51 શક્તિપીઠોમાંનું એક ગણાતું અંબાજી ધામ આજે ભાદરવી પૂનમ મહામેળાના પ્રારંભ સાથે જાણે દિવ્ય આસ્થાનું કેન્દ્ર બની ગયું છે.

અંબાજી: અરવલ્લીના પર્વતીય વિસ્તારોમાં વસેલું યાત્રાધામ અંબાજી આજે શ્રદ્ધા અને ભક્તિના રંગોથી રંગાયું છે. 51 શક્તિપીઠોમાંનું એક ગણાતું અંબાજી ધામ આજે ભાદરવી પૂનમ મહામેળાના પ્રારંભ સાથે જાણે દિવ્ય આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. “બોલ મારી અંબે, જય જય અંબે”ના નાદ સાથે સમગ્ર યાત્રાધામ શ્રદ્ધાભક્તિના ઉલ્લાસમાં ઝૂમી ઉઠ્યું છે.સાત દિવસ સુધી ચાલનારા આ મહામેળાનો પ્રારંભ આજે થયો છે અને તે આગામી 7 સપ્ટેમ્બર સુધી યથાવત રહેશે. આ સમયગાળા દરમિયાન માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી પણ લાખો યાત્રાળુઓ પગપાળા અંબાજી પહોંચે છે. પદયાત્રાના સંકલ્પ સાથે હજારો ભક્તો પોતાના ગામથી યાત્રા શરૂ કરી મા અંબેના દર્શનાર્થે અંબાજી પહોંચ્યા છે.લાખો ભક્તોના આગમનનો અંદાજ વહીવટી તંત્રના અંદાજ પ્રમાણે, આ સાત દિવસીય મહામેળામાં 30 લાખથી વધુ યાત્રિકો અંબાજી ધામ પધારશે. ખાસ કરીને પૂનમના દિવસે અંબાજી ધામે શ્રદ્ધાળુઓની ભીડ તૂટે તેવી શક્યતા છે. યાત્રાળુઓના આગમનને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓએ સર્વગ્રાહી તૈયારીઓ કરી છે. ડિજિટલ માધ્યમ થકી પણ પદયાત્રાળુઓને સ્વાગત સંદેશા પાઠવીને તેમને સુવિધાજનક યાત્રાનો સંદેશ આપવામાં આવ્યો છે.દર્શન માટે વિશેષ વ્યવસ્થા આ વર્ષે યાત્રાળુઓને સુગમ દર્શન મળી રહે તે માટે મંદિર પરિસરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વિશેષતાઓની વાત કરીએ તો, બસ સ્ટેન્ડથી મંદિર સુધી ખાસ રેલિંગ વ્યવસ્થા ઊભી કરાઈ છે. લાઇનમાં ઊભેલા યાત્રાળુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ છે.


