
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર વૈશ્વિક અસર પડી રહી છે, ત્યારે કેન્દ્ર સરકારે દેશભરની ઓઇલ રિફાઇનરીઓને LPG ઉત્પાદન વધારવાનો નિર્દેશ આપ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સોમવારે જાહેરાત કરી હતી કે આ વધારાના ઉત્પાદનનો ઉપયોગ આગામી મહિનાઓમાં સ્થાનિક માંગને પહોંચી વળવા અને પુરવઠાને સ્થિર કરવા માટે કરવામાં આવશે. ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે X પરની કરેલી એક પોસ્ટમાં, મંત્રાલયે જણાવ્યું છે કે, ઓઇલ રિફાઇનરીઓને LPG ઉત્પાદન વધારવા અને સ્થાનિક વપરાશ માટે વધારાના ઉત્પાદનને પ્રાથમિકતા આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.આ ઉપરાંત કહ્યું છે કે, “ઈંધણ પુરવઠા પરના વર્તમાન ભૂરાજકીય અવરોધો અને LPG પુરવઠામાં વિક્ષેપોને ધ્યાનમાં રાખીને, મંત્રાલયે તેલ રિફાઇનરીઓને વધુ LPG ઉત્પાદન કરવા અને આ વધારાના ઉત્પાદનનો ઉપયોગ ઘરેલુ LPG ઉપયોગ માટે કરવા નિર્દેશ આપ્યો છે. મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને પ્રાથમિકતા આપી છે અને સંગ્રહખોરી કે કાળા બજારને ટાળવા માટે 25 દિવસનો ઇન્ટર-બુકિંગ સમયગાળો રજૂ કર્યો છે. હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ જેવા આવશ્યક બિન-ઘરેલુ ક્ષેત્રો માટે આયાતી LPGમાંથી બિન-ઘરેલુ પુરવઠાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ ઉપરાંત અન્ય બિન-ઘરેલુ ક્ષેત્રોમાં LPG પુરવઠા માટે, રેસ્ટોરન્ટ્સ,હોટલ,અન્ય ઉદ્યોગોને LPG પુરવઠા માટે પ્રાપ્ત રજૂઆતોની સમીક્ષા કરવા માટે OMC ના ત્રણ EDની સમિતિની રચના કરવામાં આવી છે.”


