
‘વોટ ચોરી’ના આરોપ પર ચૂંટણી પંચનું મોટું નિવેદન સામે આવ્યું છે. ચૂંટણી પંચે આજે રવિવારે (17 ઓગસ્ટ) પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર મામલે માહિતી આપી હતી. જેમાં બિહારમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) મુદ્દે વિપક્ષ છેલ્લાં ઘણાં સમયથી સત્તાધારી રપક્ષ અને ચૂંટણી પંચ વોટ ચોરી સહિતના ગંભીર આરોપો મૂકી રહ્યા છે. આ અંગે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જવાબ આપ્યા છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, ‘અમારા માટે પક્ષ-વિપક્ષ બંને સરખાં છે.’ આ પત્રકાર પરિષદમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા.મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, ‘તેમણે ચૂંટણી પંચ અને મતદાર યાદીને લઈને જે આરોપ લગાવ્યા છે, તે નિરાધાર છે અને ખોટા છે. જો તેમની પાસે પોતાના દાવાના પૂરાવા છે તો તેમણે 7 દિવસમાં સોગંદનામું આપવું પડશે, નહીતર આખા દેશની માફી માગવી પડશે.’તેમણે વધુમાં જણાવ્યું કે, ‘ગંભીર ચિંતાનો વિષય છે કે રાજકીય પક્ષોના જિલ્લા પ્રમુખો અને તેમના દ્વારા નિયુક્ત કરાયેલા BLO દ્વારા ચકાસવામાં આવેલા દસ્તાવેજો અને પ્રમાણપત્રો રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરના નેતાઓ સુધી પહોંચી નથી રહ્યા અથવા તો જમીની સ્તરે વાસ્તવિક્તાને નજરઅંદાજ કરીને ભ્રમ ફેલાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.’


