જોવા મળે છે
સાગર ચંદ્રમાનું પૂર્ણ તેજસ્વી સ્વરૂપ જોઈને ગાન્ડોતૂર થાય છે, અને તેથી પૂનમે ભરતી અને અમાસે ઓટ હોય છે. કામ ભાવની વૃદ્ધિ કરનાર પુનમને દિવસે મન કાબૂમાં રહે, એ માટે જ મહારાસ એટલે કે આત્મા-પરમાત્મા અને પ્રકૃતિ ત્રણેના મિલનનો સંયોગ એટલે કે શરદ પૂર્ણિમાની રાતનો મહારાસ છે, જ્યાં જીવ પ્રકૃતિ સાથે પરમ તત્વમાં તલ્લીન થઇ જાય છે, એટલે કે સ્વયંની જે પ્રકૃતિ હોય તે ભૂલીને કૃષ્ણ તત્વમાં સમાય જાય છે, મહારાસ હશે જ એવો કે જ્યાં સૌ કોઈ ભાન ભૂલી જાય, એટલે જ તો નરસૈયો પણ ભાન ભૂલી જાય છે, અને હાથ સળગી જાય છે. સૂક્ષ્મ રીતે આ ઘટનાને જોઈએ તો નરસિંહ મહેતાએ દેહને સળગાવ્યા પછીની મુક્તિની અવસ્થાનો જીવતા આનંદ લીધો, એવું પણ આપણે કહી શકીએ. ગોપી ઓનાં વસ્ત્રો પડતા પણ દેખાડ્યા છે, એટલે કે સ્ત્રી લીંગ ,પુ લીંગની આપણી માનસિકતા એ બધું જ છૂટે તો જ મહારાસ એટલે કે જીવન મુક્તિના રાસમાં પ્રવેશ મળે. આપણામાં આવી જાગૃતિ જલ્દી આવે, અને સમયની હવે પછીની એક પણ ક્ષણ બગડે નહીં, એમ આપણે પણ જાગૃત રહીને શરદની ચાંદની એવાં અહેસાસ તળે પરમ પ્રેમમાં વીતાવીને આ શરદપૂર્ણિમાને ઉજવીએ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)


