
ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ તાજેતરમાં પોતાના લગ્ન જીવનના નવા પડાવ અને સગાઈને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિવાદો પર મૌન તોડ્યું છે. કિંજલ દવએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો સંદેશ દ્વારા તેમણે અસામાજિક તત્વો અને ટીકાકારોને કડક શબ્દોમાં જવાબ આપ્યો છે.કિંજલ દવેએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી તેમના સગપણને લઈને મીડિયામાં અનેક ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ તેઓ અત્યાર સુધી શાંત હતા કારણ કે વાત માત્ર તેમના સુધી સીમિત હતી. જોકે, હવે જ્યારે વાત તેમના પરિવાર અને પિતાના સ્વાભિમાન પર આવી છે, ત્યારે એક દીકરી તરીકે સહન કરવું મુશ્કેલ છે અને એટલે જ તેમણે આજે બોલવાનો નિર્ણય કર્યો છે.સમાજના કહેવાતા ઠેકેદારો પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે, ‘આધુનિક જમાનામાં પણ અમુક અસામાજિક તત્ત્વો દીકરીઓ માટેના નિયમો નક્કી કરવા નીકળ્યા છે. દીકરીઓને ઉડવા માટે પાંખો મળી છે, પણ તેને કાપવાની વાતો થઈ રહી છે’. તેમણે બાળ લગ્ન, સાટા પ્રથા અને દીકરીઓના પૈસા લેવા જેવા કુરિવાજો સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે એક તરફ દીકરીઓ આર્મી, નેવી અને વિજ્ઞાન ક્ષેત્રે દેશનું ગૌરવ વધારી રહી છે, ત્યારે બીજી તરફ તેમને ઘુંઘટમાં રાખવાની અને દબાવવાની માનસિકતા દુઃખદ છે.


