બૈરાબી-સૈરાંગ રેલવે લાઇનની સફળતાની સાથે આઈઝોલ રેલવે નેટવર્ક સાથે જોડાયું

પૂર્વોત્તર ભારતનું સુંદર અને સાંસ્કૃતિક દ્રષ્ટીએ સમૃદ્ધ રાજ્ય મિઝોરમ હવે ભારતના રાષ્ટ્રીય રેલવે નકશા પર ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરવા જઈ રહ્યું છે. “લેન્ડ ઓફ ધ હિલ પીપલ” તરીકે પ્રસિદ્ધ મિઝોરમ, જે મ્યાનમાર, બાંગ્લાદેશ અને ત્રિપુરા, આસામ અને મણિપુર જેવા ભારતીય રાજ્યોની સીમાઓથી ઘેરાયેલું છે, હવે પ્રથમ વાર સીધા રેલવે નેટવર્કથી જોડાઈ ગયું છે. આની રાજધાની આઈઝોલને રાષ્ટ્રીય રેલવે નેટવર્કથી જોડનારી બૈરાબી-સૈરાંગ નવી રેલવે લાઈનનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે, જે રાજ્યના સામાજિક અને આર્થિક વિકાસની દિશામાં એક ઐતિહાસિક ઉપલબ્ધિ છે.
આ મહત્વાકાંક્ષી પરિયોજનાની શરૂઆત 29 નવેમ્બર 2014 ના રોજ થઈ હતી જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બૈરાબીથી સૈરાંગ સુધી નવી રેલવે લાઈનું ઉદઘાટન વર્ચ્યુઅલ માધ્યમથી કર્યું હતું. તેના પછી 27 મે 2016 ના રોજ વડાપ્રધાન દ્વારા બૈરાબી અને સિલચર વચ્ચે પ્રથમ યાત્રી ટ્રેનને વર્ચ્યુઅલી રવાના કરવામાં આવી હતી. 21 માર્ચ 2016 ના રોજ પ્રથમ બ્રૉડ ગેજ માલગાડી બૈરાબી સ્ટેશન પર પહોંચી, જે 42 વેગનોમાં ચોખા લઈને આવી હતી. આ પછી 1 મે 2025 ના રોજ સૈરાંગ (આઈઝોલ પાસે) સુધી પ્રથમ વાર ટ્રેનનું સફળ ટ્રાયલ રન થયું, જેમાં પૂર્વોત્તર સિમાંત રેલવે (બાંધકામ) ના જનરલ મેનેજર ઉપસ્થિત હતા. આની સાથે જ રેલવે સંરક્ષા કમીશનર (CRS) દ્વારા અંતિમ સેક્શન — હોર્ટોકીથી સૈરાંગનું નિરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું, જેનાથી 51.38 કિલોમીટર લાંબી આ રેલવે પરિયોજનાનું નિર્માણ કામ પૂર્ણ થયું અને આઈઝોલ પ્રથમ વાર ભારતના રેલવે નેટવર્ક સાથે સીધું જોડઈ ગયું.આ મિઝોરમને ભારતના એ ચાર પૂર્વોત્તર રાજ્યોની યાદીમાં સામેલ કરે છે, જેમની રાજધાની સીધી રેલવે સાથે જોડાયેલી છે. આ પરિયોજનાની કુલ પ઼ડતર લગભગ ₹8071 કરોડ છે અને આને ચાર સેક્શનમાં પૂર્ણ કરવામાં આવી છે : બૈરાબી-હોર્ટૉકી (16.72 કિ.મી.), હોર્ટૉકી-કાંવપુઈ (9.71 કિ.મી.), કાંવપુઈ-મુઆલખાંગ (12.11 કિ.મી.) અને મુઆલખાંગ-સૈરાંગ (12.84 કિ.મી.). આ પરિયોજના હેઠળ 48 સુરંગો (કુલ લંબાઈ : 12,853 મીટર), 55 મોટા પુલો, 87 નાના પુલો, 5 રોડ ઑવર બ્રિજ અને 6 રોડ અન્ડર બ્રિજનું બાંધકામ કરવામાં આવ્યું છે. આમાંથી પુલ નંબર 196 વિશેષ રૂપે ઉલ્લેખનીય છે, જેની ઊંચાઈ 114 મીટર છે – જે કુતુબ મીનારથી 42 મીટર વધારે છે.
આ પરિયોજનાની એક અનોખી વિશેષતા એ છે કે આમાં મિઝોરમની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સામેલ કરવામાં આવ્યા છે. બૈરાબી-સૈરાંગ રેલવે માર્ગની સુરંગોને મિઝો સંસ્કૃતિને દર્શાવતા સુંદર ભીંતચિત્રોથી શણગારવામાં આવી છે, જેનાથી રેલવે યાત્રા પરિવહનનું માધ્યમ જ નહીં પરંતુ એક સાંસ્કૃતિક અનુભવ બની જાય છે. આ ફક્ત પર્યટનને પ્રોત્સાહન જ નહીં આપે પરંતુ સ્થાનિક કલાને પણ નવી ઓળખ આપશે.


