સદગુરુ કૃપા હી કેવલમ.
પરિચય- ફાલ્ગુની વસાવડા.
શીર્ષક- ચિંતનની ક્ષણે.
મિત્રો- શુભ સવાર.
ગાજે બારે મેઘ બલવંતા! નરસિંહ આ રચનામાં કોને ગોવર્ધન પર્વત કહે છે?
હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. ગિર સોમનાથ બાદ હવે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગર અને એની આસપાસમાં વરસાદ પડયો! સૂરતમાં અતિભારે વરસાદ પડયો અને કમર સુધીના પાણી ભરાઈ ગયાં, અને જનજીવન ખોરવાઈ ગયું, શાળાઓમાં રજા જાહેર કરાઇ! મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થયો. આપણે ત્યાં આવાં વરસાદને બારે મેઘ ખાંગા થયા! એવું કહેવાય છે. કુદરતી હોય કે કુત્રિમ! માનવીને સંકટનાં સમયે સૌથી પહેલાં ઈશ્વર યાદ આવે છે, અને આ આજકાલનું નથી યગોયુગોથી સંકટ સમયની સાંકળ તરીકે જ ઈશ્વરને યાદ કરવામાં આવે છે. વાદળોનો ગડગડાટ સાથે વિજળીનાં ચમકારા વાળા મેઘ તાંડવનો નજારો ભલભલાને ડરાવી મૂકે. ટૂંકમાં માનવીની આવી પડેલી પરિસ્થિતિમાં ગભરાઈ જવાની પ્રકૃતિ ખરી, કારણકે ઈશ્વર પ્રત્યેનો ભરોસો થોડો ઓછો! અથવા તો કર્મની યોગ્યતા પર સંદેહ! જન્મની સાથે જ આપણને મળેલું એક શાશ્વત સત્ય કે,” જન્મ છે એનું મૃત્યુ છે”! પણ છતાંય મૃત્યુનાં એંધાણ વર્તાય એટલે ભયભીત થઈ જવું. ભગવાન શ્રીકૃષ્ણનાં સમયમાં પણ ઈન્દ્ર એ ગોકુળવાસી ઓને પરેશાન કરવા બારે મેઘ ખાંગા કર્યા હતાં, અને આ કથાથી આપણે પરિચિત છીએ કે શ્રીકૃષ્ણએ સાત દિવસ સુધી ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉપાડી, ગોકુળ વાસીઓની રક્ષા કરી હતી, અને આ ભાવને નરસિંહે પોતાની રચનામાં વર્ણવ્યો છે, તો ઋતુ અનુરૂપ એનું ચિંતન કરીશું.
નરસિંહ મહેતા
**ગાજે મેઘ બારે બલવંતા,
વચ્ચે વચ્ચે વીજ કરે ઝમકાર;
હરિએ હેલાં ગોવર્ધન ધરીઓ,
સાત દિવસ તે છત્રાકાર.(૧)
ભારે વરસાદી વાદળો ગર્જના કરે છે, અને વીજળી ચમકે છે. એવા ભયંકર સમયે શ્રીકૃષ્ણે સહેલાઈથી ગોવર્ધન પર્વત ઊંચકી લીધો અને સાત દિવસ સુધી તેને છત્રીની જેમ ધારણ કરીને સૌનું રક્ષણ કર્યું.
**કે ઇન્દ્ર આહેરાં ઉપર ખીજ્યો,
મહે છવ માટે મઘવા મન;
ગાય-ગોપ-ગોવાળાને રેલે,
વેગે વરસવા મોકલ્યા ઘન.(૨)
ઇન્દ્રને ગુસ્સો આવ્યો કે લોકોએ તેનો યજ્ઞ છોડીને, ગોવર્ધનની પૂજા કરી, તેથી તેણે પ્રચંડ વરસાદ વરસાવવા માટે વાદળોને આદેશ આપ્યો, જેથી ગાયો, ગોપો અને ગોવાળાઓને ભારે દુઃખ પડે.
