
તહેવારોની બરાબરની રંગત જામી છે, અને છેલ્લે છેલ્લે બોણી બોનસ મળતા બજાર પણ ઉભરાવા લાગી છે. સામાન્ય રીતે દીવાળી ના તહેવારો ચડતા ક્રમમાં છે, એટલે ધન તેરસ એ ધન પ્રાપ્તિની પૂજા સંપન્ન કરી, હવે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આ રાત્રી બહુ મહત્વની છે. દીવાળી સિવાય પણ આજકાલ માનવી ધન ધાન્ય સમૃદ્ધિ પામવાં કેટલાંય હત્કંડા કરતો હોય છે,પણ સૌથી વધુ ખતરનાક આ સિદ્ધિનાં ખેલ છે જે માનવીને માનવતા વીહિન બનાવે છે. આમ તો કાળી ચૌદસ નામ પડે, એટલે સૌને તંત્ર સાધના યાદ આવે અને આધુનિક વિજ્ઞાનનાં યુગમાં પણ અંધશ્રદ્ધા અને મેલી વિદ્યાનાં પ્રયોગો પણ એટલા જ જોરશોરથી થતાં દેખાય છે, એ જોઈને આશ્ચર્ય પણ થાય. લોકો પોતાનું મન વાંછિત ફળ મેળવવા માટે મંત્રનો પ્રયોગ કરે, એ તો હજી સમજાય. પરંતુ તંત્ર વિદ્યાથી કોઈને હેરાન કરીને સિદ્ધિ મેળવી, એ થોડું અજીબ લાગે, પણ મૂળ પરંપરાનું મહાત્મ્ય શું છે? એ જોઈએ. કાળનો કાળો કકળાટ આપણે કાઢીશું, એટલે કે તન મન ધન બધું જ પવિત્ર કરવાની એક નિખાલસ કોશિશ કરી આ તહેવાર ઉજવીશું, અને જે કોઈ સાધના કરીએ એ વિશ્વ શાંતિ અર્થે અર્પણ કરીશું.
કાળી ચૌદશ એટલે દિવાળીની આગલી રાત. ધન તેરસ પછીનાં દિવસને કાળી ચૌદશ તરિકે ઉજવવામાં આવે છે. આજનાં દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે, અને ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે, એમ માનવામાં આવે છે કે જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે. સાંજે ગૃહિણીઓ કાણા વાળા વડા અને પુરી, ઘર નજીકનાં ચાર રસ્તે મુકીને ઉતાર કાઢે છે. માનવી પણ અજબ ગજબની પ્રકૃતિ ધરાવે છે, કકળાટ કાઢવો એમ કહીને પોતે જ કબૂલ કરે છે કે અમારા ઘરમાં કકળાટ છે, અને કાઢવાથી કોઈ દિવસ કકળાટ નીકળતો હોય તો, કોઈના ઘરમાં પછીથી કકળાટ થાય જ નહીં. છતાં આ પરંપરા આજ સુધી અમુક ઘરોમાં જોવા મળે છે, અને આશ્ચર્યની વાત તો ત્યાં છે, કે અમુક અમુક ઘરમાં આજની પેઢી પણ આવું બધું માને છે. આ ઉપરાંત હનુમાન મંદિરે હનુમાનજીને તેલ ચઢાવીને તેલનાં દીવાની મેંશ પાડવામાં આવે છે, જે આંખોમાં આંજવાથી આંખો સારી રહે તેમ ઘરડાઓનું માનવું હતું, પરંતુ હાલમાં થયેલાં તબીબી સંશોધનો પરથી, ડોક્ટરો આવી મેંશ આંખમાં આંજવાનો વિરોધ કરે છે, અને ખાસ કરીને બાળકોને મેંશ ન આંજવી તેવી સલાહ આપે છે.
કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે,તો ઘણા લોકો કાળી ચૌદશને રૂપચૌદશ પણ કહે છે, અને સૂર્યોદય પહેલા સ્નાન કરી લે, તેમનું રૂપ યથાવત રહે છે, જ્યારે અન્યનું રુપ કાગડો તાણી જાય, એવી પણ અમારા નાનપણમાં કહેવત હતી. મૂળ તો તહેવાર નિમિત્તે બાળકો તથા યુવાનો પણ ઘરમાં વહેલાં ઊઠી જાય, એ હિસાબે કદાચ આવી પ્રથા પડી હશે. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામનાં અસુરનો વધ કરીને પ્રજાજનોને તેનાં ત્રાસમાંથી ઉગાર્યા હતાં, જેથી કરીને તેનું નામ નરક ચતુર્દશી પડેલું છે. કાળી ચૌદશએ મેલી વિદ્યાનાં સાધકોનો ત્રિય દિવસ છે, અને તેઓ એમ માને છે કે આજનાં દિવસે સ્મશાનમાં સાધના કરવાથી તેમની બધી વિધિઓ પૂર્ણ થાય છે, અને મૂલ્યવાન સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
હિન્દુ સંસ્કૃતિમાં કાલરાત્રિ, મહારાત્રિ, અને મોહ રાત્રિ, એમ ત્રણ રાત્રીનું વિશિષ્ટ મહત્વ દર્શાવાયું છે. કાલ રાત્રી એટલે કે કાળીચૌદસની રાત્રિને મહાકાલીની સાધનાના દિવસ તરીકે કાલરાત્રિ તરીકે મનાવવામાં આવે છે, અને આ દિવસે માત્ર તાંત્રિક નહીં, પરંતુ મંત્ર વિદ્યાનો સાત્વિક પ્રયોગ પણ એટલો જ અસરકારક છે. બીજી મહારાત્રિ, મહારાત્રિ એટલે મહાશિવરાત્રીનો દિવસ ,અને એ દિવસે પણ ભગવાન શંકર અને હનુમાનની આરાધના કરવામાં આવે છે, તેમજ હનુમાન ચાલીસાના પાઠનું અનુષ્ઠાન પણ રાત્રી દરમિયાન કરવામાં આવે છે. મોહ રાત્રિ એટલે જન્માષ્ટમીની રાત્રી, ભગવાન શ્રીકૃષ્ણ પરમ અવતાર તરીકે અવતર્યા હોવાથી એમણે દ્વાપર યુગના મોહ નામના શસ્ત્રથી સૌને મોહિત કર્યા હતાં, તેમનું રૂપ સૌને મોહિત કરનારું હતું, અને તેમની એક એક અદા ઉપર વૈષ્ણવો આજે પણ કુરબાન છે.
