સદગુરુ કૃપા હી કેવલમ. રવિવાર. શ્રાવણ
પરિચય ફાલ્ગુની વસાવડા.
શીર્ષક- વાંચન વિશેષ.
ૐ કારનો અનાહત નાદ એટલે સાધકને સમાધિ તરફ ધકેલતું શૂન્યનું સંગીત!
હિન્દુ સનાતન સંસ્કૃતિમાં દેવ દેવીઓ જેટલું જ મહત્વ મંત્રનું છે, અને દરેક દેવી દેવતાઓનાં અલગ અલગ મંત્રનું પણ મહાત્મય રહેલું છે. પરંતુ અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે, અને ભગવાન શંકર માટે કહેવાય છે કે ૐ કારનાં બીજ મંત્રની ઉત્પત્તિ સાથે એનો સીધો સંબંધ છે, અથવા તો એમ કહો કે ૐ એ શંકરના મૂળ સ્વભાવ કલ્યાણ નું પ્રતિક છે અને એટલે જ એને દરેક મંત્ર આગળ મૂકી કલ્યાણ ના ભાવ વગર કોઈ મંત્ર કામ નહીં કરે એમ કહેવું છે. તો ૐ કાર એ માત્ર મંત્ર નથી, પણ ત્યાંથી મંત્ર વિજ્ઞાન કે અધ્યાત્મ વિજ્ઞાન શરૂ થાય છે!, એવું જ્ઞાન પપ્પાએ નાનપણમાં આપ્યું હતું, અને પપ્પા હંમેશા કહેતા કે મારી કે કોઈ અન્યની કહેલી વાત માત્ર માહિતી છે,પણ એ જ્ઞાન ત્યારે બને, જ્યારે એને ખુદનાં અનુભવે સિદ્ધ કરવું પડે. પપ્પા આધ્યાત્મિક અને મમ્મી ભક્તિ આમ નદીના બંને કિનારાની ગતિ પરમ તત્વ તરફની જ હોવાથી અમે ઈશ્વર તત્વ વિશે કંઈક પામ્યા. તો આ શ્રાવણ માસમાં ભગવાન શંકરને વધું સારી રીતે સમર્પિત થવા આ ૐ કારના બીજ મંત્રનું વિજ્ઞાન સમજીએ.
ભારતીય અધ્યાત્મ માં નાદ બ્રહ્મની પણ વાત છે અને ઓમકાર એ નાદ બ્રહ્મની સૌથી વધુ અનૂભૂતિ કરાવનાર શબ્દ બ્રહ્મ છે. હિંદુ સનાતન ધારામાં ઓમકાર નાદને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. અને તેને પ્રણવ મંત્ર, અને બીજ મંત્ર પણ કહેવામાં આવે છે. પ્રણવ એટલે કે સૃષ્ટિનું સર્જન કરનાર, અને એટલે જ ભગવાન શંકરનુ એક નામ પ્રણવ પણ છે. ઓમકાર નાદનો સીધો અર્થ કરીએ તો અનાહત નાદ, કે જે અધ્યાત્મ સાથે સાંકળનાર છે, એટલે કે ભક્તને પોતાનામાં ઈશ્વરનો નાદ સંભળાય એવી સાધના કરાવનાર આ મંત્ર છે. આ મંત્રના રટણથી પરમાત્મા સાથેનો નાતો આપણો દ્રઢ અને અતૂટ બને છે. અ, ઉ ને મ, એ ત્રણ અક્ષરથી બનતો ૐ એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેનું એક સ્વરૂપ છે. કહેવાય છે કે સૃષ્ટિની ઉત્પત્તિ એ ઓમકાર નાદ માંથી થઈ હતી. આપણે ત્યાં એટલે જ, જુદા જુદા વિવિધ ભાવની વાત આવી. ત્રિદેવ, ત્રિગુણ, ત્રિકાળ. મુખ્ય જાતિ નર, નારી, અને નાન્યતર. મુખ્ય ત્રણ ભાવ, સત્ય પ્રેમ અને કરુણા. ઉષ્મા, ઉર્જા અને પ્રાણ શક્તિ, આથી જ અધ્યાત્મને પણ વિજ્ઞાન કહેવામાં આવે છે. મુખ્ય ત્રણ ધર્મ હિન્દુ જૈન અને બૌદ્ધ, આ બધામાં ઓમકારનું ખૂબ જ મહત્વ છે. ઓમકારના સતત રટણ કરવાથી અનાહત નાદ ઉત્પન્ન થાય છે, અને અનાહત નાદથી સમાધિ સૂચક અવસ્થા પ્રાપ્ત થાય છે.
