સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.
પરિચય ફાલ્ગુની વસાવડા.
શીર્ષક- શ્રાવણી સત્સંગ.
પ્રત્યેક લિંગમાં બ્રહ્મા, વિષ્ણુ,અને મહેશ ત્રણેયનો નિવાસ છે,અને એ પરબ્રહ્નનું ત્રિમૂર્તિ સ્વરૂપ છે.
હે દેવોના દેવ મહાદેવ.
સૌનાં હ્રદયમાં કરુણા રુપે રહેલાં આપનાં સૌમિત્રી સ્વરૂપને સાષ્ટાંગ પ્રેમ.આપણે આ શ્રાવણે શિવ તત્વને વિધવિધ પાસાને આવરીને શિવનું એક શુદ્ધ સ્વરૂપ એટલે કલ્યાણ, એ રીતે એને આત્મસાત કરીશું. તત્વતઃ શિવ તત્વને સમજવું થોડું સરળ બનાવવા માટે, એને ત્રિપરિમાણ અથવા ત્રિસ્તરીય રીતે સમજીએ. આકાશ, પૃથ્વી, અને જળ અથવા પાતાળ એમ બાહ્ય રીતે સૃષ્ટિના ત્રણેય લોકમાં જે સર્વ રુપે વ્યાપ્ત છે, અથવા સર્વ માટે વ્યાપક બન્યાં એ શિવશંકર. સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એમ જોઈએ તો સત્ય પ્રેમ અને કરુણા રૂપે જે દરેકની ભીતરી ધરાને ભીંજવીને પ્રફુલ્લિત રાખે છે એ શિવશંકર. શિવ આદિ અનાદી છે, એ તથ્યને શિવ પુરાણ સિદ્ધ કરે છે.
શિવ પુરાણની એક પૌરાણિક કથા અનુસાર ભગવાન શંકર માગશર માસનાં આર્દ્રા નક્ષત્રમાં બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લીંગ સ્વરૂપે પ્રગટ થયાં હતાં, અને પોતાનાં સુક્ષ્મ લીંગ સ્વરૂપે પણ પોતે અનંત છે, એ સત્ય સમજાવ્યું હતું, અને ત્યારે બ્રહ્મા અને વિષ્ણુ એ સૌ પ્રથમ વખત ભગવાન શંકરની લિંગ સ્વરૂપે પૂજા કરી હતી.
શિવપુરાણ અને લિંગ પુરાણની પૌરાણિક કથા અનુસાર એકવાર ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્મા એ બે માંથી કોણ મહાન? એ બાબત ચર્ચા થઈ, અને બ્રહ્મા એ કહ્યું કે પોતે સચરાચર જીવ સૃષ્ટિની રચના કરી, અને એટલે પોતે મહાન છે! જ્યારે ભગવાન વિષ્ણુ એ કહ્યું કે મેં એ જીવ સૃષ્ટિનું ભરણ પોષણ કે લાલન પાલન કર્યું માટે હું મહાન! અને બંને પોતાના મત પર અડગ હતાં ત્યાં એમની સામે ભગવાન શંકર એક નાનકડા બિંદુ સ્વરૂપે પ્રગટ થયા, અને એને સ્પર્શ કરતા જ એ મોટું થવા લાગ્યું. બીજી વાત એમ છે કે એક ધગધગતા સ્તંભ રૂપે એ બંને વચ્ચે આવી ગયા, અને સ્તંભ વધવા લાગ્યો. ભગવાન વિષ્ણુ કે ભગવાન બ્રહ્મા જાણતા નહોતા કે શું છે? અને કંઈ શક્તિ ને કારણે વૃદ્ધિ પામે છે? એટલે બ્રહ્મા ઉપરની તરફ ગયા અને ભગવાન વિષ્ણુ નીચેની તરફ ગયાં પણ આદિ અનંતનો છેડો કેમ મળે! બ્રહ્મા એ ઉપર એક કેતકીનું ફૂલ જોયું એણે ફૂલને કહ્યું કે તું હું પહેલા પહોંચ્યો એમ રજૂઆત કરજે! ભગવાન શિવ પાસે બંને આવ્યાં, કેતકી ના ફૂલ એ કથિત સત્ય કહ્યું. ભગવાન શિવ બ્રહ્માના અસત્યને જાણી ગયાં, એમણે એનાં એક શિરનો વિચ્છેદ કર્યો એટલે બ્રહ્મા ચતુર્મુખ છે. બંનેને પોતાની ભૂલ અને ભગવાન શિવ શંકરની મહત્તા સમજાઈ ગઈ! ત્યારે એ જયોતિર્લિગમાંથી સદાશિવ પ્રગટયા. બ્રહ્ના-વિષ્ણુનો ગર્વ દૂર થયો. બ્રહ્નતત્વ શિવ તો આદિ-અંત-રહિત અનંત છે, અગમ્ય છે. યુગો યુગોથી દેવો પણ એનું રહસ્ય પામી શકતા નથી. કારણકે સૃષ્ટિને સંતુલનમાં રાખવા માટે સર્જન કે ભરણપોષણ કરતાં પણ મહત્વનું સંહાર કે વિસર્જન છે!