મૂળમાં હિન્દુ સંસ્કૃતિમાં બે પ્રકારની સાધના કરીને, ઈશ્વરત્વને પ્રાપ્ત કરવામાં આવે છે, અથવા તો જાણવામાં આવે છે. મંત્ર સાધના અને બીજી તંત્ર સાધના. આમાં તંત્ર નામની સાધનાનો પ્રયોગ આજની આ કાળી ચૌદશની રાત્રે તાંત્રિકો કરતા હોય છે.ઉપરાંત હનુમાનજીની સાધના માટે પણ કાળી ચૌદસને વિશેષ દિવસ તરીકે ગણાય છે. કાળીચૌદસે હનુમાનજીના મંત્ર પ્રયોગો કરવાથી બધા શત્રુઓ નાશ પામે છે. કાળીચૌદસની રાત્રીને સિદ્વરાત્રી પણ ગણવામાં આવે છે. વર્ષના ત્રણ મહાન પર્વોમાં કાળીચૌદસનું પણ વિશેષ મહત્વ છે. જેને શનિગ્રહ,કે શનિની પનોતી હોય, કે શનિ નડતો હોય, તેઓ પણ કાળી ચૌદસે તેના નિવારણ હેતુ દાન પુણ્ય કરીને કે શનિમંત્રજાપ કરીને પણ પીડાનું નિવારણ કરી શકે છે. કાળી ચૌદસે મહાકાળી, દશ મહા વિદ્યા, હનુમાનજી, શનિદેવ, કાળભૈરવ, બટુક ભૈરવ, ઘંટાકર્ણ મહાવીર તથા અન્ય ઉગ્રદેવતાઓની સાધના ઉપાસના કરવાનો અનેરો મહિમા ધરાવે છે. કાળી ચૌદસના પર્વે મંત્ર અને તંત્ર અનુષ્ઠાન દ્વારા પણ દેવી દેવતાઓને રીઝવવા સાધના કરાય છે.કાળી ચૌદસની સાધનાનું ફળ સહસ્ત્ર ગણુ હોય છે. મહાકાળીની પૂજામાં “ક્લીં” બીજ મંત્રનો ઉપયોગ કરી મંત્રજાપ કરતા આદિવ્યાધિ ઉપાધી તથા શત્રુબાધા ટળે છે. જ્યોતિષાચાર્ય જણાવ્યાનુસાર, શાસ્ત્રોમાં તંત્ર-મંત્ર અને યંત્ર ઉપયોગથી સ્વકલ્યાણ કે લોકકલ્યાણનાં શુભ ઉપાયો પણ દર્શાવાયા છે. જે ઉપાયો અનુસાર કાળીચૌદસે સાધના કે આરાધના કરતા તેના ફળસ્વરૂપે સંકટ સામે રક્ષણ મળે છે.આ બધી વાત કોઈ વિશેષ સિદ્ધિ જોઈતી હોય તેની માટેની છે, આપણે તો સીધુ સાદુ નામ સ્મરણ જ પર્યાપ્ત છે, જે ભવભવના જન્મ મુક્તિના બંધનમાંથી જીવને છોડાવે છે, અને આ જન્મને સફળ બનાવે છે. સિદ્ધિ પ્રસિદ્ધિથી જીવન ક્યારેય પ્રસન્ન થતું નથી, એ વાત હંમેશા યાદ રાખવી. સત્ય પ્રેમ અને કરુણા સામાન્ય માં સામાન્ય માણસ પણ સ્મરણથી પ્રાપ્ત કરી શકે છે, અને એ જ તો જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ છે. આમ પણ આ અંધારાંમાં રહી ભીતરના અંધારને ઓગાળવાનો તહેવાર છે. એટલે કે તમસ રૂપે જે અંધકાર માનસમાં છવાયો છે, એને કાલરાત્રીએ ઓગાળીને સાત્વિકતાનાં અજવાળા કરવાનાં છે. રામરાજ્ય અભિષેકના આગલા દિવસે તમામ પ્રકારના સંશય તેમજ મલિનતા દૂર કરીને સ્વચ્છ મનથી રામરાજ્યની માનસિકતાને સ્વીકારીને અંદરો અંદર સમાધાન સ્થાપવાનો આ સુવર્ણ અવસર છે. આપ સૌના જીવનમાં આ દિવાળીનાં દરેક તહેવારે મન વાંછિત ફળ પ્રાપ્ત થાય,અને અન્ય મેલી મુરાદ કે ઘાત હોય એ સઘળું ટળે,અને સૌ કોઈ ખુશખુશાલ જીંદગી જીવી શકે, એ જ તહેવારનું મહાત્મ્ય છે. જય શ્રી રામ.
લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)


