
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે દિવાળી ગિફ્ટ આપી છે. પીએમ અધ્યક્ષતામાં થયેલી આ બેઠકમાં કુલ 1.20 લાખ કરોડ રૂપિયાના મહત્ત્વના નિર્ણયો લેવાયા છે. સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને મોટી રાહત આપતા મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 3 ટકાના વધારાને મંજૂરી આપી છે. આ નિર્ણય 1 જુલાઈ 2025થી લાગુ થશે. તેનાથી 49 લાખ કર્મચારીઓ અને 69 લાખ પેન્શનર્સને સીધો ફાયદો મળશે.દિલ્હીમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મોટા નિર્ણયની જાણકારી આપી છે. ખેડૂતો માટે પણ ખુશખબર આપી છે. સરકારે એમએસપીમાં વધારો કરવાની જાહેરાત કરી છે. દાળ ઉત્પાદનને વધારવા માટે હાઈ ક્વોલિટીવાળા બિયારણ અને વેલ્યૂ ચેન પર કામ કરવાનો નિર્ણય લીધો છે. શિક્ષણના ક્ષેત્રમાં પણ મોટો નિર્ણય લેવાયો છે. દેશભરમાં 57 નવી કેન્દ્રીય વિદ્યાલયો ખોલવામાં આવશે. હાલમાં 1288 કેન્દ્રીય વિદ્યાલયમાં 14 લાખ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. નવી સ્કૂલ ખોલવાથી લાખો બાળકોને વાજબી અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે. આવો કેન્દ્રીય કેબિનેટના નિર્ણય વિશે વિસ્તારથી જાણીએ.કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેયર્સે આસામાં કાલીબોર-નુમાલિગઢ સેક્શનને 4 લેન કરવાની મંજૂરી આપી છે. 85.67 કિમી લાંબા આ પ્રોજેક્ટમાં 34.5 કિમીનો એલિવેટેડ કોરિડોર બનશે, જેથી કાઝીરંગા નેશનલ પાર્કમાંથી વન્યજીવ સુરક્ષિત રીતે રસ્તો ક્રોસ કરી શકે. આ ઉપરાંત 21 કિમી બાઈપાસ અને 30 કિમી રોડ અપગ્રેડેશન પણ થશે. પ્રોજેક્ટથી પર્યટન, ઉદ્યોગ અને ક્ષેત્રિય અર્થવ્યવસ્થાને ગતિ મળશે અને લગભગ 35 લાખ માનવ દિવસ રોજગાર ઉત્પન્ન થશે.