યોગ્ય સમયે સંહારની ક્રિયા થાય નહીં તો સૃષ્ટિનું સંતુલન ખોરવાય જાય.પહેલાંનાં પ્રમાણમાં કુદરતી કે કૃત્રિમ દુર્ઘટના વધવાનું એક કારણ આ પણ છે! કે મનુષ્ય એ રોગની દવાઓ શોધી અને આયુષ્ય વધાર્યું અને કાળ મૃત્યુની અવધિ લંબાઈ! પણ સામે જન્મનું બેલેન્સ નથી થતું એટલે વારંવારના ધરતી કંપ, વાવાઝોડું, સુનામી, બસ ખાઈમાં પડી જવી, ટ્રેન પાટા પરથી ઉથલી જવી, પ્લેન ક્રેશ થવું, કે મોટી આગ લાગવી,પૂર આવવું આ બધું. કોઈનું મૃત્યુ થાય નહીં, બધાં જ જીવે તો કેટલું અસંતુલન થાય, માટે, દરેક જીવની પોતાની નિયતી અનુસાર વિસર્જન ક્રિયાને આવરી લેવામાં આવી છે, અને એટલે જ મૃત્યુથી બચવા ભગવાન શંકરની આરાધના વધુ થાય છે.
ભગવાન શિવ શંકર તો તત્વતઃ મૂળ સ્વરૂપે નિરંજન નિરાકાર પરબ્રહ્મ છે. ‘શિવલિંગ’ એ નિરાકાર પરમાત્માની એક અનન્ય ઓળખની નિશાની છે. આપણાં ઉપનિષદોમાં સૃષ્ટિનાં સર્જક પરબ્રહ્નને ‘પૂર્ણ’ કે ‘શૂન્ય’ સ્વરૂપ કહ્યા છે ઓમ પૂર્ણમદ: પૂર્ણમિદમ્… ગોળાકાર-પૂણૉકાર સૂક્ષ્મ પરમાત્મામાંથી સૃષ્ટિનું સર્જન થાય છે. આ પૂર્ણ કે શૂન્યનો સૂક્ષ્મ આકાર એટલે ‘લિંગ’. લિંગ એટલે એક નાનકડું બિંદુ. જો બિંદુ વિસ્તરે તો બિંદુમાંથી, રેખા, રેખા વિસ્તરે, અને વર્તુળ થાય અથવા શૂન્ય થાય, પછી એને કોઈ પણ અંકની આગળ મૂક્યા કરીએ, તો આંકડો વધ્યા કરે, તેમ લિંગાકાર બિંદુસ્વરૂપનું કે શિવલિંગ સ્વરૂપનું સુક્ષ્મ ચિંતન કરીએ તો આ જ રીતે પરબ્રહ્નમાંથી સૃષ્ટિના, કે બ્રહ્નાંડના તાણાવાણા રચાય છે, એ સત્ય સમજાય છે. શૂન્ય કે રિક્ત અથવા શૂન્યાવકાશમાં શિવલિંગ સ્વરૂપ શિવ, અને તેમની દેવીશક્તિના સંયોગથી સૃષ્ટિ સર્જાય છે. ‘કંકરમાં શંકર’ એટલે ભગવાન શંકરનું શિવલીંગ! કે જેનાં દર્શન માત્રથી જીવન ધન્ય થઈ જાય છે. સનાતન ધર્મની આ જ લાક્ષણિકતા છે કે, પ્રકૃતિ જન્ય પદાર્થનાં સંવર્ધન માટે એમાં ઈશ્વરનાં નિવાસની પ્રણાલી ઉભી કરે. પણ મનુષ્ય પોતાનાં સંરક્ષણ અને સંવર્ધનમાં પ્રકૃતિનું સંવર્ધન ભૂલી ગયો અને એટલે જ વિસર્જન માટે કુદરતી કે કૃત્રિમ આપત્તિ રૂપે ધીમો પ્રલય થાય છે.
