
આવતી કાલે માગશર સુદ એકાદશી છે, કે જેને મોક્ષદા એકાદશી પણ કહેવામાં આવે છે, જે દિવસને આપણે સૌ ગીતા જયંતી તરીકે ઓળખીએ છીએ. ભગવત્ ગીતા એ ભારતીય સનાતન સંસ્કૃતિની એવી ધજા છે કે, જેને પૂરું વિશ્વ સન્માન આપે છે, અને વંદન કરે છે, કારણ કે એ માનવી એ કેમ જીવવું જોઈએ એનું એકદમ સચોટ માર્ગદર્શન આપે છે. જોકે ગીતા વિશે કંઈ પણ લખી શકવાની જીવની કદાચ હેસિયત નથી. કારણ કે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણના મુખેથી આ શ્લોકનું ગાન થયું છે, અને એનો ઉપદેશ કે આશય શું હતો! એ આપણે કદાચ એટલું પામી શકીએ નહીં. પરંતુ ચિંતક હોવાને નાતે સતત એ વિષયનું ચિંતન કરીને ભગવાન શ્રી કૃષ્ણ આપણને શું કહેવા માંગી રહ્યાં હતાં, અને આપણે તેમાંથી કેટલો બોધ ગ્રહણ કર્યો, એ વિષે સદગુરુ કૃપા મથી થોડી વાત જરૂર મૂકી શકાય, એટલે ગીતા વિશેનું માત્ર મંતવ્ય રજૂ થઈ શકે.
ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતાં આપણા વૈદિક શાસ્ત્રો, જેમાં ચાર વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ભાગવત ગીતા, તથા શ્રીમદ ભાગવત, દેવી પુરાણ, વિષ્ણુ પુરાણ ,શિવ પુરાણ, વગેરે ગ્રંથોનો સમાવેશ થાય છે. આ ગ્રંથને કારણે જ હિન્દુ સંસ્કૃતિની પ્રસિદ્ધિ અન્ય દેશો સુધી પહોંચી છે, એ વાતનો નતમસ્તક થઈને સ્વીકાર કરવો પડે! અને હવે તો અન્ય દેશો એ વાત સાથે સહમત થાય છે કે એક એવી સંસ્કૃતિ કે જ્યાં ઈશ્વરને પણ જન્મ લેવાનું મન થાય. ઈશ્વર અવતાર તરીકે આવીને લીલાઓ કરે, અને આ લીલા પરથી આપણે કંઈક બોધ લેવાનો હોય, કે વિષમ પરિસ્થિતિમાં ઈશ્વર જરૂર આવશે, અથવા ઈશ્વરે જ્યારે જન્મ લીધો ત્યારે એને પણ કેટલીયે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, તો આપણાં જેવાને તો કર્મફળ ભોગવવું જ પડે.
ગીતા વિષે જોઈએ તો, આજથી આશરે 7000 વર્ષ પહેલા માગશર સુદ અગિયારસને દિવસે, કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવ અને પાંડવોનાં યુદ્ધ સમયે, યુદ્ધભૂમિ પર અર્જુન સામેના પક્ષમાં પોતાના સગા વ્હાલાને જોઈને હથિયાર હેઠા મૂકી દે છે, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં અર્જુનને સમજાવતા હોય એ રીતે ભગવત ગીતા કહેવાઈ છે. ભાગવત ગીતાના ૧૮ અધ્યાય છે, 700 શ્લોકમાં પૂરી થતી આ ગીતા સંવાદ રૂપે છે, અને એ સમયે શ્રી કૃષ્ણને અર્જુનને સમજાવતા માત્ર 45 મિનિટ થઈ હતી, અને એ દિવસે રવિવારનો દિવસ હતો, તેમજ આશરે ઈસ. 3066ની સાલમાં આ ઘટના ઘટી હતી. દૂર બેઠેલા ધૃતરાષ્ટ્ર ને તેનો સારથિ સંજય આંખે દેખ્યા અહેવાલ તરીકે શ્રી કૃષ્ણ અર્જુનને જે સમજાવી રહ્યા છે, એ વાત કહે છે. ધુતરાષ્ટ્ર 1 શ્લોક બોલે છે, 47 શ્લોક સંજય બોલે છે, જ્યારે અર્જુન 84 શ્લોક કૃષ્ણને પ્રશ્નાર્થ તરીકે અથવા યુદ્ધ ન કરવા વિશે, જ્યારે અર્જુનને સમજાવવા શ્રીકૃષ્ણ 568 શ્લોક કહે છે, જેમાં કર્મ યોગ,જ્ઞાન યોગ, અને ભક્તિ યોગનો સમાવેશ થાય છે. આમ જુઓ તો માત્ર ત્રણ પાત્ર વચ્ચેનો સંવાદ શ્રીમદ્ ગીતામાં રહેલો છે.
