
પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખીને અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. 26 જાન્યુઆરી પહેલા એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરાયું છે અને તમામ પ્રવેશદ્વારો પર કડક ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.અમદાવાદ એરપોર્ટ પ્રશાસન દ્વારા મુસાફરો માટે ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. એડવાઇઝરી મુજબ મુસાફરોને પોતાની ઉડાનના સમય કરતાં વહેલી તકે એરપોર્ટ પહોંચવા અપીલ કરવામાં આવી છે, જેથી ચેક-ઇન અને સુરક્ષા તપાસ દરમિયાન કોઈ મુશ્કેલી ન થાય.હાઈ એલર્ટને કારણે ઉડાન પહેલાંની તપાસ પ્રક્રિયા વધુ સઘન બનાવવામાં આવી છે. મુસાફરોના સામાન, ઓળખપત્રો અને બોર્ડિંગ પાસની કડક તપાસ કરવામાં આવી રહી છે. CISF અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા વધારાનો સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યો છે.એરપોર્ટ સત્તાવાળાઓએ મુસાફરોને સલાહ આપી છે કે તેઓ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પૂરતો સમય લઈને એરપોર્ટ તરફ રવાના થાય. પ્રવેશ સમયે તપાસ, પાર્કિંગ અને ટ્રાફિકને કારણે સામાન્ય દિવસોની તુલનામાં વધુ સમય લાગી શકે છે.


