
ટાટા પાવરે રાષ્ટ્રપતિ ભવનના ‘અમૃત ઉદ્યાન’ ખાતે આયોજિત ‘નેશનલ પર્પલ ફેસ્ટ’ની ત્રીજી આવૃત્તિમાં પોતાની ‘પે ઓટેન્શન’ પહેલ દ્વારા ઓટિઝમ અને અન્ય માનસિક વિષમતા ધરાવતી વ્યક્તિઓ માટે એક સમાન અને સર્વસમાવેશક વાતાવરણનું નિર્માણ કરવાની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય તથા દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ (DEPwD) દ્વારા આયોજિત આ એક દિવસીય ઉત્સવમાં 8,000થી વધુ દિવ્યાંગ વ્યક્તિઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર ભારતમાંથી દિવ્યાંગો માટે તકો અને સમાનતા વધારવા માટે કામ કરતી સંસ્થાઓ અને સમુદાયો એકઠાં થયા હતાં. ગોવા ખાતે પર્પલ ફેસ્ટ અને પર્પલ ટોક્સની શરૂઆત થઈ ત્યારથી જ ટાટા પાવર એક વિચારશીલ ભાગીદાર તરીકે આ પહેલને સમર્થન આપી રહ્યું છે અને નેશનલ પર્પલ ફેસ્ટની ત્રણેય આવૃત્તિઓમાં સહયોગી રહ્યું છે.
દિવ્યાંગ વ્યક્તિઓ માટે સુલભતા અને સમાનતા વધારવા માટે ભારતના અગ્રણી રાષ્ટ્રીય મંચ તરીકે ઉભરી આવેલા આ એક દિવસીય ઉત્સવે કેર ગિવર્સ, શિક્ષકો, સામાજિક સંસ્થાઓ અને કોર્પોરેટ ભાગીદારોને એકસાથે એક મંચ પર એકત્રિત કર્યાં હતાં, જેથી દિવ્યાંગો માટેની સહાયક પ્રણાલીઓ અને પરસ્પર સહયોગને વેગ આપી શકાય. આ ભાગીદારીના ભાગરૂપે, ટાટા પાવરની ‘પે ઓટેન્શન’ પહેલે, ઓટિઝમ અને અન્ય માનસિક વિષમતા ધરાવતી વ્યક્તિઓ માટે જાગૃતિ, સંભાળ રાખનારાઓને ટેકો અને કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ માટે એક ખાસ ઇન્ટરેક્ટિવ ઝોન તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં માનસિક વિષમતા ધરાવતી વ્યક્તિઓ, પરિવારો અને શિક્ષકો માટે શીખવાના સાધનો, સંભાળ માટેની મદદ અને કૌશલ્ય વધારવાના માર્ગો રજૂ કરવામાં આવ્યા હતા.
આ ઉજવણીમાં ભાગ લેનારા મુલાકાતીઓ અહીં અનેક શૈક્ષણિક અને સહાયક પ્રવૃત્તિઓમાં જોડાયાં હતાં, જેમાં ‘ઈ-સાન્નિધ્ય’ ડિજિટલ પ્લેટફોર્મનું પ્રદર્શન પણ સામેલ હતું. આ પ્લેટફોર્મ માનસિક વિષમતા ધરાવતી વ્યક્તિઓ માટે સારવારનું માર્ગદર્શન, વ્યવસાયિક તાલીમ અને સંભાળ રાખનારાઓ માટે શીખવાના સાધનો ઉપલબ્ધ બનાવે છે. નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ વાલીઓ, શિક્ષકો અને સંભાળ રાખનારાઓએ આ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ વ્યવસ્થિત શૈક્ષણિક સામગ્રી અને સહાયક સંસાધનોની માહિતી મેળવી હતી. આ પ્લેટફોર્મ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં 13,000થી વધુ લોકોએ તેમાં નોંધણી કરાવી છે. આ ઉપરાંત, આ ઇન્ટરેક્ટિવ ઝોનમાં માનસિક વિષમતા ધરાવતા યુવાનો માટે ‘UI/UX સ્કિલ ડેવલપમેન્ટ’ જેવા ખાસ અભ્યાસક્રમો માટે નોંધણી કરવામાં આવી હતી. આ સિવાય, મગજના પોષણ અને ઘરગથ્થુ સંભાળ માટેનો એક ખાસ વિભાગ રાખવામાં આવ્યો હતો અને માનસિક વિષમતા ધરાવતા કલાકાર કુમારી હીરલ સિંઘલ દ્વારા સંચાલિત એક ‘આર્ટ વર્કશોપ’ પણ યોજાયો હતો.