મને એવું લાગે છે કે અર્જુન તો પૂર્ણ શરણાગત હતો, પરંતુ આપણી જેવા જીવ રુપી અર્જુનને શ્રી કૃષ્ણ બોધ આપી રહ્યાં છે કે, જે જીવ જન્મ લઈને પૃથ્વી પર આવે છે, તેનું મૃત્યુ એક દિવસ નિશ્ચિત છે. તેની માટે મોહ, માયા, અને મમતા વશ તું તારું લક્ષ્ય ભૂલી ગયો છે. હે અર્જુન તું આ ધર્મયુદ્ધને છોડી ન શકે, એટલે કે કૌરવો આ પૃથ્વી પર અસુર જેવો ત્રાસ ફેલાવી રહ્યાં છે, ત્યારે તેમને માફ કરીને તારા કર્તવ્યથી તું પીછેહઠ કરી શકે નહીં.જ્યારે ધર્મને કેન્દ્રમાં રાખીને જીવતા હોઈએ, ત્યારે મારું તારું ના સંબંધો તરફ દુર્લક્ષ સેવવું પડે, તારી આ લડાઈ જમીનના ટુકડા માટેની નથી. પરંતુ સત્ય અને અસત્ય વચ્ચેની છે, એમાં સત્યનો વિજય થાય એ બહુ જરૂરી છે, અને પૂરી પાંડવ સેનામાં તારી જેવો બીજો કોઈ ધનુર્ધર છે નહીં, જે કૌરવો ને હરાવી શકે. માટે હું તને કહું છું કે, તું શસ્ત્ર ઉપાડીને આ યુદ્ધ કર. અહીં સુધીની વાત કર્મ યોગના અધ્યાયમાં ભગવાને કરી છે. તેમાં કોઈ વાર અર્જુનના મોઢે સંવાદ છે, તો કોઈવાર સંજય ધુતરાષ્ટ્રને કહેતો હોય, એ રીતે સંવાદ મૂકાયો છે. પરંતુ કર્મ પ્રધાન ભૂમિકામાં નિષ્કામ રહીને જો કર્મ કરવામાં આવે, તો તેનું કર્મ ફળ જીવને ભોગવવું પડતું નથી,એ વાત મુખ્યત્વે અહીં કહેવામાં આવી છે.
દરેકે દરેક જીવમાં આત્મા સ્વરૂપે હું વસું છું, અને આત્મા અમર છે. એટલે કે શરીરનું મૃત્યુ થાય છે, પણ આત્મા કાપવાથી કે બાળવાથી મરતો નથી. એ સત્ય સમજાવતાં કહે છે કે, જો કોઈપણ મોહ માયા કે મમતાથી તે આ કાર્યને નહીં કર્યું હોય, તો આ કર્મનો ભાર પણ તને નહીં લાગે. અહીં તું ફક્ત તારુ કર્મ કર, તેનાં સારા નરસાનો ભાર રાખીને જીવવાથી અથવા તો આમ કરીશું, તો મને પાપ થશે! કે પુણ્ય થશે! એવું વિચાર્યા વગર અસ્તિત્વ એ આ કર્મ માટે આપણને નિમિત માત્ર બનાવ્યા છે, એ વાત યાદ રાખી દરેક કર્મ કરીએ, તો કર્મનો ભાર રહેતો નથી, અને જશ કે અપજશના આપણે ભાગીદાર થતા નથી, એવો જ્ઞાનોપદેશ આ ભગવત ગીતામાં છુપાયેલો છે. કર્મ જ્ઞોગમાં કર્મ કરીને જીવને વિચારધારા આગળ વધારતાં ભગવાન જ્ઞાનનો ઉપદેશ આપે છે, અને કહે છે કે સંસારીનું જીવન મોટેભાગે એક ક્ષણ પણ ક્રિયા વગરનું રહેતું નથી,એવે સમયે આ હું કરું!! હું કરું!! અથવા મેં કહ્યું,કે મેં કર્યું, એવું ગાણું ગાઈએ નહીં. તો કોઈ પણ જાતના પાપ-પુણ્યના આપણે ભાગીદાર પણ થતાં નથી. અને તેથી સ્વર્ગને નર્કની જે માન્યતાઓ છે, તેનો અહીં છેદ ઊડી જતો દેખાય છે.
