
ગૂજરાત વિદ્યાપીઠ ખાતે યોજાઈ રહેલા બે દિવસીય સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવના પ્રથમ દિવસે ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ તથા ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા પણ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા રાજ્યપાલશ્રીએ ગૂજરાત વિદ્યાપીઠની વિવિધ વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ નિહાળી હતી. વિવિધ વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓ દ્વારા આસામી નૃત્ય, શાસ્ત્રીય નૃત્ય, મૂક અભિનય, દેશભક્તિ ગીત, આદિજાતિ નૃત્ય, રાસ ગરબા સહિતની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૨૫માં સ્થપાયેલ સ્નાતક સંઘને ૬ ડિસેમ્બરના રોજ ૧૦૦ વર્ષ પૂર્ણ થાય છે. જેના ઉપલક્ષ્યમાં ગત વર્ષ ૬ ડિસેમ્બર,૨૦૨૪થી અત્યાર સુધી ૧૫ સ્નાતક સંમેલન યોજવામાં આવ્યા છે. બે દિવસીય સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવમાં પધારવા માટે ૭ વિદ્યાશાખાના ૧૮ વિભાગોના ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને નિમંત્રણ આપવામાં આવ્યું છે. મહોત્સવમાં ૮ સત્રોમાં વિવિધ પ્રસ્તુતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસીય સ્નાતક સંમેલન અંતર્ગત વિવિધ વિદ્યાશાખાના સ્નાતકોને સન્માનિત કરવામાં આવનાર છે. વિવિધ સત્રોમાં સ્નાતકો અને પૂર્વ વિદ્યાર્થીઓ ગૂજરાત વિદ્યાપીઠ સાથેના પોતાના સંસ્મરણો વાગોળશે.