ટાટા પાવર દ્વારા ‘સ્કિલ કાઉન્સિલ ફોર પર્સન્સ વિથ ડિસેબિલિટી’ (ScPwD) અને ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન્સ વિથ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીઝ’ (NIEPID) ના સહયોગથી આયોજિત ડાન્સ મૂવમેન્ટ અને યોગ સત્ર આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું હતું. માર્ગદર્શન હેઠળ થતાં શારીરિક હલનચલન માનસિક રીતે અલગ (neurodiverse) વ્યક્તિઓમાં ભાવનાત્મક સુખાકારી, શારીરિક તાલમેલ અને પોતાની જાતને વ્યક્ત કરવાની ક્ષમતામાં કેવી રીતે મદદ કરી શકે છે તે આ સત્રમાં દર્શાવવામાં આવ્યું હતું. તેમાં બાળકો, સંભાળ રાખનારાઓ અને મુલાકાતીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પહેલ અંતર્ગત ભારતના આદરણીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મૂર્મુ સમક્ષ એક ખાસ પ્રદર્શન પણ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં આવી પ્રવૃત્તિઓ દિવ્યાંગોમાં આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને સમાનતા વધારવામાં કેટલી શક્તિશાળી સાબિત થઈ શકે છે તે દર્શાવવામાં આવ્યું હતું
આ પ્રસંગે બોલતાં, ટાટા પાવરના સીએચઆરઓ અને ચીફ સસ્ટેનેબિલિટી એન્ડ સીએસઆર, શ્રી હિમલ તિવારીએ જણાવ્યું હતું કે, “ટાટા પાવરમાં અમારું દૃઢપણે માનવું છે કે સમાનતાનો સાચો અર્થ એ છે કે માનસિક વિષમતા (neurodiverse) ધરાવતા સમુદાયોને શીખવાની, પોતાની જાતને વ્યક્ત કરવાની અને સમાજમાં સંપૂર્ણ રીતે ભાગ લેવાની અર્થપૂર્ણ તકો મળવી જોઈએ. ભારત સરકાર સાથેનો અમારો સહયોગ ઓટિઝમ ધરાવતી વ્યક્તિઓ અને તેમના પરિવારો માટે સહાયક પ્રણાલીઓને મજબૂત કરવાની અમારી સહિયારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ ભાગીદારીનું એક મહત્વનું પરિણામ ‘ઈ-સાન્નિધ્ય’ પ્લેટફોર્મ છે, જે વહેલી તપાસ, નિષ્ણાતોનું માર્ગદર્શન અને સંભાળ રાખનારાઓની સહાય – આ તમામ સુવિધા એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવે છે. દરેક વ્યક્તિ માટે મફતમાં ઉપલબ્ધ આ ‘ઈ-સાન્નિધ્ય’ પ્લેટફોર્મ પરિવારોને વિશ્વાસપાત્ર માહિતી અને સાધનો મેળવવામાં મદદ કરે છે, જેથી તેઓ ઓટિઝમ ધરાવતી વ્યક્તિઓ માટે યોગ્ય માર્ગદર્શન અને મેન્ટરશિપ મેળવી શકે.”
દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ (MSJE) ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ શ્રીમતી રીચા શંકરે જણાવ્યું હતું કે, “દિવ્યાંગ વ્યક્તિઓ માટે સર્વસમાવેશક વાતાવરણ ઊભું કરવા માટે સરકાર, ઉદ્યોગો અને સામાજિક સંસ્થાઓ વચ્ચે સતત સહયોગ જરૂરી છે. ટાટા પાવર જેવી સંસ્થાઓ સાથેની ભાગીદારી જાગૃતિ વધારવામાં, સહાયક પ્રણાલીઓનો વ્યાપ વિસ્તારવામાં અને માનસિક વિષમતા ધરાવતી વ્યક્તિઓ તથા તેમના પરિવારો માટે જ્ઞાનના સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ‘ઈ-સાન્નિધ્ય’ જેવી પહેલ દર્શાવે છે કે કેવી રીતે સામૂહિક પ્રયાસો માહિતીના અભાવને દૂર કરવામાં મદદ કરી શકે છે અને સંભાળ રાખનારાઓ તથા સમુદાયોને દિવ્યાંગ વ્યક્તિઓને વધુ સારી રીતે ટેકો આપવા માટે સશક્ત બનાવી શકે છે.”
નેશનલ પર્પલ ફેસ્ટમાં ટાટા પાવરની ભાગીદારી, માનસિક વિષમતા ધરાવતી વ્યક્તિઓ અને તેમના પરિવારો માટે સમાવેશક શિક્ષણ અને સહાયક પ્રણાલીઓને આગળ વધારવાની તેની સતત પ્રતિબદ્ધતા દર્શાવે છે. ‘પે ઓટેન્શન’ અને ‘ઈ-સાન્નિધ્ય’ પ્લેટફોર્મ જેવી પહેલો દ્વારા, કંપની સરકારી સંસ્થાઓ, નિષ્ણાતો અને સામાજિક સંગઠનો સાથે મળીને જ્ઞાનના સંસાધનો, સંભાળ રાખનારાઓ માટે માર્ગદર્શન અને કૌશલ્ય નિર્માણની તકોનો વિસ્તાર કરે છે. 20થી વધુ નોડલ સંસ્થાઓ અને વિષય નિષ્ણાતોના નેટવર્ક દ્વારા સમર્થિત આ પહેલો અત્યાર સુધીમાં સામૂહિક રીતે 30,000થી વધુ વ્યક્તિઓ અને પરિવારો સુધી પહોંચી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ટાટા પાવરે મુંબઈમાં ‘મહારાષ્ટ્ર ન્યુરોડાયવર્સિટી સમિટ’, ‘ઓડિશા ન્યુરોડાયવર્સિટી સમિટ’, અને ઝારખંડમાં ‘ઈસ્ટ ઝોન ન્યુરોડાયવર્સિટી એન્ડ એબિલિમ્પિક્સ મીટ’ જેવા કાર્યક્રમોનું પણ આયોજન કર્યું છે. આ સાથે જ, ‘નેશનલ એબિલિમ્પિક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા’ (NAAI) ના સહયોગથી યુવાનો માટે કૌશલ્ય આધારિત સ્પર્ધાઓ પણ યોજવામાં આવી છે, જેનો હેતુ જાગૃતિ, સહયોગ અને સહાયક સેવાઓ સુધીની પહોંચને મજબૂત બનાવવાનો છે.