હજી પણ શ્રીકૃષ્ણને એવું લાગે છે કે અર્જુનની મતિ આ સત્ય સમજી શકી નથી, એટલે તે અર્જુનને કહે છે કે, જ્યારે જ્યારે આવું થાય, ત્યારે તે જીવ જો મારે શરણે આવે તો, એટલે કે પૂર્ણ શરણાગતિ સ્વીકારીને મારા શરણે આવનાર તમામ ભક્તોની સમસ્યાનો નિકાલ લાવવો તે મારી ફરજમાં આવે છે, માટે હજી તને જો કોઈ સંદેહ હોય, તો મારે શરણે ચાલ્યો આવ, અને આ બધું હું તને કહી રહ્યો છું, માટે તું કરે છે, એમ સમજીને કર, જેથી તને કોઈ સાચું ખોટું! કે સારું ખરાબ એવો ભાર લાગે નહીં.પ્રકૃતિમાં વસતા દરેકે દરેક માં પોતે આત્મતત્વ રૂપે બિરાજમાન છે, અને અંતે તો આ પ્રકૃતિમાં ઘટતી દરેક ઘટના પોતાની ઈચ્છાને આધીન જ થઈ રહી છે.
સાત હજાર વર્ષ પહેલાં તો કદાચ યુદ્ધના મેદાનમાં બહાર દુર્યોધન અને અન્ય કૌરવો રૂપી અનીતિ અને અસત્ય હતું, પરંતુ આજે તો એક જીવની અંદર જ દુર્યોધન અર્જુન અથવા તો કૌરવ-પાંડવના યુદ્ધ થાય છે, પરિવારો વચ્ચે યુદ્ધ થતાં હતા એ વાત જૂની થઇ. પરંતુ ક્ષણે ક્ષણે ઉપદેશ દેવા માટે શ્રીકૃષ્ણ તો આવે નહીં! ત્યારે આપણે આ ગીતાનો સહારો લઇ અને એ વાતને યાદ કરી શકીએ, અને નીતિના પથ પર ચાલવું બહુ જ જરૂરી છે.
જ્યારે જ્યારે માનવને પોતે કર્તવ્યથી વિમુખ થતો હોય,અને જીવનમાં પ્રમાદનુ મહત્વ વધતું જાય, અને બુદ્ધિ ભ્રમિત થઈ જાય, માનવી સારાસારનો વિવેક ખોઈ બેસે, ત્યારે આજે પણ ભગવત ગીતા પ્રકાશ પૂરો પાડીને પ્રેરણા આપે છે, સાચા માર્ગનું દર્શન કરાવે છે. કર્તવ્ય પાલન કરતાં ન્યાયથી નેકીને માર્ગે ચાલતાં શીખવે છે, કે એમ કરતાં મરણને શરણ થવું પડે તો પણ ભલે! એ મરણ માનવંત કે કલ્યાણકારક છે ; પરંતુ સ્વધર્મ , ફરજ કે કર્તવ્યનો ત્યાગ સદા ભયંકર છે, હાનિકારક છે,અમંગલ છે. ગીતાનો આ ઉપદેશ વ્યક્તિ તથા સમષ્ટિને નવું બળ પૂરું પાડે છે.આજે પણ એ સંદેશ એટલો જ અસરકારક છે. “સ્વધર્મે નિધનું શ્રેયઃ પરધર્મો ભયાવહ”, કર્તવ્ય કરતાં કરતાં ખપી જવું કલ્યાણકારક છે, પરંતુ પરધર્મ અકલ્યાણકારક છે. કૃષ્ણં વંદે જગતગુરુ.
લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)


