
અમદાવાદના મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશે તા. 25.02.2026ના રોજ વડનગર રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન તેમણે રિલે રૂમ, રૂટ રિલે ઇન્ટરલોકિંગ (RRI), માસ્ટર કેબિન, બુકિંગ કાઉન્ટર, ફૂટ ઓવર બ્રિજ, પ્લેટફોર્મ અને કેફેટેરિયા સહિત વિવિધ મુસાફર સુવિધાઓનું અવલોકન કર્યું હતું તેમજ સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું, જેથી સ્ટેશન પર મુસાફર સુવિધાઓને વધુ સુધારી શકાય.
નિરીક્ષણ દરમિયાન મંડળ રેલ પ્રબંધકે જણાવ્યું કે વડનગર સ્ટેશન પર રેલ કોચોમાં પાણી ભરવા માટે કોચ વોટરિંગ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સુવિધા શરૂ થયા બાદ ટ્રેનોમાં વડનગર સ્ટેશન પરથી જ પાણી ભરવામાં આવી શકશે, જેના કારણે મુસાફરોને મુસાફરી દરમિયાન પૂરતું પાણી ઉપલબ્ધ થઈ શકશે. આ ઉપરાંત, તેમણે સ્ટેશન પર જનપ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી અને સ્ટેશન નજીક આવેલી રેલવે ક્રોસિંગને પહોળું કરવાની તેમની માંગ પર સકારાત્મક વિચારણા કરવાનો આશ્વાસન આપ્યું.
આ અવસરે મહેસાણા–વરેઠા વિભાગના વરેઠા રેલવે સ્ટેશન પર અંબાજી નવી લાઇન પ્રોજેક્ટ હેઠળ મહત્વપૂર્ણ માળખાગત કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયાની માહિતી આપવામાં આવી. આ કાર્ય આબુરોડ–તારંગા હિલ નવી લાઇન રેલખંડની ભવિષ્યની કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. વરેઠા સ્ટેશન પર મુખ્ય લાઇન પર આવેલો જૂનો ડેડ એન્ડ ટ્રેક દૂર કરીને તેને નવી એલાઇનમેન્ટ પર સ્થાનાંતરિત કરવામાં આવ્યો અને નવી બિછાવવામાં આવેલી લાઇન સાથે જોડવામાં આવ્યો. સુધારેલા યાર્ડ લેઆઉટ મુજબ નવી ડેડ એન્ડ લાઇનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેના કારણે ભવિષ્યમાં તારંગા હિલ દિશામાં મુખ્ય લાઇનના વિસ્તરણનો માર્ગ સુગમ બનશે.
આ સમગ્ર કાર્ય બે દિવસના બ્લોક દરમિયાન સુરક્ષિત અને આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રેલ કટિંગ, ડેડ એન્ડ ટ્રેક દૂર કરવું અને શિફ્ટિંગ, નવી લાઇન સાથે લિંકિંગ, ગ્લૂડ જૉઇન્ટનું નિર્માણ, વેલ્ડિંગ, બેલાસ્ટિંગ, પેકિંગ, ક્રોસઓવરનું મશીન ટેમ્પિંગ તેમજ અન્ય જરૂરી ટ્રેક સમાયોજનના કાર્યો કરવામાં આવ્યા. વિદ્યુત (TRD) વિભાગ દ્વારા OHE વાયરિંગ દૂર કરવું અને પુનઃ વાયરિંગ, ATD શિફ્ટિંગ/કટિંગ, બોન્ડિંગ કાર્ય તેમજ ટાવર વેગન દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટર્નઆઉટ વિસ્તાર ક્લિયર થયા બાદ સિગ્નલ અને દૂર સંચાર (S&T) વિભાગ દ્વારા પોઇન્ટ ટેસ્ટિંગ, પુનઃ જોડાણ અને કમિશનિંગનું કાર્ય પ્રગતિ પર છે.
આ પ્રોજેક્ટ થી ભવિષ્યમાં આબુરોડ–તારંગા હિલ રેલખંડની મજબૂત કનેક્ટિવિટી સુનિશ્ચિત થશે, જેના કારણે મુસાફરોને સુરક્ષિત, સુગમ અને વધુ સુવિધાજનક મુસાફરી ઉપલબ્ધ થશે. સાથે જ અંબાજી અને તારંગા હિલ વિસ્તારના પર્યટનને પ્રોત્સાહન મળશે તથા સ્થાનિક વેપાર અને રોજગારના અવસરોમાં વધારો થશે. સુધારેલી યાર્ડ રચના અને તકનીકી સુધારાઓના કારણે ટ્રેનોના સંચાલનમાં સુગમતા આવશે તેમજ સમયપાલનમાં પણ સુધારો થશે.


