
ચૈત્રી નવરાત્રીની ત્રીજે મા ચંદ્રઘંટાને ચરણે સિદ્ધિ નહીં પણ શુદ્ધિ માંગીએ, અને જાગરણનાં અનુષ્ઠાનને ઉર્ધ્વ ગતિ માટે પ્રાર્થીએ. સર્વપ્રથમ તો કુંડલીની જાગરણ એ શબ્દ સાંભળતાં જ આખા શરીરમાં એક આલ્હાદક શક્તિનો અનુભવ થાય છે, અને પછી સંસારી જીવ મનોમન વિચારે છે, કે આ તો આપણાં બસની વાત નથી, અને એને વિષેનું આપણું જ્ઞાન માત્ર જાણકારી બનીને રહી જાય છે. મૂળભૂત રીતે પંચ પ્રાણ, સાત શરીર, સાત ચક્ર અને સાત જન્મોની આરક્ષિત શક્તિને છૂટી પાડીને સાત લોક કે પછી બ્રહ્માંડનાં કણકણમાં સંમેલિત કરવાની આ ક્રિયાને કુંડલીની જાગરણ કહેવાય છે, અને જે યોગ પ્રક્રિયા તરીકે બહુ પ્રસિદ્ધ છે. એનાં ચિત્રોમાં દરેક ચક્ર અને એમાંથી છૂટી પડતી શક્તિ ઉર્ધ્વગમન કરતી બતાવાઈ છે, અને એ શક્તિને પ્રકાશમય બતાવી છે. એટલે કે પ્રકાશ કે ઉષ્ણ ઉર્જા તરીકે એ શક્તિ શરીરના સાતે સાત ચક્રોમાંથી પસાર થઈ ઉપર સુધી પહોંચે છે, એક મેગ્નેટિક વિદ્યુત પ્રવાહ જેમ જ તે આંતર શરીરમાં પ્રકાશ ઉર્જા ભરે છે. સંસારી અને ભોગી જીવનું શરીરની મલિનતા તરફ ધ્યાન જતાં એ સંયમ દ્વારા મલિનતાનું નિવારણ કરીને પવિત્ર થાય છે. આપણે ત્યાં જ્ઞાનનું અજવાળું એવો શબ્દ પ્રયોગ પણ થતો હોય છે, એટલે કે આ બધી જ જાણકારી જ્યારે આપણો અનુભવ બને, ત્યારે તે જ્ઞાન થયું એમ કહેવાય, અને એ જ્ઞાન આંતર અજવાળા ફેલાવે છે, જેનાથી આંતર શરીરમાં શારીરિક અને માનસિક રીતે ભેગો થયેલો કચરો સાફ કરવાનો છે, અને એ રીતે આપણે પવિત્ર થતા જવાનું છે, જેનાથી પ્રકૃતિમાં ચિદ્ વિલાસ કરતી ચૈતન્ય શક્તિ સાથે આ શક્તિનું તાદાત્મ્ય થાય.
