
લાખો કરોડો લોકોની આસ્થાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં 8 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’નો ભવ્ય મંગલ પ્રારંભ થયો છે. આ પર્વ માત્ર ધાર્મિક ઉજવણી નહીં, પરંતુ સોમનાથના એક હજાર વર્ષના સંઘર્ષ, બલિદાન અને પુનઃનિર્માણની અવિસ્મરણીય ગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનો સશક્ત પ્રયાસ છે.આ ઐતિહાસિક પર્વમાં જોડાવા રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરોથી વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે રાજકોટથી વિશેષ ટ્રેન સોમનાથ રેલવે સ્ટેશન પર આવી પહોંચતા જ ‘જય સોમનાથ’ અને ‘હર હર ભોલે’ના ગગનભેદી નાદથી સમગ્ર સ્ટેશન પરિસર ભક્તિમય બની ઉઠ્યું હતું. ભગવા ધ્વજ, ભજન-કીર્તન અને હરોળબદ્ધ શિવભક્તોથી સોમનાથ ધામ આસ્થાના મહાસાગરમાં ફેરવાઈ ગયું હતું.સોમનાથનો ઈતિહાસ વિનાશ સામે સર્જનના વિજયની અમર કથા છે. ઈ.સ. 1026માં મહમદ ગઝનવીના આક્રમણથી લઈ સદીઓ સુધી વિદેશી આક્રમણખોરોએ આ આસ્થાકેન્દ્રને ખંડિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરેક વખત ભારતવર્ષે પોતાના વીર પુત્રોના બલિદાનથી સોમનાથને ફરીથી ઊભું કર્યું. આ સ્વાભિમાન પર્વ દ્વારા હમીરજી ગોહિલ, વેગડાજી ભીલ સહિત અગણિત શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.11 જાન્યુઆરી સુધી ચાલનારા આ સ્વાભિમાન પર્વ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ઐતિહાસિક પ્રસ્તુતિઓ અને કથાઓ દ્વારા સોમનાથની પૌરાણિક તથા શૌર્યગાથા જનજન સુધી પહોંચાડવામાં આવશે. અમદાવાદ, સુરત અને વડોદરાથી પણ વિશેષ ટ્રેનો દ્વારા હજારો શ્રદ્ધાળુઓ સોમનાથ ધામે ઉમટી પડશે.


