
માનસ અપરાધની આઠમાં દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું કે રામચરિત માનસમાં ત્રણ સંધ્યાની વાત છે. એક લંકાની સંધ્યા, એક જનકપુરની સંધ્યા, અને એક અયોધ્યાની સંધ્યા. સંધ્યા કેવી હોવી જોઈએ એ વ્યક્તિના હાથમાં છે, જ્યારે સૂરજ ડૂબે છે, એને જ સંધ્યા ન સમજો. સંધ્યાનો મતલબ છે અજવાળા અને અંધારાનું મિલન સ્થાન, સંધ્યા શબ્દ આવે તો આપણે વિચારીએ છીએ કે સાંજે સુરજ ડૂબે છે, ચાલો સંધ્યા થઈ ગઈ. જ્યાં દિવસનો પ્રકાશ ખતમ થવામાં છે અને રાત્રીનું અંધારું પ્રકાશનું સ્વાગત કરી રહ્યું છે, એની પાતળી એવી જે રેખા છે એને સંધ્યા કહેવાય છે. પરંતુ અજવાળા અંધારાના મિલનનો એ દરેક કાળ સંધ્યા છે. આપણી વૈદિક પરંપરામાં એટલે જ પ્રાતઃ સંધ્યા, મધ્યાન સંધ્યા, અને સાયં સંધ્યાનો મત રજૂ કરવામાં આવ્યો છે. માનસમાં પણ ત્રણ પ્રકારની સંધ્યા છે, અને એને આપણે કયા રૂપમાં લેવા માંગીએ છીએ, એના પરથી આપણી કક્ષા નિર્મિત થાય છે.
લંકાની સંધ્યા જોઈએ, રાવણ નૃત્યશાળામાં જાય છે, જ્યાં મનોરંજન થશે, અપ્સરાઓ આવશે, ગંધર્વ આવશે! રાવણ મંદોદરી સાથે સુવર્ણના ચૂલા પર ઝૂલી રહ્યો છે, શું મહેફિલ જામી છે! તો લંકાની સંધ્યા રજોગુણી સંધ્યા છે, જ્યાં મનોરંજન થઈ રહ્યું છે. બીજી બાજુ ભગવાન રામ સુગ્રીવની ગોદમાં મસ્તક રાખીને ઉદીત થયેલા ચંદ્રને જોઈ રહ્યા છે, એ પણ સંધિવેળા છે, પણ એ સતો ગુણી સંધ્યા છે, જ્યાં મારા ઠાકોર રિલેક્સ થઈને સૂતા છે, મિત્ર સાથે ચર્ચા કરી રહ્યા છે. લંકાની જ એક તમો ગુણી સંધ્યાની વાત કરીએ, તો દસ મસ્તક વાળો માણસ વીસ ભૂજા વાળો માણસ, સંધ્યા સમયે પોતાના ભવનમાં જઈ રહ્યો છે. પરંતુ પોતાની 20 ભુજાઓ જોઈને કહી રહ્યો છે, કે આ વીસ ભૂજામાં બધાના સુરજ ડૂબી જશે, કોઈ નહીં બચે! એ અહંકારનું ગૌરવ લઈને જઈ રહ્યો છે, એને વ્યાસપીઠ તમોગુણી સંધ્યા કહે છે. વ્યાસપીઠ નિવેદન કરે છે કે તમારી ક્ષમતા હોય તો પણ સંધ્યા સમયે બળનું કે એશ્વર્યાનું અહમ કરવું નહીં. સંધ્યાના સમયે જે અહમ કરે છે, એના માટે સવાર સારી જતી નથી, કારણ કે સંધ્યા સૌને કહે છે તમારું બળ પણ અસ્ત થઇ જશે, તમારી બુદ્ધિ પણ અસ્ત થઈ જશે, તારું ધન, તારી પ્રતિષ્ઠા બધું અસ્ત થશે. એટલે બે હાથ જોડો, વીસ ભૂજાઓ ફેલાવો નહીં. તમારી સંધ્યા પર તમારો સૂર્યોદય ડીપેન્ડ છે, એટલે કે આપણે સંધ્યા સમયે અહમ કરીએ નહીં તો સૂર્યોદય શુભનો સંકેત કરે છે.
