
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 28 ફેબ્રુઆરીના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. બપોરે 3:45 વાગ્યે અમદાવાદ પહોંચશે. પ્રધાનમંત્રી સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ (ATMP) સુવિધાનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ લોકોને સંબોધિત પણ કરશે.
પીએમઓ દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી મુજબ, ” સાણંદ ATMP સુવિધામાંથી ભારતમાં બનેલા પ્રથમ સેમિકન્ડક્ટર મેમરી મોડ્યુલ્સના વાણિજ્યિક ઉત્પાદન અને શિપમેન્ટની શરૂઆત સાથે, ઉદ્ઘાટન ભારતની સેમિકન્ડક્ટર ઉત્પાદન યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ વિકાસ વૈશ્વિક સેમિકન્ડક્ટર મૂલ્ય શૃંખલામાં ભારતની સ્થિતિને મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું રજૂ કરે છે.”
સપ્ટેમ્બર 2023માં ATMPના પ્લાન્ટ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ મંજૂર કરાયેલ પ્રથમ દરખાસ્ત હતી. ₹22,500 કરોડથી વધુના કુલ ખર્ચ સાથે, મંજૂરી પછી તરત જ બાંધકામ શરૂ થયું, જે દેશમાં વ્યૂહાત્મક સેમિકન્ડક્ટર રોકાણોને ઝડપી બનાવવા માટેની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
માઇક્રોન ટેકનોલોજીના ચેરમેન, પ્રમુખ અને સીઈઓ સંજય મેહરોત્રાના જણાવ્યા અનુસાર, સાણંદ પ્લાન્ટના પ્રથમ તબક્કામાં બાંધવામાં આવેલો ક્લીનરૂમ 5 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. બાંધકામ માટે એફિલ ટાવરમાં વપરાતા લોખંડ કરતાં સાડા ત્રણ ગણું અને 100 ઓલિમ્પિક કદના સ્વિમિંગ પુલમાં વપરાતા કોંક્રિટ જેટલું કોંક્રિટ વપરાયું છે.