**મુસલધાર વરસે જલ ઉપર,
ધરતી માટે પડે ધડઘડી;
ત્રુટી ટૂંક પડે પર્વતનાં,
વહે વૃક્ષ સમૂલાં જડી.(૩)
મુશળધાર વરસાદ વરસે છે. ધરતી ધ્રૂજી ઊઠે છે. પર્વતોના ટુકડા તૂટી પડે છે અને મોટા મોટા વૃક્ષો મૂળ સહિત વહેવા લાગે છે.
**ધજે ધરણ, કાયર નર કંપે,
દશ દિશ દીસે ઘોર અંધાર;
હરિએ હેલાં ગોવર્ધન ધરીએ,
ગોકુલ વરતે જયજયકાર. (૪)
આખી ધરતી ધ્રૂજી રહી છે, ડરપોક લોકો ભયથી કંપી રહ્યા છે અને ચારે તરફ ઘોર અંધકાર છવાઈ ગયો છે. પરંતુ શ્રીકૃષ્ણે ગોવર્ધન ઊંચકતા જ ગોકુળમાં આનંદ અને જયજયકાર થઈ જાય છે.
**પાણી પાણી દીસે પ્રથવી,
જલ જમુના થલ એક ભર્યા;
ધન રે કૃષ્ણ લીલા અવતારી,
ઇન્દ્રાદિકનાં મન રે હર્યા. (૫)
આખી પૃથ્વી પાણીથી ભરાઈ ગઈ છે. જમીન અને યમુના નદીનું પાણી એકસરખું દેખાય છે. શ્રીકૃષ્ણની આ અદ્ભુત લીલાથી ઇન્દ્ર સહિત બધા દેવતાઓ આશ્ચર્યચકિત થઈ જાય છે, અને તેમની મહિમા સ્વીકારે છે.
નરસિંહનાં આ પદમાં ભયંકર વરસાદ, ગાજવીજ અને વાવાઝોડાનું વર્ણન છે! રચના ના શબ્દો અન્ય રચના જેમ જ અત્યંત પ્રભાવકારી છે !: અને આપણને એમ લાગે છે કે એને પ્રકૃતિ પ્રત્યે પણ પ્રેમ ભરપૂર છે. જ્યારે ગોકુળ વાસીઓએ ભગવાન શ્રીકૃષ્ણ ના કહેવાથી ઈન્દ્રનાં યજ્ઞ બદલે ગોવર્ધન પર્વત ની પૂજા કરી, અને ઈન્દ્રનાં કહેવાથી પ્રચંડ મેઘ વરસે છે, ત્યારે ગોકુળનાં લોકો ભયભીત થઈ જાય છે. શ્રીકૃષ્ણ ગોવર્ધન પર્વત ઊંચકી સૌ ગોપ-ગોપીઓ, ગાયો અને સમગ્ર વ્રજને વરસાદના પ્રકોપથી બચાવે છે. પરંતુ અહીં સ્થૂળ કરતાં સુક્ષ્મ અને કારણ શરીરનો અર્થ એક ભક્તની ભક્તિ અને તેના ભરોસાને દ્રઢ કરનાર છે, એવું સૂચવે છે. આ રચના મુખ્ય સાર એ છે કે, સંકટ બહારનાં હોય કે અંદરનાં પણ ભગવાન પોતાના ભક્તોનું સદા રક્ષણ કરે છે. નરસિંહ અહીં મેઘ ને જીવનના દુઃખો, સંકટો, મોહ, ક્રોધ, લોભ અને અહંકાર સાથે સરખાવે છે, અને આ રીતનો મેઘ તો બારેમાસ પરેશાન કરે છે, અને એ પણ આપણી જ નબળાઈને કારણે! આ રચનામાં તો બારે મેઘ ખાંગા થવા માટે ઈન્દ્રનો અહમ મુખ્ય છે, પણ સુક્ષ્મ ચિંતન કરીએ તો આપણાં જીવનમાં તો આપણા અહમને કારણે જ દુઃખોનો વરસાદ છે. ગોકુળ શબ્દને આપણા મન અને જીવનનું પ્રતીક બનાવી પ્રયોજ્યો છે. ગોકુળનાં વર્ણન બતાવે છે કે, એ હરિયાળુ છે, અને જીવન જરૂરિયાતના લગભગ બધાં સુખ ત્યાં દેખાય છે, કારણ કે ત્યાં ઈશ્વરની હાજરી છે. નરસિંહ સૂચવે છે કે આપણે સુખમાં જો ઈશ્વરને સાક્ષી રાખીએ તો જ આપણું જીવન ગોકુળ જેવુ હરિયાળું બને. ગોવર્ધન પર્વત એટલે ધર્મનું યોગ્ય અનુસરણ કરવાથી ઈશ્વરીય કૃપાથી પ્રાપ્ત થતાં આધ્યાત્મિક આશ્રયનું પ્રતીક છે. શ્રીકૃષ્ણ પરમાત્મા અથવા સદ્ગુરુનું સ્વરૂપ છે, અને
ગોપ ગોપીઓ ભક્તો અથવા સામાન્ય જીવોનું પ્રતીક છે. આ રચના દ્વારા નરસિંહ એવું કહે છે કે, જ્યારે જીવનમાં દુઃખો અને સંકટોનો વરસાદ વરસે, ત્યારે પરમાત્માનો આશ્રય લેનાર વ્યક્તિ આંતરિક શાંતિ અને રક્ષણ અનુભવે છે. ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણ માણસને જીવનનાં તોફાનોમાંથી પાર ઉતારે છે.