મુલાધાર ચક્રની વાત કરી ત્યારે આપણે તેનું સ્થાન જોયું હતું, અને ત્યાં પૃથ્વી તત્વ પાસેથી ગંધ સ્વરૂપે આપણે ધૈર્ય અને સ્થિરતા પ્રાપ્ત કરીને શક્તિ આગળ વધી અને સ્વાધિષ્ઠાન ચક્ર પર આવી, જ્યાં જીવના મૂળ આધારનું બિંદુ છે. સ્વાદિષ્ટાન એટલે સ્વયંમ નું સ્થાન, ત્યાં આપણી એટલે કે માનવીય ચેતનાનું કેન્દ્ર છે. સ્વાધિષ્ઠાન ચક્રને પેટનું ચક્ર કે પછી પવિત્ર ચક્ર પણ કહેવાય છે. આ ચક્ર કરોડરજ્જુના નીચલા છેડા પાસે ત્રિકોણાકાર હાડકામાં અને પ્રજનન અવયવો પાસે દર્શાવાયું છે, એટલે કે નાભિની બે ઈંચ નીચે દર્શાવેલ છે. તે છ કમળની પાંખડી ધરાવે છે, અને તેનો રંગ નારંગી છે, અને બીજ મંત્ર “વં” છે. સ્વાધિષ્ઠાન ચક્રનું તત્વ પાણી છે, અને દેવ વિષ્ણુ છે, જે ઘેરો વાદળી રંગ અને પીળી ધોતી ધરાવે છે. તેની પાસે શંખ,ગદા,ચક્ર અને કમળ છે. તે શ્રીવત્સ ચિહ્ન અને કૌસ્તુભ રત્ન ધારણ કરે છે. તે કાં તો ગુલાબી કમળ પર અથવા દિવ્ય ગરુડ પર બિરાજમાન છે. આ કમળની એક એક પાંખડી છ નકારાત્મક ગુણોનુ નિવારણ કરે છે, અને આમ ત્યાં જાગરણથી એ દરેક પાંખડીની નકારાત્મકતા દૂર થાય છે. આ પાંખડી માં માત્રૃકા એટલે કે દૈવીય શક્તિ હોય છે, અને એની તીવ્રતા કેન્દ્રથી શરૂ કરી વધતી જાય છે, એટલે કે રસતન્માત્રા, અપજલ તત્વ, સ્વાદેન્દ્રિય અને હાથની કર્મેન્દ્રિય પર સંયમ આવે છે, અને એનો વિલય થાય છે. આ થઈ એને વિશેની શાસ્ત્રીય વાત.
જે કોઈ સિદ્ધ મુની યોગ પ્રકિયાના મુખ્ય અંગ ધ્યાનથી આ સમગ્ર અનુભૂતિ સુધી પહોંચી શકે તેમને વંદન, પણ આપણું એ કામ નથી! માટે આપણે આનો સહજ અર્થ કરી અને ઉપર ઉઠવાનું છે. કહેવાય છે ગર્ભ વિભાવના સમયે જીવ સાત કે તેથી વધુ જન્મોના સંસ્કાર સાથે આવ્યો હોય છે. પૂર્વ જન્મનાં દુઃખ સુખની સ્મૃતિ તેની સાથે જોડાયેલી હોય છે, અને એને કારણે તે પીડિત કે અસ્વસ્થ છે, એમ કહી શકાય. આ તમામ પ્રકારોની સ્મૃતિ કે સંસ્કાર ત્યજીને તેને ઉપર ઉઠવાનું છે, અને ત્યારે જ તે પોતાનાં જન્મનું કારણ માત્ર, કામ નહીં પણ બે આત્માનું મિલન એટલે કે પ્રેમ છે, એવું સહજ જ્ઞાન પ્રાપ્ત કરી શકે, તો એનું ધ્યાન સ્વયંનાં સ્થાન પર કેન્દ્રિત થાય! કે હું એક શુદ્ધ અને પવિત્ર ચેતનાનો ધસમસતો પ્રવાહ છું! અને મારી સાથે જોડાયેલા આ અપવિત્ર મલિન તત્વોનો ત્યાગ કરી મારે એ દિવ્ય ચેતના સાથે જોડાવાનું છે. યોગની પરિકલ્પનાં મુજબ તો અસ્તિત્વમાં વિહાર કરતી એ પરમ શક્તિ સાથે તાદમ્ય કેળવવાનું છે. પરંતુ દરેકે દરેક જીવમાં આત્મા તરીકે એ જ શક્તિનો અંશ છે, એ સત્ય પણ સ્વયં યોગ યોગેશ્વર શ્રીકૃષ્ણનાં મુખે ભગવત ગીતામાં ઉદઘોષિત થયેલું છે. અસ્તિત્વમાં ચિદ વિલાસ કરતી ચૈતન્ય શક્તિના રહસ્યોને આપણે ઘણીવાર સમજી ન શકવાને કારણે એ તત્વ કે સત્વ ને એટલું આત્મસાત કરી શકાતું નથી, જ્યારે આપણી આસપાસના જગતમાં જીવતા જીવમાં એ શક્તિનો અનુભવ કરવાથી ત્યાં તાદાત્મ્ય કેળવવું એ વધુ સહેલું અને આમ જુવો તો અનિવાર્ય પણ છે.