આપણે ૐ કારના લેખમાં જોયું એમ શિવલિંગ ઓમકાર સ્વરૂપ મનાય છે. ૐ ને પ્રણવ મંત્ર કહેવામાં આવે છે, એમાં ‘અ’, ‘ઉ’ અને ‘મ’ એ ત્રણ અક્ષરોનું સંયોજન થયું છે. ‘અ’ એટલે બ્રહ્મા, ‘ઉ’ એટલે વિષ્ણુ અને ‘મ’ એટલે શિવ. મકાર શિવ એ બીજ છે, અને તે બીજ લિંગરૂપે સૃષ્ટિના સર્જનનું મૂળ તત્વ છે. શિવપુરાણની વિધ્યેશ્વર સંહિતામાં શિવલિંગનો મહિમા બતાવ્યો છે. લિંગસ્વરૂપ સ્તંભ આદિ અને અંત વિનાનો છે. તે તો અણુથી પણ સૂક્ષ્મ અને મહાનથી યે મહાન, વિરાટ છે. શિવલિંગ તો ભક્તિ અને મુક્તિનું સાધન છે. શિવપુરાણ પ્રમાણે શિવલિંગ ચૈતન્યસ્વરૂપ છે. લિંગની પીઠ પાર્વતીસ્વરૂપ છે. શિવ હંમેશ પાર્વતીને પોતાની ગોદમાં ધારણ કરે છે. લિંગ અને પીિઠકા તો શિવ-શક્તિનું સંયોજન છે, સૃષ્ટિ-સર્જનનું પ્રતીક છે. ભગવાન શિવ પાર્વતીને એટલે જ દામ્પત્ય જીવનનાં આદર્શ માનવામાં આવે છે, તેમજ તે સંન્યાસની ઉચ્ચત્તમ કક્ષાએ હોવા છતાં સંસારી કહેવાયા છે! સંસારમાં રહીને જ શિવ પાર્વતીએ પ્રસન્ન દામ્પત્યનો દાખલો બેસાડ્યો છે.
આમ ભગવાન આશુતોષ પથ્થરમાં વસીને પોતાનો વિશ્વાસ ભક્તનાં મનમાં દૃઢ કરે. શિવલિંગ એ હિન્દુઓમાં સૌથી વધુ પૂજાતું સ્વરૂપ છે, કારણ કે ભગવાન શંકરની પૂજા સાવ સીધી સાદી છે. અન્ય દેવી દેવતાઓના કર્મકાંડો ભરેલા યજ્ઞ, દરેક વ્યક્તિ કરી શકે નહીં. શુદ્ધ પાણી અને એક ટબુડી દૂધ, બે ત્રણ બીલીપત્ર હોય એટલે શંકર રાજી રાજી! ન કોઈ ભોગની ઉપેક્ષા,ન કોઈ અન્ય સાધન, માત્ર ને માત્ર ભાવનાનો ભૂખ્યો, એવો ભોળો ભંડારી સદીઓથી ભક્તની ભીડ ભાંગે છે.
ભગવાન ભોળાનાથ તો સૌના કલ્યાણ માટે પ્રત્યેક તીર્થમાં લિંગ રૂપે નિવાસ કરે છે. શિવપુરાણમાં શિવલિંગના અનેક પ્રકારો ગણાવ્યાં છે, જેની વાત પછી કરીશું. પ્રત્યેક લિંગનાં મૂળમાં બ્રહ્ના, મધ્યમાં વિષ્ણુ અને પરબ્રહ્નરૂપ સદાશિવ લિંગના ઉપરના ભાગમાં રહે છે. લિંગ એ પરબ્રહ્નનું ત્રિમૂર્તિ સ્વરૂપ પણ મનાય છે. બ્રહ્ના, વિષ્ણુ અને રુદ્રમયી એવી ત્રિગુણાત્મક શક્તિ ધરાવતી મા જગતજનની જગદંબા અંબિકા મહાદેવી એ લિંગની વેદિ છે.”તત્પ્રણમામિ સદાશિવ મંગલમ્” મનુષ્યોનાં જન્મથી ઉત્પન્ન થયેલાં દુ:ખોનો નાશ કરનાર સદાશિવ લિંગને આપણે વારંવાર પ્રમાણ કરીએ, કારણ કે ભગવાન શંકરનુ સાકાર કે નિરાકાર સ્વરૂપની ઝાંખી કરાવતું શિવલિંગ સ્વરૂપ સંસારીની શક્તિ ભક્તિ કે મુક્તિ માટેની અમૂલ્ય મૂડી છે, અથવા ભેટ છે. ૐ નમઃ શિવાય.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