અહીં સાત દિવસનો ઉલ્લેખ છે, સમય અવધિ એ સાધક જ્યારે પૂર્ણ શરણાગત થાય ત્યારે જ એનાં હ્રદયાકાશમાં બારે મેઘ ખાંગા થાય છે, અને બ્રહ્મ જ્ઞાન રુપી વીજ એટલે કે પ્રકાશનો ઝબકારો થાય છે. કુંડલિની જાગરણનાં અંતિમ ચક્ર સહસ્ત્રાર પર જ્યારે શક્તિપાત થાય ત્યારે સાધકની આતંરિક ઉર્જા પર પરમ તત્વની ઉર્જા આમ બારે મેઘ જેમ વરસે છે, અને ચિત્તમાં વીજળી જેવી દિવ્ય અનુભૂતિ ઝીલાય છે. ઈન્દ્ર એટલે હું કરું નો અહંકાર જ આપણને શ્રીકૃષ્ણથી એટલે કે પરમ તત્વથી દૂર રાખે છે, ઈશ્વર શરણ જ તમામ ભયને દૂર કરનારું છે. ગોપ ગોવાળની રક્ષા માટે શ્રીકૃષ્ણ ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉપાડે છે, એટલે કે ભક્તોનાં દુઃખ દૂર કરવા માટે માત્ર ઈશ્વરની ટચલી આંગળી કાફી છે! પણ ભરોસો દ્રઢ હોવો જોઈએ. ઈશ્વરની કૃપા રુપે બારે મેઘ ખાંગા થાય ત્યારે “વહે વૃક્ષ સમૂલા જડી”, ત્યારે આપણી સુખ વિષેની લીલીછમ માન્યતાઓ સમૂગળી નાશ પામે છે. સંકટ સમયના સાધકની મનોસ્થિતિ વર્ણવતાં કહે છે કે, મૃત્યુના ભયથી કાંપે છે, પણ ઈશ્વર જયારે પોતાની નિશ્રામાં લઈલે ત્યારે ભય નાશ પામે છે, અને જીવન ગોકુળ જેવુ હર્યું ભર્યું થઈ જાય છે. અંતિમ કડીમાં કહે છે કે “પાણી પાણી દિસે પ્રથવી” પ્રભુ પ્રત્યેના અહોભાવથી કે ભક્તિ ભાવને કારણે પ્રથવી એટલે કે પોતાનું અસ્તિત્વ પાણી પાણી થઈ ગયું છે, અતૃપ્તિનો ભાવ દૂર થાય, અને ઈન્દ્ર રુપી અહંકાર પણ હવે શાંત થતાં, કૃષ્ણની લીલા નું વર્ણન સાંભળીને ભાવ વિશ્વમાં હવે આનંદ આનંદ છવાઈ ગયો છે. આપણાં સૌના ભાવ વિશ્વમાં પણ ઈશ્વર કૃપા રુપે બારે મેઘ ખાંગા થાય અને એવી શ્રીકૃષ્ણની લીલાની અનુભૂતિ આપણે સૌ કરી શકીએ એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