અહીં સુધી કુંડલીની જાગરણ થયું છે કે નહીં, તેની પ્રતીતિ આપણી વૈચારિકતાનું ચિંતન કરવાથી પ્રાપ્ત થાય છે. જાગરણ એટલે ઉપર ઉઠવું, એટલે કે મૂલાધારનાં કે સ્વાધિષ્ઠાન ચક્રનાં મૂળમાં પડેલા મળમૂત્ર જેવા પૂર્વ જન્મનાં સંસ્કાર કે પછી આ જન્મ માટે જવાબદાર વાસના કે વિકૃતિ એ આપણાં જન્મનું કારણ નથી, પણ ઈશ્વરીય શક્તિ સંકેત છે. સમયે ભોગ ને સમયે યોગ! આ સમયક્તા, સંયમની મહત્તા, તેમજ આપણને આવતા દરેક વિચાર કે ઈચ્છા શક્તિ પર વિવેકથી પ્રભુત્વ પ્રાપ્ત થાય, તો સમજવું કે જાગરણ તરફ ડગલાં ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. આ ઉપરાંત અન્ય જીવમાં પણ વિકૃતિ કે ભૂલ ન દેખાય, તદ ઉપરાંત એ જીવનાં ગુણનું દર્શન અને સૌ કોઈને આદર આપવાની ભાવના તીવ્ર બને, તેમજ પરિવારજનોનાં આંતરિક સંબંધોને મજબૂત બનાવવા તરફી વિચાર વલણ નમ્ર બને છે. સંબંધોમાં મધુરતા વધે તો સમજવું કે ક્યાંક તો કંઈક સારું થઈ રહ્યું છે, અને સારું જાગરણ વગર ક્યારેય થતું નથી. પણ એ આપણું જાગરણ છે કે સામેવાળાનું તે અવશ્ય ચિંતન કરી લેવું, અને આપણું ન હોય તો ત્યાં આપણું જાગરણ પણ એટલું જ જરૂરી છે, અને એ હજી વધુ પ્રસન્નતા તરફ આપણને તેમજ આપણા પરિવારને આપણા સમાજને અને આપણા દેશને એથી વધુ વિશ્વને શાંતિ તરફ દોરી જશે!: જે આપણું લક્ષ્ય છે. અહમ, આગ્રહથી મુક્ત થઈને સહજની સમજ કેળવી શકાય, કે દરેક પરિસ્થિતિ કે સમયમાં પણ સહજ રહી જીવી શકાય તો એ જાગરણનું કારણ છે, અને આપણને એવા જાગરણની જ જરૂર છે, કારણકે અસ્તિત્વની એ શક્તિ સુધી કદાચ આપણે પહોંચી શકીએ નહીં, પણ આપણી આસપાસ વસતા જીવનાં હૃદયમાં પ્રેમ શક્તિ સ્વરૂપે પહોંચી એનાં હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી શકીએ, તો પણ ઘણું છે. આવી મૈત્રીની વિભાવનાની કલ્પના કરી, સમસ્ત જગત આંદરોઅંદર પ્રેમ અને લાગણીના સંબંધથી જોડાય, તો એ પણ એક યોગ પ્રક્રિયા જેવું અદભુત પરિણામ આપી શકે તેમ છે. આપણે સૌ કુંડલીની જાગરણનો એવો બૃહદ ફાયદો કરાવતો અર્થ કરી, આ ચૈત્રી અનુષ્ઠાન કરીને, એ પરિણામ સુધી કે લક્ષ્ય સુધી પહોંચી શકીએ! અને રામ તત્વ ને સચ્ચિદાનંદ સ્વરૂપે આપણાં અંતરમાં જન્માવી શકીએ, એ એકમાત્ર અહેતુ હેતું સાથે સદગુરુ કૃપાનું અનન્ય હેત લઈને ચિંતનની આ ધારા વહે છે. જય ભવાની.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)


