
સંઘવી સૌથી યુવા DyCM; વાઘાણી, મોઢવાડિયા, રીવાબા સહિતનાં મંત્રીઓએ હાથમાં ભગવદ્ ગીતા લઈ શપથ લીધાગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરાયું છે. ગુજરાતના નવા મંત્રીમંડળ માટે કુલ 26 મંત્રીની યાદી જાહેર કરાઈ છે. આ યાદીમાં જૂના 10 મંત્રીઓને સ્થાન નથી અપાયું. 16 ઓક્ટોબર, ગુરુવારે રાજ્યના 16 મંત્રીએ રાજીનામા આપ્યા બાદ આજે (17 ઓક્ટોબર) મહાત્મા મંદિરમાં શપથવિધિ શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલા હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.ગુજરાતના 26 સભ્યના મંત્રીમંડળ માટે કુલ 21 મંત્રીએ શપથ લઈ લીધા છે. આ પૈકી ઋષિકેશ પટેલ (વીસનગર), કુંવરજી બાવળિયા (જસદણ), પરષોત્તમ સોલંકી (ભાવનગર ગ્રામ્ય) અને કનુ દેસાઈ (પારડી)એ શપથ લીધા નથી. તેનું કારણ એ છે કે, તેમનો મંત્રીપદનો દરજ્જો યથાવત્ રાખવાનું નક્કી હતું.

ગુજરાતના ગૃહમંત્રી તરીકે ફરજ બજાવી ચૂકેલા હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ પહેલા તેઓ સૌથી નાની વયે રાજ્યકક્ષાના મંત્રી બન્યા હતા. હવે તેમને કેબિનેટ મંત્રી તરીકે પ્રમોશન અપાયું છે. તેઓ સુરતની મજૂરા બેઠક પરથી ધારાસભ્ય છે.


