
શ્રી ચિત્રકુટધામ તલગાજરડામાં યોજાયેલ સંતવાણી સન્માન સમારંભ પ્રસંગે શ્રી મોરારિબાપુએ પ્રસન્નભાવે કહ્યું કે, ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે, એમ ભજનાનંદી હંમેશા મોજમાં જ હોય છે. શ્રી મોરારિબાપુએ સંતવાણી સન્માન પ્રસંગે સહજ ભાવે યોજાતા આ ઉપક્રમ અને ભજન અને ભજનિકો પ્રત્યેનાં પોતાના લગાવનો ઉલ્લેખ કરી પ્રસન્નભાવે કહ્યું કે, ભજનથી ભૂત ભાગે એટલે ભૂતકાળની ચિંતા જાય, ભવિષ્ય જાગે એટલે ભવિષ્યકાળ ઊજળો થાય અને વર્તમાન રહે આગે એટલે વર્તમાનકાળ પ્રગતિમાં રહે છે. શ્રી મોરારિબાપુએ કહ્યું કે, ભજનાનંદીને ભય, ભ્રમ કે ભેદ રહેતો નથી. વેર, વ્યસન કે વિગ્રહ હોતાં નથી અને મર્મ, ધર્મ અને કર્મ સમજાઈ જાય છે. કારતક વદ બીજ એ શ્રી મોરારિબાપુનાં પિતા શ્રી પ્રભુદાસબાપુની પુણ્યતિથિ પ્રસંગે તલગાજરડા શ્રી ચિત્રકુટધામમાં સંતવાણી સન્માન સમારંભ યોજાઈ ગયો. આ સંતવાણી વંદના સમારોહમાં સંતવાણીના આદિ સર્જકની વંદનામાં ભક્ત કવિ શ્રી ગેમલદાસજી – ગેમલજી ગોહિલ ( પ્રતિનિધિ શ્રી નરેન્દ્રસિંહ ગોહિલ (કુકડ), ભજનિક શ્રી પરસોત્તમપુરી ગોસ્વામી (જામ ખંભાળિયા), તબલા વાદક શ્રી રમેશપુરી ગોસ્વામી (કળમ લખતર), વાદ્ય વાદક (બેન્જો) શ્રી ધીરજસિંહ અબડા (જખૌ કચ્છ) તથા મંજીરા વાદક શ્રી હર્ષદગિરિ ગોસ્વામી (વલ્લભીપુર) વર્ષ ૨૦૨૫ માટે શ્રી મોરારિબાપુના હસ્તે સન્માનિત થયાં.