“અ”, “ઉ” અને “મ” થી ૐ મંત્ર બને છે, તેમજ તેના ચિહ્નમાં “ર” કાર અને તેના ઉપર બિંદુ છે.
‘અ’ નો સંદર્ભ સર્જક એટલે બ્રહ્મા, ‘ઉ’ નો સંદર્ભ પાલક એટલે કે વિષ્ણુ અને ‘મ’ નો સંદર્ભ સંહારક એટલે કે મહાદેવ છે. આમ ૐ માં ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સમાવિષ્ટ છે.
ૐ જે અ, ઉ અને મ તેમજ અર્ધ ચંદ્રાકાર અને તેના ઉપર બિન્દુથી બને છે, જ્યાં “અ” જાગૃત અવસ્થાનો સંકેત કરે છે, “ઉ” સ્વપ્ન અવસ્થાનો સંકેત કરે છે અને “મ” સુષુપ્ત અવસ્થાનો સંકેત કરે છે. સુષુપ્ત અવસ્થામાં મન અને બુધ્ધિ શાંત થઈ જાય છે. આમ અ, ઉ, મ્ અર્ધચંદ્રાકાર અને બિન્દુથી બનતો ૐ ચોથી અવસ્થાની સ્થિતિ છે. આ ચોથી અવસ્થાને સમાધિની સ્થિતિ કહેવાય છે. અ ની જાગૃત અવસ્થા, ઉ ની સ્વપ્ન અવસ્થા અને મ ની સુષુપ્ત અવસ્થા માંથી પસાર થતાં, એટલે કે ઓમ નો આતંર નાદ બંધ થતાં એક અગાઢ શાંતિની અવસ્થા આવે છે, જેને તુરીયા અવસ્થા કે સમાધિની અવસ્થા કહેવાય છે. આ અવસ્થામાં બધું જ શાત થઈ જાય છે, અને ભગવાન શંકર લગભગ આ ચોથી અવસ્થામાં જ રહેનારા છે એટલે સમાધિસ્થ રહે છે. જેમ કે રામચરિત માનસમાં ઉલ્લેખ છે કે ભગવાન શિવ 87 હજાર વર્ષ સમાધિમાં હતાં!
“અ” ને વાણી, “ઉ” ને મન અને “મ” ને જીવનના ધબકારા- પ્રાણ પણ કહી શકાય. અને અ, ઉ, મ્ ,ર કાર અને બિન્દુથી બનતા ૐ ના સ્વરુપને આત્મા અંશી કહી શકાય, જે પરમ અંશ પરમાત્માનો એક ભાગ છે.
અ, ઉ, મ એ અનુક્રમે લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ છે. તો અ, ઉ, મ, ર કાર અને બિન્દુથી રચાયેલ ૐ ગહેરાઈ છે અને તે આકાર, અને કૃતિથી પર છે.
અ, ઉ, મ એ ઈચ્છા, ભય અને ક્રોધ રહિત છે, તો અ, ઉ, મ, ર કાર અને બિન્દુથી રચાયેલ ૐ પૂર્ણ પુરુષ છે, અને આ પૂર્ણ પુરુષ પરમ પરમાત્માને સંપૂર્ણ સમર્પિત છે.
અ, ઉ, મ એ નર, નારી અને નાન્યતર જાતિ દર્શાવે છે જ્યારે અ, ઉ, મ, ર કાર અને બિન્દુથી રચાયેલ ૐ એ કૃતિ અને તેના કર્તાનું એક જ સ્વરુપ છે.