અગામી બક્સરની કથામાં આવું ત્યારે આજુબાજુના આદિવાસીના કસબામાં કૂટિયા બનાવીને રહેવાની ઈચ્છા વ્યક્ત કરી, અને સરહદનાં વિસ્તારમાં પણ હું મળવા જઈશ, જેને ડર હોય એ મારી સાથે ન આવે. આતંકવાદીને કોઈનો ડર નથી તો આત્મવાદીને શેનો ડર!; મારી સાથે સિક્યોરિટી પણ ન આવે, માણસે પોતાની અહિંસાની કસોટી ખુદ કરવી જોઈએ.
એક વાત સમજી લો, જેમણે અહિંસાને પૂર્ણપણે પોતાનાં જીવનમાં સ્થાપિત કરી, હોય તો સામેવાળા હિંસા નહીં કરી શકે, હા અપવાદ છે નિયતિ. ગાંધીની અહિંસામાં કોઈક કસર નહોતી, એક માણસ આવી ગયો રિવોલ્વર લઈને, એને અહિંસાની અસર ન થઈ, કારણ કે ગાંધીની નિયતિ મા આ રીતનું મૃત્યુ લખ્યું હતું. જીસસ શું હિંસક હતાં, છતાં એમને વધ સ્તંભ પર લટકાવી દીધાં, એ એમની નિયતિ હતી. બુદ્ધ પુરુષ નિયતિને કાયમ આવકારે છે.
તો લંકાની સંધ્યા રજોગુણી છે. અયોધ્યાની સંધ્યા જ્યાં ભગવાન રામનો જન્મ થયો એ મધ્યાન સંધ્યા. બાર વાગે કે જ્યારે સૂર્ય ધીરે ધીરે અસ્ત તરફ પ્રયાણ કરે છે. રામનો જન્મ થયો ત્યારે ગોસ્વામી લખે છે અબીલ ગુલાલ ઉડી રહ્યા છે, બપોરને રાત્રિ મળવા આવી છે. એ સમજે છે કે દિવસમાં હું જઈ શકીશ, સાહસ કર્યું. આવી તો ગઈ અયોધ્યામાં, ભગવાન રામના દર્શન કરવા. પરંતુ સૂર્યને જોયો આ તો મધ્યાનનો સૂરજ હું ક્યાં આવી પડી. એ રાતના રૂપમાં ન રહી, તદભી બની સંધ્યા અનુમાની. એટલે કે અયોધ્યાની સંધ્યા છે રામનું પ્રાગટ્ય. લંકાની સંધ્યા છે અહંકારનું પ્રાગટ્ય. એ જ રીતે જનકપુરમાં બીજા દિવસનો સાયંકાળ પુષ્પવાટિકાનો પ્રસંગ સાયનકાળે ગુરુની આજ્ઞાને રામ લક્ષ્મણ સંધ્યા કરવા માટે પધાર્યા. સંધ્યાનો નિયમ હોય છે, સવારની સંધ્યા પૂર્વાભીનું હોય છે, સાયંકાળની સંધ્યા અસ્તાચલ તરફ હોય છે. મારા ભગવાનને ભાન ન રહ્યું, અને એ સાયં સંધ્યા પૂર્વ દિશા તરફ કરી રહ્યા છે. લક્ષ્મણજીએ કહ્યું આ શાસ્ત્ર વિરુદ્ધ છે, રામ શાસ્ત્ર વિરુદ્ધ નથી કરતાં, સવારે ભગવાન વાટીકામાં ગયાં, અને જાનકીના દર્શન કર્યા, ત્યારથી ભગવાન બસ જાનકીમય, બપોરનું ભોજન લીધું તો અંદર જાનકી, સાયંકાળે સત્સંગ થયો, ત્યારે બાબા વેદાંતની ચર્ચા કરે છે, ત્યાં ભક્તિમય ભગવાન છે. પૂર્વ દિશામાં ભગવાન સાયનકાળની સંધ્યા કરી રહ્યા છે, અને પૂર્વ દિશામાં હમણાં હમણાં ચંદ્ર નીકળ્યો છે, ભગવાન રામને ચંદ્રમામા ચાંદ ન દેખાયો, જાનકીનો ચહેરો દેખાયો. આલ્હાદીની શક્તિનો ચહેરો જોઈ રહ્યા છે, ઠાકુર. ભગવાન પ્રસન્ન થયાં, બીજી જ ક્ષણે ભગવાનને વિચાર્યું કે નહીં, ચંદ્ર સાથે જાનકીના ચહેરાની તુલના ન હોય એ તો વધે છે ઘટે છે. સમય આવે ત્યારે રાહુ એને ગ્રસી લે છે, એના પર ગુરુ અપરાધનું કલંક છે. ભગવાન કહે છે જાનકીનું મુખ ક્યાં અને ચંદ્ર તું ક્યાં? તું તો રંક છે, સાવ ફિક્કો લાગે છે, તો આ છે જનકપુરની ભક્તિમય સંધ્યા.
