
ભગવાન જગન્નાથની અષાઢી બીજના રોજ નીકળનારી 148મી રથયાત્રા પહેલા આજરોજ જળયાત્રા યોજાઈ હતી. જેઠ સુદ પૂનમના દિવસે ભગવાન જગન્નાથની જમાલપુર જગન્નાથ મંદિરથી વાજતે ગાજતે હાથી, બેન્ડવાજા, ધજા- પતાકા સાથે ભવ્ય જળયાત્રા નીકળી નદીમાંથી જળ લઇ પરત ફરી હતી. મંદિરે ભગવાન પરત ફર્યા બાદ સાધુ-સંતો, યજમાન, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિત અનેક ભક્તો દ્વારા ભગવાનને જળાભિષેક કરાયો હતો. સાથે દુધ, દહી, ખાંડ, મધ, પંચામૃત સહિતના દ્રવ્યોથી ભગવાનને સ્નાન કરાવામાં આવ્યું હતું. વિષ્ણુ અવતાર જગન્નાથજીને પ્રિય તુલસી દલ અર્પણ કરાયું હતું અને આરતી ઉતારવામાં આવી હતી. જે બાદ ભગવાનને વર્ષમાં એકવાર પહેરાવવામાં આવતો ગજવેશ પહેરાવાયો હતો.જળયાત્રાના દિવસે સાધુ સંતોનો ભંડારો પણ યોજાયો હતો. જમાલપુર જગન્નાથ મંદિરે સાધુ સંતોએ ધોળી દાળ, કાળી રોટી એટલે કે માલપુવા અને દૂધપાક સહિતનો પ્રસાદ લીધો હતો અને મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા તમામ સાધુ સંતોને દક્ષિણા પણ આપવામાં આવી હતી.જ્યાંથી દર વર્ષે જળાભિષેક માટે પાણી લાવવામાં આવે છે, ત્યાં આ વર્ષે જળકુંભી નીકળી હોવાથી પ્રથમવાર એસી ક્રૂઝની મદદથી નદીની મધ્યમાં જઈ પાણી લાવવામાં આવ્યું હતું. મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટીઓ અને રાજકીય નેતાઓ ક્રૂઝ પર સવાર થઇ સાબરમતી નદીના મધ્યમાંથી ભગવાનના જળાભિષેક માટે જળ લીધું હતું. પાણી લઈ ક્રૂઝ પરત ફર્યા બાદ સાબરમતી નદીની આરતી ઉતારવામાં આવી હતી.