
શક્તિપીઠ અંબાજીમાં જગ વિખ્યાત ભાદરવી પૂનમનો મહામેળો રંગેચંગે ઊજવાઈ રહ્યો છે. જેમાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ કઠિન પગપાળા યાત્રા કરી મા અંબાના ધામમાં ઉમટી રહ્યા છે. જ્યા મા અંબાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. મંદિરના ચારચચોકમાં હૈયે હૈયું દળાય તેટલા માઈભક્તો ઉમટી પડતાં સમગ્ર વાતાવરણ બોલ માડી અંબે, જય જય અંબેના નારાથી ગૂંજી ઉઠતાં ભક્તિનો માહોલ છવાયો છે.ત્યારે ભાદરવી પૂનમના મહામેળામાં આ વર્ષે આધ્યાત્મિકતા અને ટેકનોલોજીનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ઇતિહાસમાં સૌ પ્રથમવાર અંબાજી શક્તિપીઠના ચાચર ચોકમાં ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાયો હતો. જે મેળાનું મુખ્ય આકર્ષણ બન્યો હતો.આ પ્રથમ વખત યોજાયેલા ડ્રોન શોમાં 400 ડ્રોન દ્વારા આકાશમાં સુંદર રચનાઓ રજૂ કરવામાં આવી હતી. આ અનોખા આયોજનથી ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને તેમણે આ નવતર પ્રયોગને ખૂબ વધાવ્યો હતો.વિશ્વ વિખ્યાત અંબાજી મંદિરે ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન માતાજીના દર્શનાર્થે દૂર દૂરથી પગપાળા કે મોટરમાર્ગે પહોંચતા લાખો માઈભક્તોની સુરક્ષા અને સલામતી તકેદારી લેવામાં આવી રહી છે. આ વર્ષે પ્રથમવાર એઆઈ ટેકનોલોજી આધારિત સર્વેલન્સ સિસ્ટમ દ્વારા સમગ્ર મેળાના વિસ્તારમાં શંકાસ્પદ હલનચલન, ગુમ થયેલા યાત્રિકોની ઓળખ અને ભીડના સંચાલન પર સતત નજર રાખી શકાય છે. સ્માર્ટ કંટ્રોલ રૂમ મારફતે મેળા ક્ષેત્રના તમામ મહત્ત્વના સ્થળો પર સીસીટીવી કેમેરાથી લાઈવ મોનિટરિંગ થાય છે.


