
દેહરાદૂન અને તેની આસપાસના વિસ્તારોમાં ગઈકાલથી થઈ રહેલા મૂશળધાર વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ કુદરતી આફતમાં દસ લોકોના મોત થયા છે. જ્યારે આઠ ગુમ છે. સહસ્ત્રધારા નજીક પૂરના કારણે ભારે નુકસાન થયું છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારો અને પૂરપીડિતોને સંભવિત તમામ મદદ કરવા આશ્વાસન આપ્યું છે. માલદેવતા ક્ષેત્રમાં નદીમાં પૂર આવતાં રસ્તાઓ, પુલ જળમગ્ન બન્યા છે. રિસ્પના અને બિંદાલ નદીનું જળસ્તર વધતાં નીચાણવાળા વિસ્તારો ડૂબ્યા છે. ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક દુકાનો અને હોટલ પાણીમાં વહી ગઈ છે.
દેહરાદૂન-પાંવટા નેશનલ હાઈવે પર પ્રેમનગર નંદા પોલીસ સ્ટેશન નજીક બ્રિજ પાણીમાં તણાઈ જતાં પરિવહન સેવા ખોરવાઈ છે. મસૂરી-દહેરાદૂન રસ્તામાં અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટના બની છે. આસન નદીમાં ટ્રેક્ટર ટ્રોલી વહી જતાં 13 લોકો ગુમ થયા હતાં. જેમાં પાંચના મૃતદેહ મળી આવ્યા છે. અન્યની શોધ ચાલુ છે. અન્ય એક સ્થળેથી પૂરના કારણે 10ના મોત થયા હતા. જ્યારે આઠ લોકો તણાઈ ગયા છે. કાલસી ચકરાતા મોટર માર્ગ પર જજ રેટ પહાડ પર ભૂસ્ખલન થતાં સ્કૂટી સવાર યુવકનું મોત નીપજ્યું હતું.


