
હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. જ્ઞેયઃ સ નિત્યસંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાઙ્ક્ષતિ, નિર્દ્વન્ર્દ્વો હિ મહાબાહો સુખં બન્ધાત્પ્રમુચ્યતે. ઝૂંપડામાં રહેતો સામાન્ય માણસ હોય એને કંઈ બહુ લાંબું વિચારવાનું ન્હોય, જેમ કે એની પાસે બે કે ત્રણ જોડ વસ્ત્ર છે, તો રોજ સવારે શું પહેરવું? એ વિચારવાનું ન્હોય. બદલીને જે ધોયેલાં હોય એ વસ્ત્ર પહેરી લેવાનાં, થાળીમાં રોટલો અને શાક આવે તો એ જમી લેવાનું, આ ખાવું કે તે ખાવું? એવી દ્વિધા એને નથી, આ ઉપરાંત પરિવારનાં ભરણપોષણ માટે જે કંઈ કામ મળે એ કરી લેવું, એમાં પણ એ વિકલ્પ શોધી શકે નહીં! કે ના હો આ કામ હું નહીં કરું! એ જ રીતે આપણાં જીવન જોઈએ તો જરૂરિયાતો વધારીને આપણે સમસ્યાઓ ખડકી છે, એવું ચોખ્ખું દેખાય. જરૂરિયાતના નામે કે ફેશન એસેસરી નાં નામે કબાટોનાં કબાટો ભર્યા હોય, એટલે શું પહેરવું? ખાવામાં પણ વિવિધ વ્યંજન હોય એટલે શું ખાવું? એવા પ્રશ્નો આપણને સતાવે. છતાં એ બધું તો ઠીક છે! ચાલો ભોગી જીવ છીએ, એટલે એને આપણે છોડી શકવાનાં પણ નથી, અને નજર અંદાજ પણ કરી શકવાનાં નથી. તો પછી આપણે ભગવાન કૃષ્ણની વાતો કઈ રીતે માની શકીએ? કે ભગવત ગીતાનો બોધ કઈ રીતે ગ્રહણ કરી શકીએ? એ પણ એક પ્રશ્નાર્થ છે! ઉપરથી ઘડીકમાં ભગવાન કર્તવ્ય કર્મ એ જ તારો ધર્મ છે, એમ કહે છે. તો ઘડીકમાં કર્મયોગ શ્રેષ્ઠ, અકર્તા બનીને કર્મ કરવું એ જ ધર્મ અને જ્ઞાન. સંન્યાસ યોગ તેમજ કર્મ સંન્યાસ યોગની વાતો પણ કરે છે. આવી જાણકારી ને નામે પણ આપણાં મગજમાં એટલી બધી વાતો પડી છે કે, આપણે કેને અનુસરવું? એ એટલું ઝડપથી નક્કી કરી શકતાં નથી, અને ક્યારેક એવું થાય કે આવું અધકચરું જ્ઞાન એટલે કે માત્ર જાણકારી હોય, એ અહમ વધારીને, આપણો વ્યવહાર રુઢ કરી શકે, અન્ય પર રોફ જમાવી શકે, વારેવારે કોઈની ભૂલ દેખાડી એને નીચાં દેખાડવાની ચેષ્ટા થાય! આમ જાણે અજાણે આપણાથી હિંસા થાય, એટલે કે ધર્મનાં આચરણની વાત તો એક બાજુ રહી, પણ અધર્મનું આચરણ થઈ જાય! શ્રીમદ્ ભગવત ગીતાનાં પાંચમાં અધ્યાયનાં ત્રીજા શ્લોકમાં ભગવાન યોગ યોગેશ્વર શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, હે મહાબાહુ ! જે માણસ ન તો કોઈનો દ્વેષ કરે છે કે, ન તો કશાયની આકાંક્ષા કરે છે, તે કર્મયોગીને સદા સંન્યાસી જ સમજવા. એટલે કે નિત્ય સંન્યાસી સમજવા, કેમ કે રાગ દ્વેષ વગેરે દ્વન્દ્વ વિનાનો માણસ સુખપૂર્વક સંસારનાં બંધનમાંથી મુક્ત થઈ જાય છે.
આ નિત્ય સંન્યાસી શબ્દ એવો છે કે, એને સાંભળીને આપણને એમ થાય કે, આપણે સંન્યાસી કઈ રીતે થવું! અને પાછી નિત્યની વાત છે, એટલે શું ભોગને ત્યજી દેવા? સંસારને ત્યજી દેવો?: સબંધો ભૂલી જવા? આવાં કંઈક ભાવો અંતરમાં ઉદ્ભવવાના શરૂ થાય, જે આપણાં બસની વાત નથી. પણ ભગવાન કહે છે હે અર્જુન સંસારમાં રહીને જ જે રાગ દ્વેષ નામનાં દ્વન્દ્વથી મુક્ત રહી શકે, કોઈ પણ વસ્તુ પદાર્થ, વ્યક્તિ, કે લાગણીની પણ આકાંક્ષા રાખે નહિ, એ નિત્ય સંન્યાસી છે, અને એ સુખપૂર્વક સંસારનાં બંધનમાંથી મુક્ત થઈ જાય છે. એટલે કે મૃત્યુ એને ડરાવતું નથી, કે સમય સંજોગો તેની સ્થિરતાને તોડી શકતાં નથી, તેની અચલતાં દ્રઢ હોય છે.જે કોઈ વસ્તુ પદાર્થ કે અન્ય કોઈ સાધન પ્રસાધનોમાં રચ્યો પચ્યો રહે નહીં, કે અન્ય કોઈ ભોગ વૃત્તિ પ્રત્યે ખેંચાણ થતું નથી, પણ નિરસતા પણ ન હોય.