સત્યનું નામ એ જ ઓમકાર છે. ભારતીય આધ્યાત્મ જગતનું રહસ્ય ઓમકારમાં સમાઈ જાય છે. ઓમકારને એક શબ્દ તરીકે ઓળખવવો કે વર્ણવવો એક ભૂલ છે, કારણ કે ઓમકાર કોઈ શબ્દ નથી, કારણ કે દરેક શબ્દનો અર્થ હોય છે. જ્યારે ઓમકારને કોઈ શબ્દ ગણી તેનો અર્થ ન સમજાય. ઓમકાર એ એક અનુભૂતીનો વિષય છે. તે તો માત્ર એક શુધ્ધ ધ્વનિ છે. તેમજ તેને એક ધ્વનિ કહેવો પણ એક લાચારી કે આપણી સમજવાની મર્યાદા છે. કોઈ પણ ધ્વનિ પેદા કરવા માટે બે વસ્તુને ટકરાવવું પડે, જ્યારે ઓમકારના ધ્વનિને પેદા કરવાની જરુરીયાત જ નથી રહેતી. ઓમકાર અનાહદ નાદ છે, જે કોઈ પણ જાતના ટકરાવ કે આઘાત વિના પેદા થયેલ નાદ ધવ્નિ છે.
ૐ કારનો જાપ તો આપણા કંઠની ટકરાહટ છે, આપણા પોતાનામાં જ પેદા થયેલ ધ્વનિ છે. અન્ય મંત્રો છે, જ્યારે ઓમકાર મહા મંત્ર છે, બીજ મંત્ર છે જેમાંથી બીજા બધા મંત્રોની ઉત્પતિ થઈ છે.
ભારતીય આધ્યાત્મિક જગત મનને મટાડવાની વાત કરી છે. અને જ્યારે મન મટી જાય છે, ત્યારે ઓમકારનો અનાહદ નાદ પેદા થાય છે, ઓમકાર ધ્વનિ સંભળાય છે. ઓમકાર મૂળ સ્તોત્ર છે, જેનાથી બધા સ્વર પેદા થાય છે. તમામ અસ્તિત્વ ઓમકારથી જોડાયેલું છે. ઓમકારનો અનાહત નાદ એટલે શૂન્યનું સંગીત.
વિજ્ઞાનની શોધ વિદ્યુત છે, તેમાં ઉષ્મા, ઉર્જા સમાવિષ્ઠ છે. આજ રીતે ઓમકારને જો વિદ્યુત સમજીએ તો તેમાં ઉષ્મા, ઉર્જા અને પ્રાણનું સ્પંદન સમાવિષ્ઠ છે. આના દ્વારા જ સત્યને પામી શકાય. એક ઓમકારની ધૂનમાં લીન થઈ જઇએ તો બીજું બધું જ શાન્ત થઇ જશે, બહારની દુનિયા શૂન્યમાં પરિવર્તિત થઇ જશે.
ઓમ કાર વિશે તો જેટલું લખીએ એટલું ઓછું છે, કારણ કે જેનાથી સૃષ્ટિની ઉત્પત્તિ છે, તેનો કોઈ અંત નથી, અને અનંત ગુણો ધરાવતા આ ૐ કારની મેં સદગુરુ કૃપાથી બુદ્ધિ પ્રમાણે સરળ બનાવવા કોશિશ કરી છે. જોકે આ બધી તો શાસ્ત્રીય વાત છે, પરંતુ આપણે રહ્યાં સંસારી કદાચ એટલું સટીક સ્મરણ થાય નહીં! અને અનાહત નાદ સુધી પહોંચાય નહીં! પણ સ્થૂળ રુપે ૐ કારનો ધ્વનિ અહમ અને ઈચ્છાને સમાપ્ત કરનાર છે, કળિયુગમાં આસ્થા માટે આટલું પણ પર્યાપ્ત છે. તો આપણે એ બીજ મંત્રની ઉત્પત્તિ છે, અને એ જ બીજ મંત્રમાં જ સૃષ્ટિ સમાહિત થઈ જાય છે. તો એ સમાહિત થાય તે પહેલા, આ શ્રાવણે તેનું રટણ કરીને એ સમાધિ તરફ લઈ જતાં અનાહત નાદ ને અનુભવીને ભગવાન શંકરના કલ્યાણકારી સ્વરૂપને આત્મસાત કરી શકીએ. ૐ નમઃ શિવાય.
લી. ફાલ્ગુની વસાવડા. ( ભાવનગર)