રામ અને રાવણ બંને ગુરુ ભાઈ છે. બંનેના ગુરુ મહાદેવ છે, બંને સીતાના ચહેરાનો જ ધ્યાન કરે છે. રામ અહીં અને ત્યાં લંકામાં રાવણ. લંકાના યુદ્ધમાં રામ સીયાનું ધ્યાન કરી રહ્યા છે, રામનું ધ્યાન કરતાં પહેલાં જાનકીનું ધ્યાન કરવું, કારણકે શરૂઆત ત્યાંથી થઈ હતી. રામના ચિત્તની દિવાલ પર જાનકીનું ચિત્ર પુષ્પવાટિકામાં અંકિત થયું. દરેક પુરુષે પોતાની પત્નીનું ધ્યાન કરવું, દરેક નારીએ પોતાનાં પતિનું ધ્યાન કરવું. સીતાજી ત્રીજાટાને પૂછ્યું હે માત, મને બતાવ રાવણ મરતો કેમ નથી? હું ખૂબ જ દુઃખી છું, હું મરી જઈશ! જેણે કુંભકરણને માર્યો છે,એ મારા રાઘવ રાવણને કેમ મારી શકતા નથી? ત્રીજટા કહે છે મરશે! સીતા પૂછે છે ક્યારે? ત્રીજટા કહે છે, રાવણ તમારું ધ્યાન છોડી દેશે, ત્યારે મરી જશે. રાવણ નિરંતર જાનકીના ધ્યાનમાં ડૂબ્યો છે, જ્યારે એનું ધ્યાન છૂટી જશે, ત્યારે ભગવાન તીર મારશે.
લંકાની સંધ્યા છે તમોગુણી અવધની સંધ્યા છે સતોગુણી, અને મિથિલાની સંધ્યા છે ભક્તિગુણી, જ્યાં નથી રજોગુણ,નથી તમોગુણ, નથી સતોગુણ.
માનસ અપરાધ વિશેના ઘણાં પ્રશ્નો છે!: આ ઉપરાંત રામકથાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, એ વિશે અહોભાવ પણ છે. અમૃત વહેંચાઈ રહ્યું છે, અમારી શંકાઓ ટળતી જાય છે. કથાનો જે પ્રસાદ લઈએ છીએ, એમાં બધું ફળ યજમાનને મળી જાય છે! ધર્માદાનું કેમ ખવાય! અધર્મનું બહુ ખાવ છો, આ નવ દિવસ ધર્મનું પણ ખાઈ લો એભ્રાંતિ છોડો.
સંસારમાં ત્રણ પ્રકારના જીવ છે, વિષયી, સાધક, અને સિદ્ધ, ચોથો પ્રકાર વ્યાસપીઠ જોડે છે શુદ્ધ. આપણે બધા વિષયી છીએ, વિષયી પાપ કરે છે. કેમકે વિષયીને કામ ક્રોધ લોભ બધું લાગુ પડે છે, એ બધા રજોગુણ વાળા તત્વો આપણને પાપમાં પ્રવૃત્ત કરે છે. વિષયી જીવને પ્રભુતા મળે તો અહંકાર આવી જાય છે, એટલે વિષયી આવા ભાવથી જે કરે એ પાપ છે. સાધક પાપ નથી કરી શકતાં, પણ અપરાધ કરે છે, અને સિદ્ધ હોય એ અપરાધ નહીં પરંતુ ભૂલ કરે છે. ઘણા સિદ્ધો એ ભૂલ કરી છે. જગતમાં. તલગાજરડી દ્રષ્ટિએ ચોથો પ્રકાર શુદ્ધ જીવ, એને તુલસીએ સાધુ કહ્યો છે. સાધુ પાપ નથી કરતો, અપરાધ નથી કરતો, અને ભૂલ પણ નથી કરતો, અને એવો શુદ્ધ સાધુ લોક કલ્યાણ માં સતત પ્રવૃત્ત રહે છે. કથાના ક્રમમાં રામ લક્ષ્મણ વિશ્વામિત્ર સાથે જાય છે, અને તાડકાને નિર્વાણ આપે છે, ત્યાં સુધીની કથા કહી આઠમા દિવસની કથાને વિરામ આપ્યો.
સંકલન ફાલ્ગુની વસાવડા (ભાવનગર)