તો નિત્ય સંન્યાસી થવું એ કંઈ અઘરું નથી! જો સ્થિરતા, શાંતિ, અને સંતોષની પ્રાપ્તિ કરવી હોય, તો ગીતામાં બતાવ્યાં મુજબ નિત્ય સંન્યાસીની ઉપલબ્ધિ મેળવવી પડે, અને એમાં આમ જુઓ તો કંઈ કરવાનું જ નથી. આમ પણ વગર કારણે આપણે રાગ દ્વેષ કરતાં હોઈએ છીએ, જેનો દ્વેષ કરીએ છીએ, એની કરતાં તો અનેક ગણું આપણી પાસે વધુ હોય છે, અને ક્યારેક એવી વસ્તુના રાગમાં એટલે કે મમતા વશ ઘેરાઈ જઈએ છીએ કે, જે આગળ જતાં એને કારણે આપણને પસ્તાવો પણ થાય. દાખલા તરીકે ચાઈલ્ડ પેરેન્ટિંગ એ આજની બહુ મોટી સમસ્યા છે. સૌથી પહેલા કહ્યું તેમ સામાન્ય માણસોને પોતાના બાળકોને ઉછેરવામાં બહુ વિકલ્પ મળતાં નથી, જ્યારે સાધન સંપન્ન લોકો બાળકોની અપેક્ષાઓ એટલી હદે પૂરી કરે છે કે, આગળ જતાં કોઈ વસ્તુ ન મળે તો એ મનોવિકૃત પણ બની શકે છે. આ રીતે જોઈએ તો સમાજના વર્ગ પડવાનું કારણ આ રીતની આપણી મેન્ટાલીટી જ છે કે, એ તો એનું કર્મ જાણે, એમાં આપણે શું કરી શકીએ! મારી મહેનતનું છે! મારા પ્રારબ્ધનું છે! કે પછી મારા હકનું છે! એમ કરી એકલું એકલું ભોગવવાની વૃત્તિ વધતી જાય છે, જે આપણને નિત્ય સંન્યાસીથી ઊંધી દિશામાં ગતિ કરાવે છે. સફળતા મેળવવા માટે આવો કોઈ માર્ગ પસંદ કરવો નહીં,કે જે આપણા મનમાં રાગ દ્વેષનું સતત દ્વંદ યુદ્ધ કરાવે, અને જે શાશ્વત નથી, તેનું સુખ ક્ષણિક હોય છે. માટે આ વસ્તુ પદાર્થ પાછળની આપણી જે ભોગવૃત્તિ છે, એ આપણને ક્યારેય કાયમી સુખ આપી શકવાની નથી, શાંતિ આપી શકવાની નથી, સંતોષ આપી શકવાની નથી. એટલે આકાંક્ષાઓ ઘટવાનો તો સવાલ જ નથી! જ્યારે નિત્ય સંન્યાસી તો કશાયની આકાંક્ષા રાખતો નથી. એટલે જો અને તો નાં આ દ્વંન્દ્વમાં જો ભોગવૃત્તિ માટે થઈને એકવાર આવું બધું નજર અંદાજ કરતાં ગયાં, તો આપણે ક્યારેય નિત્ય સંન્યાસી થઈ શકીશું નહીં, અને જ્યાં માત્ર ને માત્ર સુખની શોધનું શૂળ જ છે. ભગવાને આપણે આસાનીથી કરી શકીએ એવો માર્ગ બતાવ્યો છે , છતાં એની તરફ દુર્લક્ષ સેવીએ, તો આપણા જેવો મૂર્ખ બીજો કોઈ નથી.
હજી સૂક્ષ્મચિંતન કરીએ તો રાગ દ્વેષ વધવા પાછળ કોઈ વાર કોઈ વસ્તુનો અભાવો, તો કોઈ વાર લાગણીનો અભાવો, કે પછી આપણા અહમની પુષ્ટિ થતી નથી એવું લાગે, અને એને કારણે લઘુતાગ્રંથીની પીડા અથવા તો કંઈક ખાસ સિદ્ધિ મળી ગઈ છે, અને એને કારણે અતિ અહંકારી માનસ સૌને નમાવવા ઈચ્છે! પણ એ શક્ય હોતું નથી, માટે ગુરુતાગ્રંથીની પીડા. તો આ રીતે સૂક્ષ્મચિંતન કરીને આપણા માનસને ફંફોસીએ તો, શેને કારણે આપણા અંતરમાં રાગદ્વેષ વધી રહ્યાં છે, એ મૂળિયુ મળી જાય, તો એને જડમૂળથી કાપવાના પ્રયત્ન કરીને આપણે ભગવાન યોગ યોગેશ્વરનાં કહેવા મુજબ નિત્ય સન્યાસી બની, અને આ સંસાર બંધનમાંથી મુક્ત થઈ શકીએ, સૌ કોઈ આત્મ ચિંતન કરે એવી એક અન્ય પ્રાર્થના રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)


